તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન એટલે યોગ કે યોગાસનનો અભ્યાસ એટલે યોગાભ્યાસ

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
વસ્તુત: યોગાસન તો યોગના આઠ અંગોમાંનું ત્રીજું અંગ છે, આઠમાંનું એક અંગ છે અને તે પણ પ્રારંભિક અંગ છે. યોગાસનનો અભ્યાસ તો યોગાભ્યાસનો પ્રારંભ છે, તેથી યોગાસન એટલે યોગ કે યોગાસનનો અભ્યાસ એટલે યોગાભ્યાસ, તેમ માનવાની ભૂલ કરવી જોઈએ નહિ.

યોગવિષયક આ ભ્રામક માન્યતાઓનું નિરસન કર્યા પછી હવે આપણે જોઈએ કે યોગ યથાર્થત: શું છે.

  1. શાસ્ત્રોમાં યોગાસન:

યોગશાસ્ત્રોમાં યોગાસનના સ્વરૂપ વિશે અનેક ઉલ્લેખો જોવા મળે છે. આમાંના મહત્ત્વપૂર્ણ ઉલ્લેખોને સમજવાથી આપણને યોગાસનના યથાર્થ સ્વરૂપને સમજવામાં સહાય મળશે. તેથી આપણે અહીં જોઈએ કે યોગાસન વિશે શાસ્ત્રોમાં શું કહેવામાં આવેલ છે.

(१) स्थिरसुखमासनम्| – योगसूत्र ; २-४७
‘સુખપૂર્વકની સ્થિર સ્થિતિને આસન કહેવામાં આવે છે.’

(२) प्रयत्नशैथिल्यानन्त समापत्तिभ्याम्| – योगसूत्र ; २-४८

‘પ્રયત્ન ઓછો કરવાથી અને અનંત પર ધ્યાન કરવાથી તે સિદ્ધ થાય છે.’

(३) ततो द्वन्द्वानभिघातः| – योगसूत्र ; २-४९

‘તેના અભ્યાસથી દ્વંદ્વોના આઘાતમાંથી મુક્તિ મળે છે.’

(४) कुर्यात्तदासनं स्थैर्यमारोग्यं चाङ्गलाघवम् – हठप्रदीपिका ; १-१७

‘તે આસન (શરીર અને મનની) સ્થિરતા અને આરોગ્ય તથા લાઘવ આપે છે.’

(५) आसनेन भवेद् दृढम् – घेरण्ड संहिता; १-१०

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન ચિકિત્સા પદ્ધતિ નથી!

‘આસનથી દૃઢતા સિદ્ધ થાય છે.’

  1. યોગાસન એટલે શું?
    યોગાસનનું ખરું સ્વરૂપ છે, તે વિશે શાસ્ત્રોમાં આવેલાં ઉપરોક્ત વિધાનોથી તેના સ્વરૂપ પર ઠીક ઠીક પ્રકાશ પડે છે. આમ છતાં યોગાસનની સંપૂર્ણ વ્યાખ્યા આપવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે.

આપણે યોગાસનને આ રીતે સમજાવી શકીએ-
‘યોગાસન એક એવી સુખપ્રદ મનોશારીરિક અવસ્થા છે, જે શરીરને દૃઢતા, મનને સ્થિરતા આપીને, તમને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે.’

આ વ્યાખ્યામાંથી નિષ્પન્ન થતા મુદ્દાઓ જોઈએ:

(1) યોગાસન શરીરની એક અવસ્થા છે, ગતિ નહિ.

(2) યોગાસન મનોયોગપૂર્વકની શારીરિક અવસ્થા છે.

(3) યોગાસન સુખપ્રદ અવસ્થા છે, કષ્ટપ્રદ નહિ.

(4) યોગાસન શરીરને દૃઢતા અને મનને સ્થિરતા આપે છે.

(5) યોગાસનનું મુખ અધ્યાત્મ તરફ છે.

યોગાસન યોગની પ્રારંભિક અવસ્થા છે, આમ છતાં તે પ્રારંભ અધ્યાત્મયાત્રાનો પ્રારંભ છે, તે સતત યાદ રાખવું જોઈએ.

જેમ સમાધિ ચિત્તની ભૂમિકા પરનો નિરોધ છે, તેમ યોગાસન શરીરની ભૂમિકા પરનો નિરોધ છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામ દરમિયાન વિશિષ્ટ પ્રકારના સંદેશ મગજ સુધી મોકલવામાં આવે છે

  1. યોગાસનનાં મૂળભૂત તત્ત્વો:

યોગાસનમાં શરીરને કોઈ એક નિશ્ર્ચિત અવસ્થામાં રાખવાનું હોય છે, પરંતુ શરીરની કોઈ એક નિશ્ર્ચિત અવસ્થા ધારણ કરવામાત્રથી જ, તે અવસ્થા યોગાસન કહેવાને પાત્ર બનતી નથી. શારીરિક રીતે તે અવસ્થા સર્વાંગસંપૂર્ણ હોય તોપણ તે અવસ્થા યોગાસન બને જ એવું નથી. દા.ત. શરીરને માત્ર ઊંધે માથે ગોઠવવાથી જ શીર્ષાસન બનતું નથી. શરીરની આ અવસ્થાને સાચા અર્થમાં યોગાસન બનાવવા માટે સાધકે કેટલીક વિશેષ બાબતોને સમજીને તેને અમલમાં મૂકવાની હોય છે. આ મૂળભૂત તત્ત્વોને હવે આપણે જોઈએ:

(1) કોઈ પણ યોગાસનના બે ભાગ હોય છે: સ્થિરભાગ (static part) અને ચલિત ભાગ (Dynamic part) યોગાસનની પૂર્ણાવસ્થા કે અંતિમ અવસ્થાને પહોંચવા માટે શરીરની જે ગતિ કરવી પડે તેમ જ આ પૂર્ણાવસ્થામાંથી મૂળ અવસ્થામાં પાછા આપવા માટે શરીરની જે ગતિ કરવી પડે, તે બંને ગતિમાન ભાગને યોગાસનનો ચલિત ભાગ કહે છે.

યોગાસનમાં ચલતિ ભાગ ગૌણ અને સ્થિર ભાગ મુખ્ય છે. આ સ્થિર અવસ્થા જ વસ્તુત: યોગાસન છે. આ અવસ્થામાં અમુક નિશ્ર્ચિત સમય માટે રહેવું અનિવાર્ય છે. આસન બેસવાની ઘટના છે. યોગાસનમાં શરીર કોઈ એક નિશ્ર્ચિત અવસ્થામાં સ્થિરતાપૂર્વક રહે છે, તેથી યોગાસન કરવું એમ કહેવા કરતાં યોગાસનમાં હોવું એમ કહેવું તે વધારે સાચો શબ્દપ્રયોગ છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યક્તિના આવેગમાં પ્રાણાયામ ઉપયોગી થઈ શકે તેમ છે…

યોગાસનની આ અવસ્થામાં સાચા અર્થમાં રહેવા માટે સાધકે બે શરતો પૂરી પાડવી જોઈએ:

(અ) પ્રયત્ન શૈથિલ્ય (Effortness):-

અભ્યાસીએ બની શકે તેટલા ઓછામાં ઓછા આયાસપૂર્વક આ અવસ્થામાં રહેવું જોઈએ.

(ब) અનંત સમાપત્તિ:-

અનંત સમાપત્તિ એટલે આકાશ જેવી અનંત કે અમર્યાદ અવસ્થાનું ધ્યાન. કોઈ વળી અનંતનો અર્થ શેષનાગ લે છે. શેષનાગ પોતાના માથા પર પૃથ્વીને ધારણ કરીને સ્થિરતાપૂર્વક અવસ્થિત હોય છે. આ અવસ્થાનું ધ્યાન કરીને, તેવી સ્થિરતા ધારણ કરવી તેવો અર્થ તેઓ અનંત સમાપત્તિનો લે છે. આ બંને અર્થમાં પ્રથમ અર્થ વધુ ઠીક લાગે છે.

ઉપરોક્ત બંને શરતોમાં પ્રથમ શરત શરીરે અને બીજી શરત મને પૂરી પાડવાની હોય છે.

યોગાસનની ચલિત અવસ્થામાં સાધકે બે બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે:

(અ) શરીરની ગતિ ખૂબ ધીમી રાખવી જોઈએ. ઝટકા કે કૂદકા ટાળવા જોઈએ. આ ગતિ છેલ્લી ક્ષણ સુધી એકધારી રહેવી જોઈએ.

(બ) શરીરની આ ગતિ દરમિયાન સાધકનું ધ્યાન શરીરનાં જે અંગોની ગતિ થતી હોય તે અંગો તરફ અને તેમની ગતિ તરફ રહેવું જોઈએ.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે

આ વિષયમાં થયેલ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા ત્રણ હકીકતો પુરવાર થઈ છે. અભ્યાસીએ યોગાસનના અભ્યાસ દરમિયાન આ ત્રણે હકીકતો લક્ષમાં રાખવી જોઈએ:

(શ) કોઈ પણ આસન ધારણ કરવામાં આવે ત્યારે પ્રારંભની થોડી સેકંડો સુધી સાધકના શ્વાસોચ્છવાસ, હૃદયની ગતિ અને લોહીનું દબાણ વધે છે; પરંતુ થોડા વખત પછી આ ત્રણે ઘટવા માંડે છે. એટલે જો આસન ઝડપથી ધારણ કરીને, અમુક નિશ્ર્ચિત સમય સુધી ધારણ કરી રાખવાને બદલે તુરત છોડી દેવામાં આવે તો તેનાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થવા સંભવ છે.

યોગાસન ધારણ કર્યા પછી, પ્રારંભની અવસ્થા પૂરી થયા પછી શ્ર્વાસોચ્છ્વાસ, હૃદયની ગતિ અને લોહીનું દબાણ સામાન્ય થયા પછી જ યોગાસનની ખરી અવસ્થામાં પ્રવેશ કરીએ છીએ અને તે અવસ્થામાં સ્થિત થયા પછી જ યોગાસનના સાચા ફાયદા મળવાનો પ્રારંભ થાય છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: સમાધિ હઠયોગની સાધનાનું અંતિમ અંગ છે…

(શશ) યોગાસનનો યથાર્થ લાભ ત્યારે મેળવી શકાય છે, જ્યારે પ્રયત્નશૈથિલ્યની શરત પૂરી પાડવામાં આવે છે, અન્યથા નહિ.

(શશશ) પ્રત્યેક યોગાસન ધારણ કરવાની એક નિશ્ર્ચિત પદ્ધતિ હોય છે. આ પદ્ધતિને જ અનુસરવું જોઈએ. ધારણ કરવાની પદ્ધતિ અને અવસ્થામાં મન ફાવે તેવા ફેરફારો કરવા જોઈએ નહિ. આમ થાય તો જ તે યોગાસન યથાર્થત: ફળદાયી બને છે.

(2) પ્રત્યેક યોગાસનની એક ચાવી હોય છે. આ ચાવી લગાડીને જ સાધક યોગાસન દ્વારા અભિલક્ષિત અને પોતાને અભીષ્ટ એવી શરીર-મનથી જુદી એવી વિશિષ્ટ અવસ્થાનો અણસાર મેળવે છે. આ અવસ્થામાં પ્રવેશ થાય ત્યારે યોગાસન સાચા અર્થમાં યોગાસન બને છે. આ હકીકત ગુરુગમ્ય ને અનુભવગમ્ય છે. આમ છતાં તેનો કાંઈક અણસાર મેળવવા માટે આપણે એક દૃષ્ટાંત દ્વારા આ હકીકત સમજવાનો પ્રયત્ન કરીએ.

શીર્ષાસનની અંતિમ અવસ્થામાં શરીરને માથાને આધારે, માથું નીચે અને પગ ઉપર કરીને, તોળી રાખવાનું હોય છે. આ અવસ્થામાં આવ્યા પછી સાધક સમતુલા જાળવવા પ્રયત્નશીલ રહે છે. પગની ગતિ થોડી ઘણી તો ચાલુ જ રહે છે. હવે અહીંથી શીર્ષાસનના સૂક્ષ્મભાગનો પ્રારંભ થાય છે. સાધક પોતાનું ધ્યાન બંને પગના અંગૂઠા પર રાખે છે અને તેમની ગતિને નીરખે છે. સાવ સ્થિર લાગતી અવસ્થામાં પણ આ ગતિ થોડી ઘણી ચાલુ હોય છે. આ હકીકત ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતાં કરતાં સમજી શકાય છે. આ પ્રમાણે નિરીક્ષણ કરતાં કરતાં એક ક્ષણ એવી આવે છે કે બંને પગ સંપૂર્ણ સ્થિર બની જાય છે. આ જ ક્ષણે ચિત્તની પણ સ્તબ્ધ અવસ્થા બને છે. પગનું હલનચલન બંધ થતાં જ ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ પણ થોડી ક્ષણો માટે બંધ પડી જાય છે. આ અવસ્થામાં પ્રવેશતાં જ સાધક ચિત્તની એક વિશિષ્ટ અવસ્થાનો અનુભવ કરે છે. સાથે સાથે તે શરીરના હલનચલન અને ચિત્તના હલનચલનનો સંબંધ સમજે છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: હઠયોગ આસન, પ્રાણાયામ ને મુદ્રાઓના પદ્ધતિસરના અભ્યાસ…

શીર્ષાસનનું ખરું રહસ્ય આ છે. શીર્ષાસનનું ખરું સાફલ્ય આ અવસ્થામાં પહોંચવામાં છે. પ્રત્યેક સાચા યોગાસનમાં આવું કોઈક ચાવીરૂપ રહસ્ય સમાયલું છે.

(3) યોગાસનની અંતિમ અવસ્થામાં સાધકના શરીરન અવસ્થા સમરૂપ (Symmertical) હોય તે જરૂરી છે, કારણ કે શરીરની સ્થિતિને પ્રાણના પ્રવાહો સાથે અને પ્રાણના પ્રવાહોને ચિત્તની અવસ્થા સાથે સંબંધ છે.

(4) कुर्यात् अध्यात्म चेतसा | । આ આદેશ બધા જ પ્રકારનાં સાધનોને લાગુ પડે છે, તે જ રીતે યોગાસનને પણ લાગુ પડે જ છે.

યોગાસનના અભ્યાસ દરમિયાન સાધકે સતત અધ્યાત્માભિમુખી અને મનોવલણ રાખવાનું હોય છે. યોગાસનનો અભ્યાસ આખરે તો સમાધિ પ્રત્યે દોરી જનારી સાધના છે. આ પ્રકારની જાગૃતિ રાખવી જોઈએ.

આમ બને તો જ યોગાસન યથાર્થ યોગાસન બને છે.

આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : રાજયોગ પદ્ધતિસરનો સાધનમાર્ગ છે!

યોગાસનનો અભ્યાસ અધ્યાત્મયાત્રામાં પ્રારંભિક સોપાનરૂપ બની શકે છે. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સમજવો કેવી રીતે? આ કાર્ય યોગાસન કઈ રીતે સિદ્ધ કરે છે?

શરીરથી પ્રાણ સૂક્ષ્મ છે. પ્રાણથી ચિત્ત સૂક્ષ્મ છે અને આત્મા ચિત્તથી પર છે. અધ્યાત્મયાત્રા સ્થૂળથી શરૂ કરીને, સૂક્ષ્મમાં થઈને સૂક્ષ્માતિસૂક્ષ્મમાં અને આખરે પરમમાં પહોંચવાની યાત્રા છે. યોગાસનના અભ્યાસ દ્વારા પ્રાણના સૂક્ષ્મ પ્રવાહો પર અસર પહોંચે છે અને પ્રાણ દ્વારા આ યાત્રા ચિત્ત સુધી પહોંચે છે. અંતે ચિત્તવૃત્તિના નિરોધ દ્વારા ચિત્તને અતિક્રમીને આત્મા સુધી પહોંચાય છે.

આમ યૌગિક અધ્યાત્મયાત્રામાં યોગાસનનો અભ્યાસ પ્રથમ સોપાનરૂપ બની રહે છે.

આ રીતે યોગાસનનો અભ્યાસ પ્રથમ સોપાન બનીને અધ્યાત્મનું એક પ્રારંભિક છતાં મૂલ્યવાન સાધન બની શકે તેમ છે. આવી સ્પષ્ટ સમજણ સાધકના ચિત્તમાં હોય તે આવશ્યક છે.

  1. યોગાસન અને પ્રચલિત વ્યાયામપદ્ધતિની તુલના:

ખરેખર તો યોગાસનના અભ્યાસને પ્રચલિત વ્યાયામપદ્ધતિ સાથે સરખાવવો જોઈએ નહિ, કારણ કે યોગાસન કોઈ વ્યાયામપદ્ધતિ નથી. આમ છતાં બંનેમાં અધિષ્ઠાન શરીર છે અને યોગાસનનો અભ્યાસ શારીરિક કેળવણી માટે પણ વ્યાપક પ્રમાણમાં થાય છે. શરીરને કેળવવા માટે યોગાસનોનો અભ્યાસ ઉપયોગી થઈ શકે તેમ છે. વળી યોગાસન એક વ્યાયામપદ્ધતિ છે, તેવી ગેરસમજ પણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button