મણિપુરમાં સાત ઉગ્રવાદીઓની ધરપકડ

ઇમ્ફાલઃ મણિપુરમાં સુરક્ષા દળોએ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા સાત ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ ધરપકડ બુધવાર અને ગુરૂવારના રોજ ઇમ્ફાલ પશ્ચિમ, તેંગનૌપાલ, કાકચિંગ અને વિષ્ણુપુર જિલ્લામાંથી કરવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મીના બે સક્રિય કાર્યકરોની ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના વાંગોઇ બજારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
કેન્દ્રીય દળોએ તેંગનૌપાલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર બોર્ડર પિલર ૮૭ની આસપાસથી પ્રતિબંધિત યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ(કોઇરેંગ) અને પ્રતિબંધિત પીઆરઇપીએકે(પ્રો) સાથે જોડાયેલા એક-એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રતિબંધિત કેસીપી(પીડબ્લ્યુજી)ના એક સક્રિય સભ્યની કાકચિંગ જિલ્લાના સેકમાઇજિંગ ખુનો વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આરોપી ખીણ વિસ્તારમાં ખંડણીની પ્રવૃતિઓમાં સામેલ હતો.
પ્રતિબંધિત કેસીપી(પીએસસી)ની એક મહિલા કેડરની બુધવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ફાકનંગ થોંગખોંગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત સંગઠન પ્રેપાકના એક અન્ય સક્રિય સભ્યની બિષ્ણુપુર જિલ્લાના ક્વાક્તા તેરાખોંગશાંગબી બજારમાંથી ખંડણી પ્રવૃતિઓમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - દેશમાં સહકારી ક્ષેત્રનો વિકાસ અસમાન રીતે થયો, સરકાર તેના સપ્રમાણ વિકાસ માટે પગલાં લઈ રહી છે: અમિત શાહ
અધિકારીએ જણાવ્યું કે બુધવારે તેમના નિવાસસ્થાનેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મણિપુરમાં બે વર્ષ પહેલા વંશીય હિંસા ફાટી નીકળ્યા બાદથી સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. મે ૨૦૨૩થી મેઇતેઇ અને કુકી-ઝો જૂથો વચ્ચે વંશીય હિંસામાં ૨૬૦થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો બેઘર થયા છે.