(5) મસાલાના ડબ્બામાં સદાય હાથવગા મળતા જીરામાં છે ગજબના ગુણો

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
ભારતીય ઘરનાં રસોડામાં સવાર-સાંજ મઘમઘતી મહેક સદાય પ્રસરતી રહે છે. જેને કારણે થાકી-પાકીને ઘરે આવ્યા બાદ નાના-મોટા સૌનો એક સમાન પ્રશ્ન સાંભળવા મળે છે. આજે ભોજનમાં શું બનાવ્યું છે? માન્યું કે બહારના ભોજનનો ચટાકો આજે વારંવાર માણવામાં આવે છે. તેમ છતાં હજી આંગળીને વેઢે ગણી શકાય તેનાથી અનેક ગણા વધુ રસોડાનો ઉપયોગ રોજબરોજની રસોઈ માટે થાય છે. જ્યાં ઘરના ભોજનનો સ્વાદ માણીને કુટુંબીજનો આંગળા ચાટતાં થઈ જાય છે.
કેમ કે રસોડામાં બનતી વિવિધ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા નિ:સ્વાર્થ પ્રેમ સમાયેલો હોય છે. વળી રસોડાની શાન ગણાતા મસાલાના ઉપયોગ કુટુંબના તમામ સભ્યોના સ્વાસ્થ્યની કાળજી સાથે કરવામાં આવે છે. ગૃહિણીને માટે સ્વાદસભર-સ્વાસ્થ્યવર્ધક ભોજન પકાવવા નું કામ રોજ નવી કસોટી સમાન છે. માની લો કે ઘરમાં 6 સભ્યો છે.
બધાના સ્વાદ-પસંદ અલગ હોય છે. તેમ છતાં ભોજનને એટલી કાળજીપૂર્વક બનાવવામાં આવતું હોય છે કે બધાને તે સ્વાદિષ્ટ લાગે. સ્વાદિષ્ટ ભોજન ભાણામાં પીરસાય તેમાં મસાલાનો ચોક્કસ માત્રામાં ઉપયોગ જ ગૃહિણીને ‘પાકશાસ્ત્રની રાણી’ બનાવે છે.
આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા : રામબુતાન એક એવું ફળ જે અનેક બીમારીમાં કારગર
તો ચાલો મસાલાના ડબ્બામાં આગવું સ્થાન મેળવનાર ‘જીરા’ના ગજબના ગુણો વિશે જાણકારી મેળવી લઈએ.
હવેથી વાનગીમાં જીરું દેખાય તો તેના ગુણોને યાદ કરીને તેની લહેજત માણજો. સાથે સાથે રસોઈના વખાણ કરીને બે મીઠા વહેણ અચૂક કહેજો. કેમ કે પ્રત્યેક વ્યક્તિને તેના કામની કદર તથા પ્રોત્સાહન મળે તે પસંદ હોય છે. તમારા ફક્ત બે મીઠા વેણ તેને બીજા દિવસની રસોઈ બનાવતી વખતે બમણું પ્રોત્સાહન પૂરું પાડે છે.
રોજબરોજની વાનગીની સાથે ફરાળની વાનગીમાં ખાસ વપરાતાં જીરાના સ્વાસ્થ્યવર્ધક ગુણો જાણી લઈએ:
જીરું ત્રણ પ્રકારનું જોવા મળે છે. પ્રથમ કાળું જીરું, સફેદ જીરું, જંગલી જીરુ કે અરણ્ય જીરું. સફેદ જીરાથી આપણે બધા પરિચિત છીએ કેમ કે તેનો ઉપયોગ મોટે ભાગે મસાલામાં થતો હોય છે. કૃષ્ણ જીરું કે કાળું જીરું દેખાવમાં સફેદ જીરા જેવું જ લાગે છે. કૃષ્ણ જીરું સફેદ જીરાની સરખામણીમાં ભાવમાં થોડું મોંઘું હોય છે.
આપણ વાંચો: મેલ મેટર્સ : આ મહિનાને પુરુષના સ્વાસ્થ્ય સાથે નિકટની નિસ્બત, પણ…
તેના ફૂલ સફેદ રંગનાં તથા ઝૂમખામાં ઊગે છે. સૂકાઈ ગયા બાદ તેમાંથી જીરું નીકળે છે. જીરાનો છોડ 60-90 સે.મી ઊંચો તથા સીધો ઊગે છે. જીરાના છોડમાં ફૂલ તથા ફળ જૂન ઑગસ્ટ માસમાં આવે છે.
જીરાને ભારતીય વિવિધ ભાષામાં અલગ આલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે હિન્દીમાં જીરા કે સફેદ જીરા, બંગાળીમાં સાદા જીરે, કન્નડમાં જિરિગે કે વિલિયે જિરીગે, તેલુગુમાં જિલકારા કે જીલ કરર, તમિળમાં શીરાગમ, કે શીરુગમ, મલયાલમમાં જીરાકામ અંગ્રેજીમાં ક્યુમિન કે કૉમન કારાવે, ઉર્દૂમાં જીરાહ તરીકે ઓળખાય છે. કાળા જીરાને સંસ્કૃતમાં કૃષ્ણ જીરું, ગુજરાતીમાં શાહજીરુ, પંજાબીમાં જીરાસીયાહ મરાઠીમાં જીરાગિરે કહેવામાં આવે છે.
જીરું ઔષધીય ગુણોથી ભરપૂર ગણાય છે. જીરામાં આયર્ન, કૉપર, કૅલ્શ્યિમ, ઝિંક પોટેશ્યિમ, ફોસ્ફરસ જેવાં વિવિધ પોષક તત્ત્વો સમાયેલાં છે. જીરામાં વિટામિન બી-12ની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જીરાનો ઉપયોગ મુખ્યત્વે વઘારમાં તથા શેકીને તેનો પાઉડર બનાવીને કરવામાં આવે છે. વરસાદી મોસમમાં જીરાનું પાણી ગેસ-અપચા માટે ગુણકારી ગણાય છે. શેકેલાં જીરાનો પાઉડર સ્વાદમાં ઉત્તમ લાગે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સલાડ, ચાટ, છાસ, રાયતામાં કરવામાં આવે છે.
આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે દિવેલ- કૅસ્ટર ઑઈલ
સોજાને ઘટાડવામાં ગુણકારી:
મોસમમાં બદલાવની સાથે ભોજનમાં અનિયમિતતાને કારણે અનેક વ્યક્તિને હાથ-પગ- ચહેરાં ઉપર સોજા આવી જાય છે. જેને લીધે શરીરમાં ધીમું કળતર થાય છે. ક્યારેક ત્વચા ખેંચાય છે. આવા સંજોગોમાં જીરાનો ઉપયોગ ગુણકારી બની રહે છે. કેમ કે જીરામાં વિટામિન એ, વિટામિન સી, કૉપર, ઍન્ટિ- ઓક્સિડન્ટ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં છે.
જે શરીરને સોજાની સમસ્યાથી બચાવે છે. 1 લિટર પાણીમાં 2 ચમચી જીરું નાખીને ઉકાળી લેવું. ઠંડું થાય ત્યારબાદ પાણીમાં લીંબુ તથા સ્વાદ માટે સંચળ ઉમેરીને પીવાથી શરીરમાં રહેલાં પિત્તને બહાર કાઢવામાં મદદ કરે છે.
આપણ વાંચો: સ્થ્ય સુધા: શરીરને ઠંડક બક્ષતી વનસ્પતિ ખસ…
અનિદ્રામાં લાભકારી:
જીરામાં સમાયેલાં ગુણને કારણે તેનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવાથી અનિદ્રાની સમસ્યા હોય તેમને લાભ થાય છે. કેમ કે જીરાના પાણીમાં મેલાટોનિન હોય છે. જે ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે.
ત્વચાને ચમકદાર બનાવે છે:
જીરામાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે ત્વચાને સૂર્ય કિરણો તથા પ્રદૂષણને કારણે થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. ત્વચા બરછટ થઈ હોય કે ત્વચા ઉપર કાળા ડાઘ પડી ગયા હોય ત્યારે જીરાનું તેલ ત્વચા ઉપર લગાવવાથી ફાયદો થાય છે. જીરાનો આહારમાં ઉપયોગ વિવિધ રીતે કરવો આવશ્યક બની જાય છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી:
જીરામાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે. જેને કારણે લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. જીરાનું પાણી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જીરાનું પાણી ભોજન પહેલાં પીવાથી લાભ મળે છે. શેકેલાં જીરાના પાઉડરને સલાડમાં તથા દહીં-છાસમાં પ્રમાણભાન રાખીને ઉપયોગ કરવાથી લાભ મળે છે.
ડાયાબિટીસમાં ગુણકારી:
જીરાનું સેવન કરવાથી લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રિત કરી શકાય છે. શરીરમાં ઈન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારવામાં મદદ કરે છે. નિષ્ણાત વૈદ્યકીય સારવારમાં જીરાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી ગણાય છે તેવી માન્યતા છે.
એનિમિયાની સમસ્યાથી બચાવે છે:
જીરામાં ભરપૂર માત્રામાં આયર્ન સમાયેલું હોય છે. આયર્ન -લોહીમાં હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે. માસિક ધર્મને કારણે સ્ત્રીના શરીરમાં આયર્નની ઊણપ જોવા મળે છે. તે ઊણપને દૂર કરવા જીરાનો ઉપયોગ કરવો
આવશ્યક છે.
પાચનક્રિયાને સુધારવામાં ગુણકારી:
પાચનતંત્રને મજબૂત કરવા માટે જીરાનો ઉપયોગ અકસીર ગણાય છે. કેમ કે બીજમાં થાઈમોલ નામક કમ્પાઉન્ડ સમાયેલું છે. જે પાચનતંત્રની લાળગ્રંથીને ઉત્તેજિત કરે છે. પાચનતંત્રને સુધારવા માટે જીરાનો પાઉડર ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદાકારક ગણાય છે.
જીરાના વિવિધ ઉપયોગ:
ભાત બનાવીને તેમાં ઘીમાં તતડાવેલું જીરુ કોથમીર સાથે ભેળવવું. જીરા રાઈસ નાના મોટા બધા જ હોંશે હોંશે આરોગશે. બીરિયાનીમાં જીરાનો વઘારમાં ઉપયોગ ખાસ કરવામાં આવે છે. દાળમાં વઘાર કરતી વખતે ઘીમાં જીરું તતડાવીને દાળમાં ઉપરથી રેડવાથી દાળ વધુ સ્વાદિષ્ટ બને છે.
સલાડમાં વાટેલાં મરીના પાઉડર સાથે શેકેલાં જીરાનો પાઉડર ભભરાવીને ઉપયોગ કરી શકાય છે. છાસ કે દહીંમાં જીરાનો પાઉડર ઉપયોગી છે. જીરાને શેકીને તેનો પાઉડર તાજા સૂપ કે શરબતમાં સ્વાદિષ્ટ લાગે છે. ચાટ કે દહીંવડામાં શેકેલા જીરાનો પાઉડર ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે.
પરાઠા, ભાખરી કે પૂરી બનાવતી વખતે શેકેલા જીરાને લોટમાં ભેળવવાથી તે સ્વાદિષ્ટ બને છે. ભારતીય રસોડામાં બનતા મોટા ભાગના શાકમાં જીરાનો ખાસ વઘારમાં ઉપયોગ કરવામાં આવે છે. જીરાનો ઉપયોગ ખાસ ઠંડી-ઠંડી મસાલા સોડામાં કરવામાં આવે છે.
જીરું પાણી (5 વ્યક્તિ માટે)
સામગ્રી: 2 લિટર પાણી, 4 ચમચી જીરુ, 2 ચમચી મધ, 3 ચમચી લીંબુનો રસ, 1 નાની ચમચી સંચળ, 10 નંગ ફૂદીનાના પાન.
બનાવવાની રીત: સૌ પ્રથમ 2 લિટર પાણીને ગરમ કરવા મૂકવું. તેમાં 4 ચમચી જીરું ઉમેરવું. પાણી ઉકળવા લાગે ત્યારબાદ ગેસ બંધ કરીને થોડો સમય ઢાંકીને રાખવું.
પાણી થોડું હૂંફાળું રહે એટલે તેમાં લીંબુનો રસ, સ્વાદાનુસાર સંચળ પાઉડર તથા મધ ભેળવીને હલાવી લેવું. કુટુંબના પ્રત્યેક સભ્ય માટે ગ્લાસમાં પાણી કાઢીને ઉપરથી ફુદીનો હાથેથી કાપીને ગોઠવવો. વહેલી સવારે ભૂખ્યા પેટે જીરું પાણી પીવાથી પાચનક્રિયા મજબૂત બને છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. વજન ઘટે છે. ભોજન બાદ વારંવાર આફરો ચડી જવાની તકલીફથી રાહત મેળવી શકાય છે.