ભારતીય વાયુસેના તાકાતનો પરચો બતાવશે, પાકિસ્તાન સરહદ નજીક કવાયત હાથ ધરશે

નવી દિલ્હી: ગત મહિને ઓપરેશન સિંદૂર દરમિયાના ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. હવે ભારતીય વાયુસેના અરબી સમુદ્રમાં અને ભારત-પાકિસ્તાન સરહદ નજીક એર ડ્રિલ (IAF air drill) કરશે. આ ડ્રિલ પાકિસ્તાન માટે ચેતવણી સમાન હશે. આ કવાયત માટે NOTAM (નોટિસ ટૂ એરમેન) જાહેર કરવામાં આવ્યું છે.
અહેવાલ મુજબ વાયુસેનાની કવાયત 20 જૂન 2025 ના રોજ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:30 વાગ્યે સમાપ્ત થશે. કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ અને અન્ય લશ્કરી વિમાનો ઉડાન ભરશે.
વર્તમાન જીયો-પોલીટીકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુ સેનાની આ કવાયત મહત્વની માનવામાં આવે છે.
NOTAM ને ધ્યાનમાં રાખીને સિવિલ ફ્લાઈટ્સને વૈકલ્પિક રૂટ લેવા સલાહ આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ કવાયત નિયમિત તૈયારીઓનો એક ભાગ છે. ભારતીય વાયુસેના તાજેતરના વર્ષોમાં હવાઈ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે ઘણી કવાયતો કરી રહી છે.
આ પહેલા 4 જૂનના રોજ પાકિસ્તાની સરહદ નજીક ભારતીય વાયુસેનાની કવાયત હાથ ધરી હતી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સરહદને અડીને આવેલા દક્ષિણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વાયુસેના કવાયત માટે NOTAM જાહેર કયું હતું.
શું હોય છે NOTAM ?
NOTAM એ એક પ્રકારની નોટિસ હોય છે. NOTAM દ્વારા પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને વિમાન સાથે સંકળાયેલા અન્ય લોકોને એર ટ્રાવેલ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવે છે. NOTAM નો હેતુ કવાયત દરમિયાન એર ટ્રાવેલને સુરક્ષિત બનાવવાનો છે.
આ પણ વાંચો - જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવા માટે પૂરતા પુરાવા; તપાસ સમિતિએ રીપોર્ટ રજુ કર્યો
NOTAM દ્વારા એરપોર્ટ, એરસ્પેસ અથવા અન્ય એવિએશન ફેસિલિટીને કામચલાઉ ફેરફાર અથવા જોખમ વિશે માહિતી આપવામાં આવે છે. બંધ રનવે, હવામાનમાં ફેરફાર અથવા લશ્કરી કવાયત જેવી માહિતી માટે NOTAM જાહેર કરવામાં આવે છે..