ઈન્ટરવલ

તસવીરની આરપાર : કંથકોટનો કિલ્લો કચ્છનો અતુલ્ય વારસો છે

-ભાટી એન.

કચ્છનો નહીં ગુજરાતનો સર્વથી ઊંચો કિલ્લો કંથકોટનો કિલ્લો તેના ઇતિહાસના લીધે વિખ્યાત છે પણ ધરતીકંપ બાદ તેમાં ઘણું પરિવર્તન આવી ગયું છે પણ અગાઉ લીધેલ આ તસવીર જોઈ તેની જાહોજહાલીનો અંદાજો આવશે. કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો આવેલ છે! તેનું ઐતિહાસિક મહત્ત્વ અનેરું છે.

કચ્છની છત્રીઓ, મંદિરો, વાવ અને કિલ્લો સવિશેષ વાતો સાચવીને અડીખમ ઊભા છે. કચ્છની ભૂધરા પર ‘કંથકોટનો કિલ્લો’ ખૂબ ઊંચાઈએ છે, તેની વિશેષતા છે ઊંચા ડુંગર ઉપર બનેલો આ કિલ્લો અને તેની સારી બાંધણી. કિલ્લાના પ્રવેશદ્વાર પાસે હારબંધ પાળિયા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે
છે અને પાળિયાની કોતરણી અદ્ભુત
છે. ‘કંથકોટનો કિલ્લો’ પાંચ કિલોમીટરના ઘેરાવામાં છે.

આ કિલ્લો જામ મોડના પુત્ર સાંડે ‘કંથકોટનો કિલ્લો’ બંધાવેલ પણ આ કિલ્લો બનાવવા પાછળ પણ કથા ઢબુરાયને પડી છે. જામ મોડે કચ્છના રક્ષણ માટે કચ્છના પૂર્વમાં વાગડ પરગણામાં એક ડુંગર ઉપર કિલ્લો બાંધવા નક્કી કર્યું ત્યાં કંથડનાથ નામના તપસ્વી આશ્રમ બાંધીને રહેતા હતા.

આપણ વાંચો: ‘તો શું લાલ કિલ્લો, તાજમહેલ, કુતુબ મિનારને તોડી પાડશો…’, સંભલ હિંસા મામલે ખડગેના સવાલ

તેને આ જગ્યા ખાલી કરી આપવા કહ્યું, કથંડનાથ નહિ માનતા આશ્રમ થોડે દૂર ફેરવ્યો અને કિલ્લાનું બાંધકામ શરૂ કર્યું. એકાદ વર્ષમાં કિલ્લો બંધાઈ જતાં કંથડનાથે પોતાની કંથામાંથી એક દોરો કાઢતા કિલ્લો આખો જમીનદોસ્ત થઈ ગયો! જામ મોડ – જામ સાંડે ત્યાં જ કિલ્લો બાંધવા કંથડનાથના શિષ્ય ભસ્મનાથની સાથે મિત્રતા બાંધી ત્યાં કિલ્લો બાંધવાની આજ્ઞા મેળવી, કિલ્લો બાંધ્યો અને સાધુ કથંડનાથના નામ ઉપરથી ‘કંથકોટ’ નામ આપવામાં આવ્યું. 10મી સદીમાં બનેલ સમાઓ પાસેથી આ કિલ્લો દેદા રાજપૂતો પાસે ગયો અત્યારે પણ ‘કંથકોટ’માં દેદા રાજપૂતો રહે છે.

‘કંથકોટ કિલ્લા’ના દર્શન તો દૂર દૂરથી થાય છે. પરંતુ તેની સમૃદ્ધિના દર્શન કરવા માટે લગભગ 450 ફૂટ ઊંચે ડુંગરે ચડવું પડશે. યોગી કંથડનાથના નામ સાથે જોડાઈ અમર બનેલ આ કીર્તિ કોટડાની કથા ઘણી ભવ્ય અને એટલી જ ઈતિહાસની દૃષ્ટિએ ઉપયોગી છે.

કંથાદુર્ગ તરીકે તે કાળે જાણીતા આ દુર્ગમાં ગુજરાતના રાજવીઓ મુળરાજ સોલંકી અને ભોળા ભીમદેવને આશ્રય સાંપડ્યો હતો. આ કિલ્લાનું બાંધકામ કરનાર સ્થપતિની કુશળતા અને દિર્ઘદ્રષ્ટિ માટે ખૂબ માન ઉત્પન્ન થાય છે. કિલ્લાની રચના તેનું મુખ્ય પ્રવેશદ્વાર અને રાજમાર્ગ એવા રચ્યાં છે કે સૈનિકોની દૃષ્ટિએ તે ખૂબ અગત્યના બની રહે છે.

આપણ વાંચો: “ઈસ્લામાબાદમાં 10 હજાર સૈનિકો તૈનાત” SCO સમિટ પહેલા પાકિસ્તાનની રાજધાની બની ગઇ છે કિલ્લો!

અહીં માત્ર રાજદુર્ગ નથી. સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના ભંડારો વિપુલ પ્રમાણમાં છે. પૂર્વાભિમુખ સૂર્યમંદિરમાં પોણા પાંચ ફૂટ ઊંચી સૂર્ય મૂર્તિ છે. તેના બેઉ હાથ જોડેલા દર્શાવ્યા છે અને મૂર્તિ ઊભેલી છે.

મંદિરનું ગર્ભગૃહ અડધું પડી ગયું છે છતાં છતના ઘુમ્મટો અને સ્તંભો જર્જરીત હાલતમાં ટકી રહ્યાં છે. સમયની થપાટો ઘસારા ખમવા છતાં પણ તેમાં ઉત્તમ કૃતિ કારીગરી અને ભવોનું પરીક્ષણ સ્પષ્ટ ભાસે છે. તેના એક સ્તંભ ઉપર ભગવાન રુદ્રની પ્રાર્થના કોતરેલી છે. કાઠી દરબારના ઇષ્ટદેવ સૂર્યનું આ મંદિર હોવાથી અનુમાન થાય છે કે અહીં કાઠીઓની રાજધાની હશે.

કિલ્લા ઉપર એક શિવાલય છે અને ઊંચા પડથાર પર યોગી કંથડનાથનું મંદિર છે. અહીંયા બાજુમાં એક જૈન મંદિરના અવશેષો ઊભા છે તે ખાસ ધ્યાનાકર્ષક લાગે છે. સોળથંભી તરીકે ઓળખાતું સ્થળ એ બીજું સંભારણું છે. અહીં એક ભવ્ય જૈન મંદિર હતું. તેના પૂર્ણ વૈભવકાળની કલ્પના કરીએ તો સમજાય છે કે તેના ગર્ભગૃહની બહારનો સભામંડપ વિશાળ હતો.

મેઘમંડપની શોભા માટે નિર્માણ કરવામાં આવેલા કીર્તિમુખો, હંસ અને માનવ શિલ્પો ઘણાં કલાસભર હતાં. ઘસાઈ ગયેલી શિલ્પ સમૃદ્ધિ ઉપરથી તેના નવસર્જન સમયની શોભા, સજાવટ અને ભવ્યતાની માત્ર ભાવભરી કલ્પના જ કરવાની રહે છે.

આપણ વાંચો: Bombથી ઉડાવી દેશે સંસદ- લાલકિલ્લો Khalistaniએ સાંસદને આપી ધમકી, સાંસદે રાજ્યસભા અધ્યક્ષને પત્ર લખ્યો

સમૃદ્ધિ અને શ્રદ્ધાભર્યા ભવ્ય ભૂતકાળનાં રેખાંકનો તે ભગ્નવશેષોમાં ભાળી શકાય છે. કંથા દુર્ગ ઉર્ફે કંથકોટની અસ્મિતાનો ઐતિહાસિક
સૂર્ય અસ્ત થયો છે અને અત્યારે ત્યાંના અવશેષોની માત્ર પત્થરરૂપે જ ઉપયોગિતા રહી છે. પરિણામે ગ્રામજનોએ પોતાનાં મકાનોમાં વાપરેલા વાચા આપનારા અનેક પથ્થરો મૂંગા બની ગયા છે.

કંથકોટના ડુંગર ઉપર વિશાળ સમથળ ભૂમિ છે! દુર્ગની રચના વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘણી મૂલ્યવાન ગણાય તેવી છે. લાંબો સમય દુશ્મનો સામે ટકી શકાય તેવી સમગ્ર સુવિધાઓ ત્યાં હતી. આજે તો દુર્ગના દરવાણી જેવો દરવાજો એકલો અટૂલો ઊભો છે. દરવાજાના દર્શન જેવી રીતે પ્રથમ દૃષ્ટિએ જ તેની વ્યૂહાત્મક મજબૂતી દર્શાવે છે.

તેવી જ રીતે તે પોતે શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ પણ સમૃદ્ધ છે તે દર્શાવે છે. 26 જાન્યુઆરી, 2001ના ભયાવહક ભૂકંપમાં પણ ‘કંથકોટના કિલ્લો’ ઘણો ક્ષતિગ્રસ્ત થયેલ છે. ‘પડ્યા પર પાટુ’ જેવો તાલ થયો છે તેમ છતાં કચ્છનું ગૌરવસમાન ઐતિહાસિક કિલ્લો પોતાની ભવ્યતાને દિવ્યતાને સાચવીને અડીખમ ઊભો છે. ‘કંથકોટના કિલ્લા’ના પાળિયા, કિલ્લો,
જૈન મંદિરના ભગ્ન અવસરોની બારીકતમ નકશીકામ જોવા જેવી ખરી કચ્છમાં આવી તો ઘણી વિરાસત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button