સ્પેશિયલ ફિચર્સ

મુખ્બિરે ઈસ્લામ ઃ પૂરી કરતા ખુદા સબ મુરાદે તો ઈબાદત કી કભી જરૂરત ન હોતી

-અનવર વલિયાણી

પવિત્ર કુરાન ઘોષણા કરે છે,
ઓ મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ, શ્રદ્ધાળુ પુરુષો અને સ્ત્રીઓ, સત્યવાદી પુરુષો અને સ્ત્રીઓ, ધૈર્યવાન અને દૃઢ પુરુષો અને સ્ત્રીઓ, વિનમ્ર પુરુષો અને સ્ત્રીઓ, દાનધર્મી પુરુષો અને સ્ત્રીઓ, રોજા રાખતા પુરુષો અને સ્ત્રીઓ, ગુપ્તાંગોનું રક્ષણ કરતા પુરુષો અને સ્ત્રીઓ, અલ્લાહની પ્રસંશામાં સમય વિતાવતા પુરુષો અને સ્ત્રીઓ…!
તમારા માટે અલ્લાહે ક્ષમા અને પુરસ્કાર તૈયાર રાખ્યા છે…! (ગુજરાતી ભાવનુવાદ ‘અહઝબ’ 33:75)
કુરાન કરીમનો આ સંદેશો સઘળા પુરુષો અને સ્ત્રીઓ માટે છે. દીને ઈસ્લામ માત્ર મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ માટે જ નથી. તે સમગ્ર માનવજાત માટે છે.
પુરુષો અને સ્ત્રીઓ સદ્દગુણો ગ્રહણ કરવા અને સદ્કર્મો કરવા સક્ષમ છે.

  • અલ્લાહના આદેશોનું પાલન કરતા સર્વ કોઈ તેની કૃપા અને પુરસ્કારથી નવાજીશ, સન્માનિત થઈ શકે છે.
  • શ્રદ્ધાળુઓએ જીવનમાં વણી લેવા જેવા, યોગ્ય અને અગણ્ય ખૂબીઓ પવિત્ર કુરાનમાં છે, કુરાનના પ્રકરણોમાં ઉપલબ્ધ છે.
    -તેમાંથી પાંચ અધિતીય ખૂબીઓ પસંદ કરી તેનો સંક્ષિપ્ત ચિતાર આ કોલમને છ દાયકા કરતા પણ વધુ સમયથી વાચતા શ્રદ્ધાળુઓ વાચક મિત્રો માટે પ્રસ્તુત છે:
  1. મુસ્લિમ: આ વ્યક્તિ ઈસ્લામની અનુયાયી છે.
    -તે અલ્લાહને સંપૂર્ણ સમર્પિત છે. તેના પ્રત્યેક કાર્યમાં તે કેન્દ્રમાં છે, તેના દરેક શ્ર્વાસોશ્ર્વાસમાં અલ્લાહનો વાસ છે. તે અલ્લાહથી જ યાચના કરે છે. વિકટ કાળમાં તે બંદાની નહીં પરંતુ અલ્લાહની જ સહાય ઈચ્છે છે. અલ્લાહથી તે ભૌતિક વસ્તુઓ નથી માગતા, તે માગે છે.
    -અલ્લાહની એકધારી સ્તુતિ કરવાનું બળ અને પ્રમાણિકતાથી આયુષ્ય વ્યતીત કરવાની હિંમત.
  2. મુમીન: આ વ્યક્તિ અલ્લાહ પ્રત્યે પ્રગાઢ આસ્થા ધરાવે છે.
    -તેને અલ્લાહનું કોઈ પર્યાય અથવા તેની તુલનાની કોઈ શક્તિ માન્ય નથી. તેની બાહ્ય અને આંતરિક વર્તણૂક સનિષ્ટ છે.
    -ઈમાનનો અર્થ છે દૃઢતાથી કોઈ પણ શંકા વગર અત:કરણથી સ્વીકાર. ઈમાન, અલ્લાહમાં આસ્થા અને વિશ્ર્વાસનું નામ છે, તે તન, મન અને ધન અલ્લાહના નામ પર ન્યોચ્છવાર કરે છે. તે સહિષ્ણુ છે. અન્યોની ટીકા-ટિપ્પણીથી દૂર રહે છે. તેની વાણીમાં મીઠાશ અને મૃદતા છે, તે નિરાભિમાની, આડંબર રહિત અને સીધી – સાદી વ્યક્તિ છે.
  3. કવેનીત: આ વ્યક્તિ આજ્ઞાંકિત અને ભાવુક છે.
    -તે અલ્લાહ પ્રતિ સદા જાગૃત છે. કુનુતનો અર્થ છે ઘણી જ નમ્રતાથી ભક્તિ અને આજ્ઞાપાલન. અલ્લાહના આદેશાધિન જીવન તેનું એક માત્ર ધ્યેય છે. ભક્તિ દરમિયાન તેનું મન ભટકતું નથી અને ભૌતિક હિસાબ – કિતાબ નથી કરતી. અલ્લાહ વિષે એકાગ્રતા અજબ હોય છે. બાહ્ય આકર્ષણોથી મુક્તિ પ્રાપ્ત કરી આંતરિક શાંતિ ગ્રહણ કરી સર્જક સાથે સંવાદ સાધે છે તેને ભક્તિના વળતરની કશી જ અપેક્ષા નથી.
  4. સાદીક: આ વ્યક્તિ સત્ય અને સત્વની પંથક છે.
    -સત્ય અને સત્વ બંન સદકમાં સમાયેલા છે.
    -ઘણી વખત સદક અને અમાનાહ સાથે બોલાય છે. ઈસ્લામની આ પ્રાથમિકતા છે. આ બંને ગુણો હોય ત્યાં પવિત્રતા હોય. અલ્લાહને ગમતું આ વાતવરણ છે. પયગંબર સાહેબ કહે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ ધર્મથી વિમુખ થાય છે ત્યારે પ્રથમ ભોગ પ્રમાણિકતાનો લેવાય છે અને અંતે તે વ્યક્તિથી અળગો થાય છે.
  5. સબીર: આ વ્યક્તિ ધૈર્યવાન અને અડગ હોય છે.
    -સબ્રનો અર્થ છે ધૈર્ય અને ખંતીલાપણું.
    -ધ્યેય સિદ્ધ થતા પર્યંતે તે સતત પ્રયત્નશીલ રહે છે. સુખમાં છલકાય ન જાય અને દુ:ખમાં તણાય ન જાય. તડછો છાયડો તેને મન એક જ.
    -જીવનના ચડાવ-ઉતરાણ સહજતાથી સ્વીકારે,
    -અલ્લાહ રાખે તેમ રહે.
    -ધૈર્ય તેને સહિષ્ણુતા પ્રતિ દોરે છે.
    -વિવાદ ટાળી કટુતા નિવારે છે.
    -કોઈ જોડે વિવાદ થાય તો પહેલા આવતી ગલીમાં વળી જાય છે જેથી નકામી પળ મટે.
    -જીવો અને જીવવા દ્યો તેનો અભિગમ હોય છે.
    -આબિદ લાખાણી
    સાપ્તાહિક સંદેશ:
    -ફરમાવવામાં આવેલ છે કે,
    *અય ઈન્સાન!
    *તુ અલ્લાહને તારાં સત્ય કાર્યોથી દોસ્ત બનાવજે.
    *અલ્લાહ સાથે મિત્રતા કેળવાતા તેણે સર્જેલ સઘળી નેઅમતો; દેણગી તારી તાબેદારીમાં રહેશે.
    *રબ, રોજી-રોજગાર, પાલનહાર ઈશ્વર, અલ્લાહ સારાં કાર્યો કરનારને દોસ્ત રાખે છે.
    *અલ્લાહ ઈન્સાનને જે દુ:ખદર્દ આપે છે તે પરિણામે તેની ભલાઈ માટે જ હોય છે.
    *જેમ એક ડૉક્ટર શરીરના વેદનાભર્યા, જખમવાળા હિસ્સાને નાબૂદ કરવા સર્જરી દ્વારા વધુ વેદના પહોંચાડે છે, પરંતુ પરિણામે વેદનાનો અંત આણવા તે સર્જરી જ નિમિત્ત બને છે તે ડૉક્ટર મરીઝનો દુશ્મન નથી. એ મુજબ, અલ્લાહ પણ કોઈનું અહિત કરનાર નહીં, પણ દુ:ખદર્દ, વેદનાને હરનાર છે.
    એક જાણીતા ઉર્દૂ શાયરે સરસ કહ્યું છે: –
    આંસુ ન હોતે તો આંખે ઈતની ખૂબસૂરત ન હોતી,
    દર્દ ન હોતે તો ખુશિયાં કી કિંમત ન હોતી,
    પૂરી કરતા ખુદા સબ મુરાદે તો ઈબાદત કી કભી જરૂરત ન હોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button