નવી મુંબઈમાં પાલિકાની હૉસ્પિટલમાં ધમાલ કરવા બદલ મનસેના 20 કાર્યકરો સામે ગુનો

થાણે: નવી મુંબઈમાં આવેલી પાલિકાની હૉસ્પિટલના પોર્સ્ટમોર્ટમ વિભાગમાં ભ્રષ્ટાચારનો દાવો કરીને ધમાલ કરવા પ્રકરણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના 20 કાર્યકરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મનસેના કાર્યકરોનું જૂથ 17 જૂને વાશી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં પ્રવેશ્યું હતું અને સૂત્રોચ્ચર કરતા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાજેશ મ્હાત્રેની કેબિનમાં ઘૂસ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કાર્યકરોએ ડૉ. મ્હાત્રેને ધમકી આપી હતી અને હૉસ્પિટલના સિક્યુરિટી ચીફે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરતાં તેની મારપીટ કરી હતી.
સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા એક વીડિયોને કારણે આ ધમાલ થઇ હોવાનું કહેવાય છે. એ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પોર્સ્ટમોર્ટમ વિભાગના કર્મચારીેએ મૃત વ્યક્તિના કપડાં પાછાં કરવા માટે તેના પરિવાર પાસે લાંચ માગી હતી.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કાર્યકરોએ હૉસ્પિટલમાં કરેલી ધમાલનો વીડિયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કર્યો હતો.
આ પણ વાંચો - દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા: આરોપી પકડાયો
દરમિયાન આ પ્રકરણે મનસેના 20 કાર્યકરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર મેડિકલ સર્વિસીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)