એરપોર્ટ નજીક તમારું જો ઘર હોય તો આ નિયમો ખાસ વાંચી લેજો

અમદાવાદ: બારમી જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ શહેરના રહેણાંક વિસ્તારમાં પડી ભાંગી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થતાની સાથે જ ગણતરીની મિનિટમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 279 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે મહત્વપૂર્ણ પગલું ભર્યુ છે. મંત્રાલયે એરપોર્ટ આસપાસના ઊંચા બાંધકામો અને અવરોધો પર નિયંત્રણ માટે નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.
‘એરક્રાફ્ટ-2025’ નામના ડ્રાફ્ટમાં નિયમો જાહેર
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભર્યા થોડી જ વારમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું અને આગ લાગવાથી 242 યાત્રીઓમાંથી 241ના મોત થયા. આ ઘટનાએ વિમાન સલામતીના પ્રશ્નો ઉભા કર્યા. તેથી, મંત્રાલયે ‘એરક્રાફ્ટ-2025’ નામના નવા ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા, જે ગેઝેટમાં પ્રકાશન બાદ લાગુ થશે. આ નિયમો એરપોર્ટ નજીકના ઊંચા માળખાં અને વૃક્ષો પર કડક કાર્યવાહીની સત્તા આપે છે.
નવા નિયમો શું થઈ શકે છે ફેરફાર
નવા ડ્રાફ્ટ નિયમો હેઠળ, જો એરપોર્ટ નજીક કોઈ માળખું નિર્ધારિત ઊંચાઈ કરતાં વધુ હશે, તો સંબંધિત અધિકારી નોટિસ જારી કરશે. માલિકે 60 દિવસમાં સાઈટ પ્લાન અને માળખાના માપન સહિતની વિગતો રજૂ કરવાની રહેશે. નહીં તો અધિકારીઓ માળખું તોડી પાડવા કે ઊંચાઈ ઘટાડવાની કાર્યવાહી કરી શકે છે. DGCA અથવા અધિકૃત અધિકારી આવા માળખા દૂર કરવાનો આદેશ આપી શકે છે, અને માલિકને પાલન માટે 60 દિવસનો સમય મળશે.
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન દુર્ઘટના: ગુજરાત સરકાર Air India પાસે 2.70 કરોડનું વળતર માંગશે
નિયમોનું પાલન કરશે તો વળતર
જો માલિક નિયમોનું પાલન કરે, તો ભારતીય હવાઈ પરિવહન અધિનિયમ-2024ની કલમ 22 હેઠળ વળતર મળી શકે છે, પરંતુ નોટિસ બાદ નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધેલા માળખાંને વળતર મળશે નહીં. માલિક રૂ. 1,000ની ફી સાથે અપીલ કરી શકે છે. મંત્રાલયે 20 દિવસમાં જનતાના સૂચનો માગ્યા છે. આ નિયમો ફ્લાઈટ પાથમાં અવરોધો ઘટાડીને સલામતી વધારશે.