પ્લેન ક્રેશ: ગુમ થયેલી મા-દીકરી 7 દિવસે મળ્યા, પણ…

અમદાવાદ: અતુલ્યમ હોસ્ટેલ પર થયેલા વિમાન ક્રેશના કારણે 241 યાત્રીઓ સહિત હોસ્ટેલમાં જમી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. છ દિવસ પહેલા મેસના રસોડા રવિ ઠાકોરે હોસ્ટેલમાંથી પોતાની માતા સરલાબેન અને બે વર્ષની દીકરી આધ્યાના ગુમ થયાની વાત કરી હતી. ત્યારે આજે સાત દિવસ બાદ તેઓના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે.
7 દિવસ બાદ મળ્યો મા-દીકરીનો મૃતદેહ
વિમાન દુર્ઘટનાના દિવસે દાદી સરલાબેને પોતાની પૌત્રી આધ્યાને વ્હાલપૂર્વક જમાડી રહ્યા હતા. જેનો તેમના દીકરા રવિએ વીડિયો પણ બનાવ્યો હતો. પરંતુ તેઓને ખબર ન હતી કે આજનો દિવસ તેમનો છેલ્લો દિવસ સાબિત થશે. સરલાબેનનો આખો પરિવાર અતુલ્યમ હોસ્ટેલની મેસમાં કામ કરતો હતો.
આપણ વાંચો: આ છોકરાએ ઉતાર્યો હતો વિમાન ક્રેશ થયાનો વીડિયો! તમામ શંકાઓનો આવ્યો અંત…
દુર્ઘટનાની દસ મિનિટ પહેલા સરલાબેનનો દીકરો રવિ અને વહુ હોસ્ટેલથી પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા. એવા સંજોગોમાં હોસ્ટેલ મેસમાં હાજર સરલાબેન અને તેમની પૌત્રી આધ્યા દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.
વિમાન દુર્ઘટનાની જાણ થતા સરલાબેનનો દીકરો રવિ હોસ્ટેલ ખાતે પહોંચ્યો હતો. પરંતુ હોસ્ટેલમાં બધુ બળીને રાખ થઈ ગયું હતું. તેણે પોતાની માતા અને દીકરીની શોધખોળ કરી હતી. પરંતુ તેઓની કોઈ ભાળ ન મળતા તે હૉસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં મળેલા મૃતદેહો પૈકીના બે મૃતદેહો સાથે તેના ડીએનએ સેમ્પલ મેચ થયા હતા.
મા અને દીકરીનો મૃતદેહ મળ્યાની વાતથી રવિના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે અતુલ્યમ હોસ્ટેલમાં વિમાન ટકરાયું ત્યારે મેસમાં 37 ડોક્ટર જમી રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં હોસ્ટેલમાં હાજર 5 લોકોના મોત થયા તથા 2 લોકો ગંભીર હતા. જ્યારે 20 લોકોની હજુ સુધી કોઈ ભાળ મળી ન હતી.