
મુંબઈ: અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયાના એઆઈ 171 વિમાનની દુર્ઘટના ક્યારેય ભૂલી શકાય એમ નથી. આ દુર્ઘટનાને લઈને બોલિવૂડના અનેક કલાકારોએ મૃતકોને પોચાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરંતુ રવીના ટંડન એર ઇન્ડિયાને લઈને કરેલી એક પોસ્ટને લઈને ટ્રોલ થઈ રહી છે. રવીના ટંડને પોતાની પોસ્ટમાં શું લખ્યું હતું? આવો જાણીએ.
રવીના ટંડને ઇનસ્ટાગ્રામમાં કરી પોસ્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ રવીના ટંડન એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં યાત્રા કરી રહી હતી. આ દરમિયાન તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટો શેર કરીને એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં લખ્યું હતું કે, “નવી શરૂઆત…ફરીથી ઉડવાની અને મુશ્કેલીઓ સામે લડવાની હિંમતની. એકવાર ફરી બધું ફરીથી શરૂ કરવાનો સંકલ્પ અને અંદરથી પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ. શાંત યાત્રીઓ અને ક્રૂ અકથિત સંવેદના અને સૂક્ષ્મ આત્મવિશ્વાસ સાથે જોડાયેલા છે. પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ એવો ઘા છે, જે ક્યારેય રૂંઝાશે નહીં. એર ઈન્ડિયાને હંમેશા આગળ વધવાની શુભેચ્છાઓ. નિર્ભિક રીતે ઉઠવા અને મજબૂત બનવાના ઈરાદા સાથે, જય હિંદ.”
કોમેન્ટ બોક્સમાં ટ્રોલ થઈ રવીના ટંડન
ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં રવીના ટંડને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને સાથોસાથ એર ઇન્ડિયાના વખાણ પણ કર્યા. એર ઇન્ડિયાના વખાણને લઈને ફોલોઅર્સે તેને કોમેન્ટ બોક્સમાં ટ્રોલ કરી હતી. એક ફોલોઅર્સે પૂછ્યું કે, આટલા લોકોનો જીવ ગયો છે અને તમે એર ઈન્ડિયાને પ્રમોટ કેવી રીતે કરી શકો? અન્ય એક ફોલોઅર્સે આરોપ લગાવતા લખ્યું કે, એર ઇન્ડિયાએ તેમને ફ્રી ટિકિટ અને પૈસા આપ્યા હશે. બીજા એક ફોલોઅર્સે લખ્યું કે, સાચવીને મેડમ હવે એર ઇન્ડિયાનો કોઈ ભરોસો નથી. અન્ય એક ફોલોઅર્સે લખ્યું કે, તમે શું તમે 11એ સીટ બુક કરાવી છે? અન્ય એક યુઝર્સે લખ્યું કે, આ ફોટો ટેક-ઓફ પહેલાનો છે કે ત્યારબાદનો?
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશમાં Amitabh Bachchanએ પણ ગુમાવી નજીકની વ્યક્તિને, પોસ્ટ કરીને કહ્યું…
આમ, પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રવીના ટંડનને ફોલોઅર્સ ટ્રોલ કરી રહ્યા છે. જોકે કેટલાક ફોલોઅર્સે કોમેન્ટ બોક્સમાં તેના રૂપના વખાણ કર્યા છે. સાથોસાથ ‘શુભ યાત્રા’ જેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.