આરોગ્ય પ્લસ -સંકલન: અનેકવિધ સ્ત્રી રોગ

સ્મૃતિ શાહ-મહેતા
આપણે અહીં અનેક રોગ-બીમારી અને એના વિવિધ ઉપચારો વિશે જાણ્યું. એમાંથી મોટા ભાગના પુરુષ સ્ત્રીને એકસરખા પજવાતા રોગ વ્યાધિ અંગે હતા. હવે અહીં આપણે વાત કરવી છે એવી વ્યાધિ જે માત્ર સ્ત્રીને જ પજવે છે.
સ્ત્રી એ સાંસારિક જીવનનું એક અભિન્ન અંગ છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે. વળી, સ્ત્રી તો પુરુષની અર્ધાંગના કહેવાય છે. એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે, ‘દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે.’
જોકે પરમેશ્વરે તો પહેલેથી જ સૃષ્ટિના વહન માટે સ્ત્રીને જનેતાનું બિરુદ આપેલું છે તેથી સ્ત્રી એક માતા પણ છે માટે બાળકોના શારીરિક અને આધ્યાત્મિક ઘડતરના પહેલાં ગુરુ માતાને કહેવામાં આવે છે. સ્ત્રી એક ગૃહિણી હોવાથી રસોઈ બનાવી યોગ્ય આહાર દ્વારા પોતાના પરિવારના સ્વાસ્થ્યનું જતન કરવું તે પણ એમના ભાગે આવતી એક અગત્યની જવાબદારી છે.
આ બધી મહત્ત્વની જવાબદારી હોવાને કારણે સ્ત્રીનું સ્વસ્થ રહેવું અતિ આવશ્યક છે. વળી, સામાન્ય મનુષ્યના રોગ કરતાં પણ સ્ત્રીના શારીરિક બંધારણને કારણે અમુક રોગ સ્ત્રીઓને જ લાગુ પડે છે. આ હેતુને ધ્યાનમાં રાખીને અહીં સ્ત્રીઓને જ લાગુ પડતા રોગની સાવધાની અને તેના ઉપચારો દર્શાવ્યા છે.
સ્ત્રી સ્વાસ્થ્ય માટે વિશેષ ઉપયોગી
- 16થી 20 વર્ષની ઉંમરની દીકરીઓનાં લગ્ન વિશે એના દેખતા કે સાંભળતા ચર્ચા કરવી નહીં, પરંતુ ભણવામાં પ્રોત્સાહન આપવું. આ ઉંમર દરમિયાન શરીરનું વજન વધારે પ્રમાણમાં વધે અથવા માસિક અનિયમિત થાય તો થાઈરોઈડની તકલીફ તથા અંડાશયની ગાંઠ થઈ શકે છે. તેથી તે સમયે સ્ત્રી ચિકિત્સક પાસે નિદાન કરાવી લેવું.
- લગ્ન માટેની પુખ્ત ઉંમર થતાં દરેક દીકરીને લગ્ન થયા બાદ જરૂરી શારીરિક સંબંધ વિશેની તથા કુટુંબ નિયોજનની યોગ્ય માહિતી માતાએ આગોતરી આપવી, જેથી અનિચ્છિત ગર્ભધારણ ન કરે અને ગર્ભપાત કરાવવા જેવા કષ્ટદાયક યાતનાથી બચી શકાય.
- નિયમિત ચાલવાથી, કસરત તથા યોગાસન દ્વારા માસિક દરમ્યાન થતો દુ:ખાવો અટકાવી શકાય છે. માસિક દરમિયાન થતા દુ:ખાવાને ગરમ પાણીની થેલીથી પેઢા ઉપર શેક કરવાથી ઘટાડી શકાય છે.
- પેશાબ કર્યા બાદ સ્ત્રીએ ગુપ્તાંગોને પાણીથી ધોઈ સ્વસ્છ કરવા, જેથી યોનિમાં તથા પેશાબની નળીમાં થતા ચેપને અટકાવી શકાય.
- જ્યારે શ્વેતપ્રદર જેવી તકલીફ હોય તથા માસિક આવતું હોય ત્યારે ગુપ્તાંગોને પાણીથી વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા.
- જ્યારે માસિક વધુ પ્રમાણમાં આવતું હોય ત્યારે લોહતત્ત્વયુક્ત આહાર (લીલા શાકભાજી, બીટ, ગોળ, ચણા, ખજૂર, અંજીર, અખરોટ વગેરે) વધુ પ્રમાણમાં લેવા.
- યોગ્ય કસરત, યોગાસન તથા સંતુલિત તંદુરસ્ત આહારથી શરીરનું વજન સુમાત્રામાં રાખવું, જેથી મેદસ્વિતાથી થતી તકલીફો અટકાવી શકાય.
- માસિક બંધ થવાના સમયે વધારે માસિક આવે તો યોગ્ય તપાસ કરાવવી.
- માસિક બંધ થયા પછી હાડકાંને નબળાં પડતાં (ઓસ્ટિયોપરોસિસ) અટકાવવા દૂધ, દહીં, છાશ, કેળાં તેમ જ લીલા પાંદડાવાળા શાકભાજી વધુ પ્રમાણમાં લેવા.
- નિયમિત સ્તનનું સ્વપરીક્ષણ કરવાની ટેવ રાખવી, જેથી તેમાં થયેલી ગાંઠોને શરૂઆતના તબક્કામાં જ અનુભવીને સમયસર ચિકિત્સકની સલાહ લઈ શકાય.
- સ્ત્રીઓએ મળત્યાગ બાદ ગુદા સફાઈ કરતી વખતે હાથને યોનિથી ગુદાની તરફ લઈ જવો જોઈએ. તેનાથી વિરુદ્ધ દિશામાં હાથ ફેરવી સફાઈ કરવાથી યોનિ સંબંધી ચેપી રોગ થવાની સંભાવના વધે છે.
- સ્ત્રીને 23થી 28 વર્ષની ઉંમરે ગર્ભ ધારણ કરવાથી સ્વસ્થ સંતાન પ્રાપ્ત થવાની સંભાવના વધુ હોય છે. તેથી તે ઉંમર દરમિયાન ગર્ભ ધારણ કરવો વધુ હિતકારક છે, જેમકે…..
વિવિધ સ્ત્રીરોગના ઉપચાર
માસિક ધર્મ
1) સ્ત્રીને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો 10 ગ્રામ કાળા તલને 200 ગ્રામ પાણીમાં ઉકાળવા. 50 ગ્રામ પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળીને પીવાથી માસિક સાફ આવે છે.
2) રોજ બપોરે 1 વાટકી દહીં જમવાથી માસિક સાફ આવે છે.
3) અડધો કપ કોથમીરનો રસ ખાંડ મેળવીને પીવાથી વધુ પડતું માસિક ઘટી જશે.
4 ) માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતા હોય તો મધને અડધા કપ અરડૂસીના રસમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.
5) રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં 2 ચમચી દિવેલ નાખીને લેવાથી પીડા સાથે આવતા કે ઓછા આવતા માસિકની સમસ્યા અટકી જશે.
રક્તપ્રદર (વધુ રકત સ્ત્રાવ)
1 ) સવારે ભૂખ્યા પેટે પાકું કેળું, ઘી અને સાકર સાથે લેવું.
2) દરરોજ 100 ગ્રામ ગાજરનો રસ પીવાથી સ્ત્રીઓને લોહીવા રક્તપ્રદરમાં તરત જ ફાયદો થાય છે.
3 ) આમળાનો રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓની યોનીનો દાહ મટે છે.
શ્વેતપ્રદર
1) રોજ સવારે 1 કપ જેટલું ભાતનું ઓસામણ પીવું.
2) શ્વેતપ્રદરના દર્દીઓએ સખત રીતે બ્રહ્મચર્ચનું પાલન કરવું જોઈએ તથા મસાલેદાર ખોરાક ખાસ બંધ રાખવા.
3) એક પાકું કેળું અડધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવું.
4) પાકાં કેળાં, આમળાનો રસ ને સાકર ભેગા કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમૂત્રના રોગ મટે છે.
5 ) રોજ સવાર-સાંજ 1 ચમચી કમળકાકડીના બીજનું ચુર્ણ, સાકરવાળા દૂધમાં લેવું.
( ગર્ભધારણ પ્રસવ પીડા પ્રસવ ,ઈત્યાદિ વિશે હવે પછી…)