
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા દેશની ચલણ વ્યવસ્થામાં સમયાંતરે મહત્વના ફેરફારો કરવામાં આવે છે. જેમાં પાંચ રૂપિયાના જાડા ધાતુના સિક્કાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય નોંધપાત્ર છે. આ નિર્ણય આર્થિક નુકસાન, ગેરકાયદે તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ઉત્પાદ બંધ કરવા છતા પણ હાલ બજારમાં પાતળા પિત્તળના સિક્કાઓ સાથે જાડા ધાતુના સિક્કા ચલણમાં માન્ય ગણવામાં આવે છે.
RBIએ પાંચ રૂપિયાના જાડા સિક્કાઓ, જે ક્યુપ્રો-નિકલ ધાતુના હતા, તેનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. આ સિક્કાઓની ધાતુની કિંમત તેના અંકિત મૂલ્ય કરતાં વધુ હતી, જેના કારણે તેને ઓગાળીને રેઝર બ્લેડ જેવી વસ્તુઓ બનાવવામાં આવતી હતી. ખાસ કરીને બાંગ્લાદેશમાં આ સિક્કાઓની તસ્કરી થતી હતી, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની હતી. હવે માત્ર પાતળા પિત્તળના સિક્કાઓનું ઉત્પાદન યથાવત રાખવામાં આવ્યું છે.
આર્થિક અને સુરક્ષા મુદ્દાઓ
જાડા સિક્કાઓની ધાતુની ઊંચી કિંમતને કારણે તેનું ઉત્પાદન ખર્ચાળ હતું. એક સિક્કો ઓગાળીને 4-6 રેઝર બ્લેડ બનતા, જે રૂ. 2ના ભાવે વેચાતા, જેથી રૂ. 5ના સિક્કામાંથી રૂ. 8-12ની કમાણી થતી. આનાથી ચલણની અખંડિતતાને નુકસાન થતું હતું. આ ઉપરાંત બાંગ્લાદેશમાં તસ્કરીથી સરહદ પારની ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હતું, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હતું.
નવી ચલણ નીતિ અને જનતા માટે માહિતી
RBIએ જાડા સિક્કાઓની જગ્યાએ પાતળા પિત્તળના સિક્કાઓનું ઉત્પાદન શરૂ કર્યું, જેની ધાતુની કિંમત ઓછી છે. જણાવી દઈએ કે જાડા સિક્કાઓ હજુ લીગલ ટેન્ડર છે, પરંતુ તેનું ઉત્પાદન બંધ થયું હોવાથી તે બજારમાં ઓછા જોવા મળે છે. જનતાએ અફવાઓથી બચવું જોઈએ અને RBIની વેબસાઈટ (www.rbi.org.in) પરથી સાચી માહિતી મેળવવી જોઈએ.
આ પણ વાંચો….કેવી હશે 5000 રૂપિયાની નોટ? RBIએ શું કહ્યું જાણી લો એક ક્લિક પર…