મેટિની

ક્લેપ એન્ડ કટ..! : રૌતેલા રડશે ને સોનુ સૂદ વ્યાજ ભરશે?

-સિદ્ધાર્થ છાયા

દેશમાં જ્યારે પણ ક્રિકેટનો ફીવર તેની ચરમસીમાએ હોય ત્યારે વિવિધ બેટિંગ એપ્સ પણ મશરૂમની જેમ ફૂટી નીકળે છે. આમાંથી અમુક તો ટૂંકાગાળાનો લાભ લેવા માટે સેલિબ્રિટીઓને ‘મોટી રકમ’ ચૂકવીને લોકોને ભોળવતી હોય છે, પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આપણા સેલિબ્રિટીઝ પણ શું આટલા બધા ભોળા છે કે એમને દેશના નિયમ-કાયદાની કોઈ ખબર નથી હોતી?

હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ‘ઇડી’એ ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદને આવી બેટિંગ એપ્સ સાથે જોડાવા બદલ અથવા તો તેમનું પ્રમોશન કરવા બદલ નોટિસ ફટકારી છે. ‘ઇડી’ આ બંને ઉપરાંત ક્રિકેટરો હરભજનસિંઘ અને યુવરાજ સિંહ ઉપરાંત સાઉથના રાણા દગ્ગુબાટી અને પ્રકાશ રાજ જેવા અનેક કલાકારોને પૂછપરછ માટે બોલાવવાની છે. આ તમામ ઉપર ભારતમાં ગેરકાયદે જાહેર થયેલી બેટિંગ એપ્સની છદ્મ (surrogate) એપ્સનો પ્રચાર કરવાનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ..!`લાલ પરી’ પણ ચોરાયેલી છે?સિદ્ધાર્થ છાયા

‘ઇડી’નું કહેવું છે કે આવા સેલિબ્રિટીઝ એન્ડોર્સમેન્ટને લીધે દેશની મોટાભાગની પ્રજા અંજાઈને આ ગેરકાયદે બેટિંગ એપ્સમાં જોડાય છે ને પછી આ એપ્સ એમના અજ્ઞાનનો લાભ લઈને એમને આર્થિક ચૂનો ચોપડી દે છે.

વાત ફરીને ત્યાં જ આવે છે કે, દેશની પ્રજા ભોળી છે, પરંતુ આ કલાકારો અને ક્રિકેટરો એક આખી લીગલ ટીમ ધરાવતા હોવા છતાં આવા કરાર કરતાં પહેલાં એમને પૂછતાં નહીં હોય? પૈસાની લાલચ આટલી બધી આંધળી હોતી હશે?

  • મિયાં આમિરની વાણિયાગીરી…

આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ આજે રિલીઝ થઇ ગઈ છે, પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો આ ફિલ્મનો પહેલો શો છેક સવારે 11 વાગ્યે છે. સામાન્યત: ત્રણેય ખાનોની ફિલ્મો હોય કે કોઈ મોટી ફિલ્મ હોય તો એના શો વહેલી સવારે 7 કે 8 વાગ્યે શરૂ થઇ જતાં હોય છે. સમાચાર અનુસાર આમ કરવા પાછળ આમિરની ખાસ રણનીતિ છે.

આટલું ઓછું હોય, તેમ સવારે 11 થી સાંજે 6 સુધી ‘સિતારે ઝમીન પર’ના ફક્ત ચાર જ શો રાખવા એવી સ્પષ્ટ સૂચના થિયેટર માલિકોને આપવામાં આવી છે. હા, 6 વાગ્યા પછી જેટલા શો રાખવા હોય એની છૂટ પણ આપવામાં આવી છે. જોકે, આમિરનું આ આશ્ચર્ય ફક્ત શુક્રવાર પૂરતું જ છે. શનિવારથી બધું રાબેતા મુજબ થઇ જશે.

આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ: …તો આવા છે ‘હાઉસફૂલ ફાઈવ’ના બંને એન્ડ

આમિરની આ રણનીતિ પાછળ શું લોજીક છે એ સમજવાનો પ્રયાસ કરીએ. પહેલું લોજીક તો એ છે કે આમિરની છેલ્લી ફિલ્મ ફ્લોપ ગઈ છે એટલે આમિર આ વખતે કોઈજ ચાન્સ લેવા માગતો નથી. બીજું, શુક્રવાર વર્કિંગ- ડે હોય છે.

આજકાલ બોલિવૂડની ફિલ્મો પહેલા દિવસે ખાસ ઉકાળી રહી નથી, સિવાય કે બ્લોક બુકિંગ હોય. આમિરને એ પણ ખબર છે કે એની આ ફિલ્મનો વિષય એવો છે કે સવારના 7 કે 8 વાગ્યાના શોની ટિકિટ ભાગ્યે જ કોઈ ખરીદશે.

શુક્રવારે દિવસ ચડતા સમયે પરિવાર, કોલેજ જનારાઓ અથવા તો મોટેરાંઓ ફિલ્મ જોવા બહાર નીકળે છે એટલે ઓક્યુપન્સી એની મેળે વધતી હોય છે. આથી વહેલા શોમાં વ્યર્થ મહેનત કરવાને બદલે 11 વાગ્યાથી 6 સુધી લિમિટેડ શો રાખવા અને 6પછી તો ઓફિસ પત્યા પછી લોકો આવવાના છે જ! વાહ, મિયાં આમિર, તું કયારથી વાણિયો બની ગયો?!

  • આર્થિક જંગલમાં ‘ભૂલું’ પડી ગયું ‘વેલકમ ટુ ધ જંગલ’!

ફિરોઝ નડિયાદવાલાની ‘વેલકમ ટુ ધ જંગલ’ અત્યારે નાણાકીય તકલીફમાં મુકાઈ છે. ધડાધડ શેડ્યુલ્સ કેન્સલ થઇ રહ્યા છે. અહીં એ કહેવાનું મન થાય છે કે આ ફિલ્મનું શૂટ શરૂ થયે દોઢ વર્ષ થઇ ગયું છે, પણ હજી એ ક્યારે પતશે એના કોઈ વાવડ નથી. એમાં આ નાણાકીય તકલીફ ઊભી થઇ એટલે ફિલ્મ બનીને ક્યારે સામે આવશે એની કોઈજ ગેરંટી નથી.

આ પણ વાંચો: દહેજ ઉત્પીડન-આત્મહત્યા કેસમાં નામ આવેલા નેતા અને તેના પુત્રની એનસીપીએ કરી હકાલપટ્ટી

હમણાં જ એના ડિરેક્ટર અહેમદ ખાને કહ્યું હતું કે મારા પ્રોડ્યુસરને વાંધો નથી એટલે હું આરામથી ફિલ્મ બનાવી રહ્યો છું, પરંતુ જો નાણાકીય તકલીફના સમાચાર સાચા હોય તો અહેમદ ખાનના ‘આરામ’થી ફિલ્મ બનાવવાનું સાચું કારણ આપણી સામે આવી ગયું છે. એક તો આ ફિલ્મની સ્ટારકાસ્ટ તોતિંગ છે, એટલે કે મોંઘા કલાકારો છે, એમાં શૂટિંગ ખેંચાઈ રહ્યું છે એટલે એમ પણ એની કોસ્ટ વધી રહી છે. આમાં જંગલને થિયેટર્સમાં વેલકમ કરવાની તક દર્શકોને મળશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે.

કટ એન્ડ ઓકે..
પાયરસીને કારણે થયેલા નુકસાન માટે ‘સિકંદર’ના નિર્માતા સાજીદ નડિયાદવાલાએ અધધધ રૂપિયા 91 કરોડનો ઇન્શ્યોરન્સનો દાવો માંડ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button