
અમદાવાદ: 12 જૂનના થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ આખા દેશમાં હડકંપ મચાવ્યો છે. આ દુર્ઘટનામાં 297 લોકોના મોત થયા છે, આ દુર્ઘટનાને લઈ વિવિધ એજન્સી દ્વારા તપાસ ચાલુ છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં સાત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં વધતા તણાવને લઈ ઈરને પોતાનું એર સ્પેસ બંધ રાખ્યું છે જેથી DGCAએ ફ્લાઈટ ઓપરેટરોને વૈકલ્પિક રૂટ અપનાવવા નિર્દેશ આપ્યા છે.
આ બેઠકમાં વિમાનોમાં ટેકનિકલ ખામીઓથી ઉડાનમાં વિલંબની સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. DGCAએ આ વિલંબ ઘટાડવા તાકીદ કરી. વળી, ઈરાનના એરસ્પેસ બંધ થવાથી ઉડાનો પર થતી અસરોની પણ સમીક્ષા કરવામાં આવી. એર ઇન્ડિયાના બોઇંગ 787 ફ્લીટની તપાસમાં કોઈ મોટી સુરક્ષા સમસ્યા જણાઈ નથી, અને તેની જાળવણી પ્રક્રિયા સુરક્ષા માપદંડોને અનુરૂપ જોવા મળી.

બેઠકમાં બોઇંગ 787-8/9 ફ્લીટની વિશેષ સુરક્ષા તપાસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, જે 17 જૂન, 2025ના બપોર 3 વાગ્યા સુધીની હતી. DGCAએ એરલાઇન્સને નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ મુસાફરોને સમયસર માહિતી અને સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું. એરલાઇનના વિવિધ વિભાગો વચ્ચે વધુ સારા સંકલન સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી હતી, જેથી ફ્લાઇટ કામગીરી વધુ સારી અને સુરક્ષિત બની શકે.
એર ઇન્ડિયાની વાઇડ-બોડી ઉડાનો, ખાસ કરીને બોઇંગ 787 ફ્લીટના તાજેતરના સંચાલન ડેટાની પણ DGCAએ સમીક્ષા કરી. આ બેઠક દરમિયાન ઉડાન સુરક્ષા અને મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો. આ ઘટના બાદ સરકાર અને એવિએશન સત્તાધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આપણ વાંચો : DGCAએ એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનોને ક્લીનચીટ આપી; સાથે મેન્ટેનન્સ માટે સલાહ આપી