રાજા રઘુવંશી હત્યાકાંડ: 25 દિવસમાં કર્યા 112 કોલ, સોનમને મદદ કરનાર એ મિસ્ટરી મેન કોણ?

ઈન્દોર: રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ પત્ની સોનમ પતિ રાજા રઘુવંશીની હત્યા કરવામાં સફળ રહી હતી. રાજાની હત્યાને અંજામ આપવામાં સોનમની કોણે કોણે મદદ કરી તેની પોલીસ તપાસ કરી રહી છે. સોનમના કોલ રેકોર્ડ તપાસતા એક સંજય વર્મા નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. જેણે 25 દિવસમાં 112 વખત સોનમ સાથે વાત કરી હતી.
આપણ વાંચો: સોનમે સ્ટેજ પરથી લોકોની સામે રાજાને આપ્યું હતું આ વચન
સોનમનો મદદગાર વ્યક્તિ છે સંજય વર્મા?
રાજા રઘુવંશી હત્યાકાંડના ઘટનાક્રમો અને સોનમે પોલીસને આપેલી જુબાનીની ઉલટતપાસ કરતા પોલીસને આશંકા છે કે તેની કોઈ વ્યક્તિએ મદદ કરી હતી. બે ઘટનાઓ પરથી આ આશંકા સાચી પડે છે. જે પૈકીની પહેલી ઘટના 8 જૂનની છે. 8 જૂન 2025ની રાત્રે ગાઝીપુરના સૈદપુરની રહેવાસી ઉઝાલા યાદવ લખનઉથી વારાણસી આવી હતી.
ત્યાંથી ગાઝીપુર જવા માટે તે બસમાં બેસી હતી. આ સમયે સોનમ પણ વારાણસીથી તેની સાથે બસમાં ચઢી હતી. ઉઝાલાએ સોનમ સાથે બે યુવકોને પણ જોયા હતા. જેમણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.
આપણ વાંચો: રાજા રઘુવંશી હત્યાકાંડ: વિશાલે ઈન્દોરમાં ત્રણ મહિના માટે બુક કરાવ્યો હતો ફ્લેટ
ઉઝાલાએ જણાવ્યું કે, “બસ યાત્રા દરમિયાન હું રાજા રઘુવંશી હત્યાકાંડ સાથે જોડાયેલા વીડિયો જોઈ રહી હતી. ત્યારે સોનમે મને તે વીડિયો ન જોવા માટે કહ્યું હતું. સોનમે મારી પાસેથી ફોન માંગીને એક નંબર પણ ટાઈપ કર્યો હતો, પરંતુ કોલ કર્યો ન હતો અને તેને ડિલીટ કરી નાખ્યો હતો.”
સોનમે ગાઝીપુરના જે કાશી ટી સ્ટોલ ખાતેથી પોતાના ભાઈ ગોવિંદને ફોન કર્યો હતો. તેના માલિક સાહિલ યાદવે જણાવ્યું હતું કે, “સોનમ એક ગાડીમાંથી ઉતરીને અમારી દુકાને આવી હતી.
તે ખરાબ હાલતમાં ન હતી.” આમ ઘટનાક્રમો અનુસાર સોનમની અન્ય લોકોએ પણ મદદ કરી હોય તેવું માલૂમ પડે છે. ત્યારે હવે સંજય વર્માનું નામ સામે આવ્યું છે. સંજય વર્મા સોનમને મદદ કરનાર વ્યક્તિ હોઈ શકે છે.
આપણ વાંચો: રાજા રઘુવંશી હત્યાકાંડ: ‘ઓપરેશન હનીમૂન’થી ખુલ્યા રહસ્યો
સંજય વર્મા અંગે શું કહે છે પોલીસ?
શું સંજય વર્માએ જ સોનમની મદદ કરી હતી? સોનમને વારાણસી સુધી લાવવામાં સંજયની કોઈ ભૂમિકા હતી? ઉઝાલાએ જે બે યુવકો વિશે જણાવ્યું તે પૈકીનો એક યુવક સંજય વર્મા હોઈ શકે છે કે કેમ? આ સવાલો પોલીસની સામે છે. પરંતુ પોલીસનું કહેવું છે કે, સોનમ અને તેના સાગરીતોએ ખોટા નામે સિમ કાર્ડ લીધું હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજા રઘુવંશી હત્યાકાંડ કેસમાં પોલીસને હત્યામાં ઉપયોગમાં લેવાયેલા બે હથિયારો મળી ચૂક્યા છે. સોનમના પ્રેમી રાજ કુશ્વાહે પોતાના ત્રણ મિત્રો આકાશ, વિશાલ અને આનંદને રાજાની હત્યા કરવા માટે તૈયાર કર્યા હતા. જેના માટે રાજે તેઓને 59,000 રૂપિયા આપ્યા હતા.