એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: કૉંગ્રેસે મોદી પર ભરોસો રાખવો જોઈએ, મહાજૂઠા ટ્રમ્પ પર નહીં

-ભરત ભારદ્વાજ

કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનના પીઠ્ઠુઓએ કરેલા આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનની હાલત બગાડી નાખેલી. તેનાથી ડરીને પાકિસ્તાને ભારતને આજીજી કરી પછી ભારતે પાકિસ્તાનની દયા ખાઈને યુદ્ધવિરામ સ્વીકારેલો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સાવ ટાઢા પહોરનું ગપ્પું હાંકીને દાવો કરેલો કે, અમેરિકાની મધ્યસ્થીથી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે.

ટ્રમ્પે મોટો મીર માર્યો હોય એમ ફિશિયારી મારી હતી કે, પોતે ભારત અને પાકિસ્તાનને બિઝનેસ બંધ કરવાની ધમકી આપી તેનાથી ડરીને બંનેએ યુધ્ધવિરામ માટે માનવું જ પડ્યું. ભારતે ટ્રમ્પની વાતને નકારી કાઢેલી ને સાફ શબ્દોમાં કહેલું કે, ભારત પાકિસ્તાન જ નહીં પણ કોઈ પણ બીજા દેશ સાથેના વિવાદમાં ત્રીજા પક્ષની મધ્યસ્થી નથી સ્વીકારતું પણ આપણે ત્યાં કૉંગ્રેસ સહિતના વિપક્ષો કાગારોળ મચાવ્યા કરે છે કે, નરેન્દ્ર મોદી સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણ ટેકવી દીધા અને અમેરિકાની મધ્યસ્થી સ્વીકારીને પાકિસ્તાનને પાઠ ભણાવીને પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) છિનવી લેવાની સુવર્ણ તક ગુમાવી દીધી.

મોદીએ વિપક્ષોની આ વાતનો જવાબ આપતાં ડોનલ્ડ ટ્રમ્પને સ્પષ્ટપણે કહી દીધું છે કે. ભારત કોઈપણ સંજોગોમાં કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારતું નથી. ભૂતકાળમાં અમે કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી ને અત્યારે પણ નથી સ્વીકારતા. મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ એ ફોન પર થઈ છે અને આ ફોન ટ્રમ્પે કર્યો હતો. કેનેડામાં જી-7 સમિટમાં મોદી અને ટ્રમ્પ મળવાના હતા પણ ટ્રમ્પ વહેલા ભાગી ગયા તેથી મોદી-ટ્રમ્પ ના મળી શક્યા.

ઇઝરાયલ-ઈરાન કટોકટીને બહાને ટ્રમ્પ કેનેડાથી નીકળી ગયા તેથી મોદી-ટ્રમ્પની નિર્ધારિત રૂબરૂ મુલાકાત થઈ શકી ન હતી એટલે જી7 સમિટ દરમિયાન ફોન પર ટ્રમ્પને સીધા શબ્દોમાં આ વાત કહી દેવામાં આવી. આ ફોન ટ્રમ્પે કર્યો હતો અને લગભગ 35 મિનિટની વાતચીત દરમિયાન મોદીએ ભારતની નીતિ સ્પષ્ટ કરીને તડ ને ફડ કરીને કહી દીધું કે, કાશ્મીર અથવા પાકિસ્તાન સંબંધિત મુદ્દા પર ભારતનું વલણ સ્પષ્ટ જ છે કે, આ બધા દ્વિપક્ષીય મુદ્દા છે અને કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકાર્ય નથી.

મોદીએ ટ્રમ્પને એ પણ કહી દીધું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા સમય પહેલાંના લશ્કરી તણાવમાં ને પછી સ્વીકારાયેલા યુદ્ધવિરામમાં અમેરિકા કે અન્ય કોઈ દેશની મધ્યસ્થી નથી. સરહદ પર લશ્કરી કાર્યવાહી રોકવા અંગેની વાટાઘાટો બંને દેશોની સેનાઓ વચ્ચે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી લશ્કરી ચેનલો દ્વારા થઈ હતી અને આ વાટાઘાટો પણ પાકિસ્તાનની પહેલ પર થઈ હતી

આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ લાંબું ચાલે તો હાલત બગડી જાય

મોદી સરકારે સત્તાવાર રીતે ટ્રમ્પને સુણાવી દીધું તેની વિગતો વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આપી પછી કૉંગ્રેસને તેની સામે પણ વાંધો પડ્યો છે. કૉંગ્રેસનું કહેવું છે કે, મોદી 37 દિવસ સુધી ચૂપ હતા ને હવે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી તેમાં ભારત કોઈની મધ્યસ્થી નહીં સ્વીકારે એવો દાવો કરી રહ્યા છે એ હાસ્યાસ્પદ છે.

કૉંગ્રેસના કહેવા પ્રમાણે, પાકિસ્તાનની આર્મી ચીફ આસીમ મુનિર અમેરિકામાં છે અને ડોનલ્ડ ટ્રમ્પે તેમને વાઈટ હાઉસમાં લંચ માટે બોલાવીને મોદી સરકારને ત્રીજો ઝાટકો આપ્યો તેની નાલેશીથી બચવા સરકાર આ વાતો કરી રહી છે. કૉંગ્રેસના કહેવા પ્રમાણે, ટ્રમ્પે વારંવાર મધ્યસ્થી કરી હોવાનું કહીને ભારતને પહેલો ઝટકો આપેલો. એ પછી અમેરિકાના લશ્કરના ટોચના અધિકારીએ પાકિસ્તાનને આતંકવાદ સામેની લડાઈમાં મહત્ત્વનું સાથી ગણાવીને વખાણ કરીને બીજો ઝાટકો આપેલો ને હવે મુનિરને લંચ પર બોલાવીને ત્રીજો ઝાટકો આપ્યો છે.

કૉંગ્રેસની વાતો હાસ્યાસ્પદ છે. કૉંગ્રેસ હજુય ટ્રમ્પના જૂઠાણાને સાચું સાબિત કરવા મથ્યા કરે છે એ જોઈને હસવું આવે છે. ટ્રમ્પ જૂઠાણાં ચલાવવામાં ચેમ્પિયન છે અને રોજ સવાર પડે ને કોઈ ને કોઈ જૂઠાણું તેમના મોંમાંથી બહાર આવે છે. તેના કારણે ટ્રમ્પ દુનિયામાં હાસ્યાસ્પદ બની ગયા છે ને કોઈ તેમની વાત પર ભરોસો કરતું નથી પણ કૉંગ્રેસ તેમની વાત પર ભરોસો કરે છે. કૉંગ્રેસના ભારતના વડા પ્રધાનની વાત પર ભરોસો નથી પણ મહાજૂઠા ટ્રમ્પની વાત પર ભરોસો છે એ જોઈને આઘાત લાગે છે. ભારતે સત્તાવાર રીતે કહ્યું કે, ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો નથી જ્યારે અમેરિકાએ સત્તાવાર રીતે કદી એવું કહ્યું નથી કે, અમારી મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો છે. જે વાતો ચાલે છે એ બધી ટ્રમ્પ જ ચલાવે છે છતાં કૉંગ્રેસને ટ્રમ્પ સાચા લાગે છે તો આપણે શું કરી શકીએ? જૈસી જિસ કી સોચ.

કૉંગ્રેસને ટ્રમ્પ પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિરને વાઈટ હાઉસમાં લંચ માટે નોંતરે એ બહુ મોટી વાત લાગે છે. કૉંગ્રેસ એ મુદ્દે મોદી પર કટાક્ષ કરી રહી છે ત્યારે કોંગ્રેસે થોડો ઈતિહાસ પણ યાદ કરી લેવાની જરૂર છે. કૉંગ્રેસના શાસન વખતે પાકિસ્તાનના સત્તાધીશોનું અમેરિકામાં કેવું સ્વાગત થતું હતું એ કહેવાની જરૂર નથી. અમેરિકા એ વખતે પાકિસ્તાનને અછોવાનાં કરતું ને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓને લાડ લડાવતું. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાન બહુ મદદ કરે છે એવું કહીને ભરપેટ વખાણ કરતું ને છતાં કૉંગ્રેસ સરકારો ચૂપચાપ બધું જોતી જ હતી અને અમેરિકા સાથે સારા સંબંધો પણ રાખતી જ હતી.

અમેરિકા અને ભારતના સંબંધોમાં સીમાચિહ્નરૂપ મનાતા પરમાણુ કરાર 2008માં ડો. મનમોહનસિંહના શાસન વખતે જ થયા હતા. મુંબઈના 1993ના બોમ્બ બ્લાસ્ટથી માંડીને 2008ના મુંબઈ પરના ભીષણ આતંકવાદી હુમલા સુધીની ઘટનાઓ કૉંગ્રેસના શાસનમાં જ બની હતી. એ વખતે પાકિસ્તાન અમેરિકાના ખોળામાં બેઠેલું હતું એટલે ભારતે ઢગલો પુરાવા આપ્યા છતાં અમેરિકાએ પાકિસ્તાનને કશું નહોતું કર્યું.

એ છતાં કૉંગ્રેસ સરકારોએ ના તો અમેરિકા સાથેના સંબંધો તોડેલા કે ના પાકિસ્તાનના સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હવે ટ્રમ્પે એક જૂઠાણું ચલાવ્યું તેનું પૂંછડું પકડીને કૉંગ્રેસ બેસી ગઈ છે. કૉંગ્રેસે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.
માત્ર મોદીની ખામીઓ શોધીને ટીકાઓ કર્યા વિના કૉંગ્રેસે થોડાંક હકારાત્મક કામો પણ કરવાં જોઈએ. વિપક્ષ તરીકે કૉંગ્રેસ મોદી સરકારની ખામીઓ શોધે કે મોદીની પણ ટીકા કરે તેમાં કશું ખોટું નથી પણ એ ટીકા પણ દમવાળી હોવી જોઈએ. કૉંગ્રેસ એ નથી કરી રહી ને પાણીમાંથી પોરા કાઢવાનો ધંધો કરી રહી છે.

આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર: અમેરિકા-ચીન વ્યાપાર કરાર, ટ્રમ્પને નમ્યા વિના છૂટકો નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button