ટોપ ન્યૂઝનેશનલ

500 રૂપિયાની કેવી નોટ ચાલશે નહીં? નવી ગાઈડલાઈનમાં આરબીઆઈએ કરી સ્પષ્ટતા…

બેંકમાં નિ:શુલ્ક બદલાશે 500 રૂપિયાની નોટ

નવી દિલ્હી: 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થયા પછી 500 રૂપિયાની ચલણી નોટ સૌથી વધારે ઉપયોગમાં લેવાઈ રહી છે. ત્યારે 500 રૂપિયાની ચલણી નોટને લઈને ઘણીવાર અફવાઓ પણ સાંભળવા મળે છે. દુકાનદારો અમુક રીતે ખરાબ થયેલી 500 રૂપિયાની નોટ લેવાની પણ ના પાડી દેતા હોય છે. જેથી લોકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે. આવી મુશ્કેલીઓનો અંત લાવવા માટે આરબીઆઈ દ્વારા 500 રૂપિયાની નોટની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

500 રૂપિયાની કેવી નોટ ગેરમાન્ય ગણાય?
આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર, 500ની રૂપિયાની નોટ કિનારીએથી 2 સેમી અથવા તેનાથી વધારે ફાટેલી હોય તો તે માન્ય ગણાશે નહીં. જો 500ની રૂપિયાની ચલણી નોટ પર માટી, ધૂળ, તેલ અથવા કોઈ એવી ગંદકી લાગી હોય કે જેનાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની જાય, તો એવી નોટ પણ માન્ય ગણાશે નહીં. જો ચલણી નોટનો રંગ બહું વધારે જ ઉડી ગયો હોય અથવા તે એટલી ઘસાઈ ગઈ હોય, જેના કારણે તેના પર લખેલું લખાણ, મહાત્મા ગાંધીનો ફોટો વગેરે સરખી રીતે ન જોઈ શકાતા હોય તો એવી 500 રૂપિયાની ચલણી નોટ પણ માન્ય ગણાશે નહીં. જો નોટ પર કોઈ લખાણ લખવામાં આવ્યું છે અથવા કોઈ સ્કેચ દોરવામાં આવ્યું છે. આ સિવાય ગ્રાફિક્સનો ઉપયોગ કરી તેની સાથે છેડછાડ કરવામાં આવી હોય તો તે નોટ પણ માન્ય ગણાશે નહીં. આવી 500 રૂપિયાની ચલણી નોટને તમારે બેંકમાં જઈને બદલાવવી પડશે.

બેંકમાં કેવી રીતે બદલાવાશે 500 રૂપિયાની નોટ?
જો તમારી પાસે અગાઉ જણાવ્યા તેવા લક્ષણો ધરાવતી 500 રૂપિયાની નોટ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને નજીકની બેંકમાં જઈને સરળતાથી બદલાવી શકો છો. કોઈપણ અડચણ કે બહાના આપ્યા વગર નોટ બદલી આપવાના બેંકોને પણ આદેશ આપવામાં આવ્યો છે. નોટ બદલાવવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ભરવાનો રહેશે નહીં. જો કોઈ બેંક નોટ બદલી આપવાની ના પાડે છે તો તમે આરબીઆઈના ગ્રિવેંસ પોર્ટલ પર જઈને ફરિયાદ પણ દાખલ કરી શકો છો. તમારી ફરિયાદનો જલ્દી ઉકેલ આવશે.

ઉલ્લેખનીય છે કે, માર્ગદર્શિકાની સાથોસાથ આરબીઆઈએ એ બાબતની પણ સ્પષ્ટતા કરી છે કે 500 રૂપિયાની નોટ બંધ થશે નહીં. તેથી અફવાઓથી દૂર રહેવું. નોટને કોઈ પ્રકારનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું. જો નુકસાન થઈ જાય તો એને બેંકમાં જઈને બદલાવી દેવી. એ નાગરિકોની જવાબદારી છે.

આપણ વાંચો : હેં, હવે જૂની-ફાટેલી નોટ્સમાંથી બનશે તમારા ઘરનું ફર્નિચર, RBI નો છે માસ્ટર પ્લાન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button