…તો આગામી દિવસોમાં ડ્રાયફ્રૂ્ટ્સ થશે મોંઘા, જાણી લો આ કારણ

નવી દિલ્હી: જ્યારે કોઈ બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય છે, ત્યારે તેની અસર બંને દેશો સાથે જોડાયેલા વેપાર પર પણ પડે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે ભારતમાં ઈરાનથી ક્રૂડ ઓઈલ તથા સૂકામેવાની આયાત થાય છે. પરંતુ યુદ્ધના કારણે આયાત અટકવાની શક્યતાઓ વધી રહી છે, તેથી આગામી દિવસોમાં ડ્રાયફ્રૂટ્સ મોંઘા થઈ શકે છે.
ઇઝરાયલ-ઈરાનના યુદ્ધથી ભારત પર અસર
ભારત સૂકામેવા માટે અફઘાનિસ્તાન અને ઈરાન પર નિર્ભર છે. અફઘાનિસ્તાનથી ભારતમાં કિશમિસ, અખરોટ, બદામ, અંજીર, જરદાળુની આયાત થાય છે. જ્યારે ઈરાનથી ખજૂર, મમરા બદામ અને પિસ્તાની આયાત થાય છે. જોકે યુદ્ધના કારણે બંને દેશથી થતી ડ્રાયફ્રૂટની આયાત અટકી ગઈ છે. કારણ કે પહેલા અફઘાનિસ્તાન પાકિસ્તાન મારફતે સૂકામેવા મોકલાવતું હતું, પરંતુ પાકિસ્તાન સાથે વધેલા ભારતના તણાવને કારણે અફઘાનિસ્તાને તેને ઈરાનના ચાબહાર બંદરથી મોકલવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે જ્યારે ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે સૂકામેવાની આયાત અટકાવી દેવામાં આવી છે.
સૂકામેવાની આયાત અટકતા ભાવમાં થશે વધારો
ઈરાન અફઘાનિસ્તાનનો પડોશી દેશ છે. જેથી અફઘાનિસ્તાન પોતાના સૂકામેવા ઈરાન મોકલે છે. ઈરાનથી તેને દુબઈ મોકલવામાં આવે છે. દુબઈમાં મોટા વેરહાઉસ બનાવવામાં આવેલા છે. જેથી અહીંથી ભારતમાં સૂકામેવા મોકલવામાં આવે છે. મીડિયા સાથે વાત કરતા દિલ્હી કરિયાણા સમિતિના મહાસચિવ ધીરજ સિંઘવાનીએ જણાવ્યું કે, “ઈરાનથી સૂકામેવાની આયાત ઘટી છે. જો જલ્દી આનો ઉકેલ ન આવ્યો. તો આગામી મહિનાઓમાં સૂકામેવાનો ભાવ વધી શકે છે.
ક્રૂડ ઓઈલની આયાત પણ અટકવાની સંભાવના
સૂકામેવાની જેમ ક્રૂડ ઓઈલની આયાત પણ અટકવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ ઓઈલ કુવૈત, કતાર, ઈરાજ, સાઉદી અરબ જેવા દેશોમાંથી આયાત કરે છે. પરંતુ ઇઝરાયલ-ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વી દેશોમાંથી ક્રુડ ઓઈલની આયાત અટકવાની સંભાવના વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતે માર્ચ 2025માં ઈરાનમાં 130 મિલિયન ડૉલરના સામાનની નિકાસ કરી હતી અને 43 મિલિયન ડૉલરના સામાનની આયાત કરી હતી. ભારત ઈરાન પાસેથી સૂકામેવા સિવાય ક્રુડ ઓઈલ, ખનિજ ઈંધણ, મીઠું, સલ્ફર, માટી, પથ્થર, પ્લાસ્ટર, ચૂનો અને સિમેન્ટ, પ્લાસ્ટિક અને તેમાથી બનતી વસ્તુઓ, લોખંડ અને સ્ટીલ, ઓર્ગેનિક કેમિકલ્સ, ગુંદર, રેઝિન અને રોગાન જેવી વસ્તુઓ આયાત કરે છે.
આ પણ વાંચો…ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં 585 લોકોના મોત, માનવાધિકાર જૂથે કર્યો દાવો