ધર્મતેજ

અલૌકિક દર્શન : અવતાર કામક્રોધાદિ આવેગને આધીન હોતો નથી

  • ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. અવતારની લાક્ષણિકતાઓ:
    અવતારની હયાતીમાં અવતારને સમજવાનું, તેને ઓળખવાનું અને તેને સ્વીકારવાનું કાર્ય અતિ કઠિન છે. પ્રગટ પરમેશ્ર્વરનો મહિમા સમજાય તો અતિ મૂલ્યવાન છે, પરંતુ તેને સમજવો અને સ્વીકારવો કઠિન છે. માનવ-સ્વરૂપે આવેલા ભગવાનને કોણ જાણી શકે?

सोई जानई जेहि देहु जनाई|

  • रामचरितमानस : अ.का. : १२६-२

‘જેને પ્રભુ પોતાનું સ્વરૂપ ઓળખાવે તે જ તેને ઓળખી શકે છે.’

પરંતુ આનો અર્થ એમ નથી કે અવતારને કોઈ રીતે ઓળખી શકાય તેમ જ નથી. અવતારને ઓળખવાનું કાર્ય કઠિન છે, છતાં અશક્ય નથી. અવતારની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે. આ લાક્ષણિકતાઓ અવતારને સમજવામાં આપણને ઉપયોગી થઈ શકે તેમ છે.

  1. અવતારમાં બે ચેતનાઓ હોય છે : ભાગવત ચેતના અને માનવચેતના. અવતારમાં માનવચેતના આગળ રહે છે અને ભાગવત ચેતના પડદા પાછળ રહે છે. આમ છતાં ભાગવત ચેતના સતત હાજર હોય છે અને ગમે તે ક્ષણે ભાગવત ચેતના આગળ આવી જાય છે. વસ્તુત: અવતારમાં ભાગવત ચેતના જ પ્રધાન છે, કારણ કે અવતાર મૂલત: તો ભગવાન છે. માનવચેતના તો અવતારે ઓઢેલી ચેતના છે. માનવચેતના તો અવતારનું આવરણ છે. ભાગવત ચેતના જ અવતારનું કેન્દ્રસ્થ તત્ત્વ છે. અવતાર જ્યારે માનવો સાથે માનવરૂપે આવે છે ત્યારે માનવચેતનાનું આવરણ સ્વીકારીને આવે છે. આમ, અવતારની લીલામાં ભાગવત ચેતના અને માનવચેતના બંને કાર્યરત હોય છે.
  2. અવતાર કામક્રોધાદિ આવેગોને આધીન હોતો નથી. કામક્રોધાદિ આવેગો પ્રકૃતિના આવેગો છે અને અવતાર પ્રકૃતિને વશ નથી, પરંતુ પ્રકૃતિનો અધિપતિ છે. અવતારમાં કામક્રોધાદિ આવેગો સંભવે છે, પરંતુ તે ઘટનાનો અર્થ એવો નથી કે અવતાર તેમને આધીન છે. અવતાર પૂર્ણ સ્વતંત્ર છે, તે પ્રમાણે તે કામક્રોધાદિ આવેગોથી પણ પૂર્ણ સ્વતંત્ર છે. અવતારમાં કામક્રોધાદિ આવેગો હોય છે તે તો માનવલીલા માટે અવતારે સ્વેચ્છાએ સ્વીકારેલા હોય છે. અવતાર તેવા આવેગોને સ્વીકારે છે અને ઇચ્છે તો ક્ષણમાત્રમાં તેમને દૂર ફેંકી દઈ શકે છે.
  3. ગમે તેવો મહાન પુરુષ, સમર્થ પુરુષ કે સિદ્ધપુરુષ પણ અવતારને અતિક્રમી શકે નહીં, અભિભૂત કરી શકે નહીં. અવતારનાં જ્ઞાન અને શક્તિ અનંત છે, તેથી અવતાર કોઈનાથી ક્યારેય પરાજિત થતા નથી. હા, તેઓ પોતે જ સ્વેચ્છાએ પરાજિત થવાનું સ્વીકારે તો તેઓ તેમ કરવા સ્વતંત્ર છે. જીવ ગમે તેટલો મહાન હોય તો પણ તે અવતારની તોલે આવી શકે નહીં. ભીષ્મ, વિદુર, અર્જુન, ઋષિઓ – સૌ મહાન છે, પરંતુ શ્રીકૃષ્ણની તોલે કોઈ આવી શકે નહીં. ભીષ્મ આદિ સૌ જીવો છે અને શ્રીકૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમનો અવતાર છે, પુરુષોત્તમ પોતે જ છે.
  4. અવતારના આગમન કે પ્રાગટ્ય પહેલાં તેમનાં માતાપિતા અને અન્ય કુટુંબીજનો તથા ભક્તજનોને અવતારના પ્રાગટ્યના સંકેતો મળતા હોય છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીચૈતન્ય મહાપ્રભુ, શ્રીરામકૃષ્ણ આદિ અવતારોના જન્મ-વખતની અને જન્મપૂર્વેની ઘટનાઓનો અભ્યાસ કરતાં આ લક્ષણ સ્પષ્ટ થાય છે.
  5. અવતારમાં અસાધારણ શક્તિઓ હોય છે. સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, પૂર્ણ સ્વતંત્રતા આદિ વિશિષ્ટ શક્તિઓ અવતારને સહજ-પ્રાપ્ત હોય છે. અવતારની આ અસાધારણ વિશિષ્ટ શક્તિઓ સાધનાને પરિણામે મળેલી સિદ્ધિઓ નથી. અવતાર તો સ્વરૂપત: સર્વશક્તિમાન છે, તેથી અવતારની વિશિષ્ટ શક્તિઓ તેમને સહજ-પ્રાપ્ત છે. સિદ્ધપુરુષોને સિદ્ધિઓ સાધનાને પરિણામે મળે છે અને તેમની આ સિદ્ધિઓ કે શક્તિઓ ખૂટી પણ જાય છે, પરંતુ અવતારની શક્તિઓ તો તેમની સ્વરૂપગત શક્તિઓ છે, તેથી અનંત, શાશ્ર્વત અને અખૂટ હોય છે.
  6. અવતાર પોતાની ભગવત્તા પર પડદો નાખીને રહે છે, તેથી અવતારની હયાતીમાં બહુ ઓછા સદ્ભાગી માનવો તેને સમજી-સ્વીકારી શકે છે. અવતારના અંતર્ધાન થયા પછી તેનો સર્વત્ર સ્વીકાર થવા માંડે છે, તેના નામનો જયજયકાર થાય છે.
  7. અવતાર હંમેશાં સમાજનાં પ્રચલિત નીતિનિયમો પ્રમાણે જ વર્તે તેવું નથી. અવતાર પોતાની દિવ્ય ચેતનામાં જીવે છે, જે પરમ નૈતિક છે. નીતિના નિયમો ભગવાનનાં ચરણોમાંથી નીકળે છે. અવતાર નીતિને આધીન નથી, પણ નીતિનો અધિપતિ છે. અવતારનો વ્યવહાર કોઈ વાર સમાજનાં પ્રચલિત નીતિનિયમોથી ભિન્ન હોય છે. અવતાર પરમ ચેતનાને અનુસરે છે, સમાજનાં ધારાધોરણોથી ક્યારેક ભિન્ન વ્યવહાર પણ કરી શકે છે અને તેવો વ્યવહાર કરે પણ છે. ભીષ્મ પ્રતિજ્ઞા છોડી શકતા નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞા છોડી શકે છે.
  8. અવતારની ચેતના અને લીલાના ઊંડાણને કોઈ માપી શકે નહીં. અવતારના સ્વરૂપને પૂર્ણત: કોઈ પામી શકે નહીં. અવતારનું સ્વરૂપ અને તેનું તત્ત્વ અગાધ છે.
  9. અવતાર ભક્તવત્સલ હોય છે, પ્રેમી હોય છે અને શરણાગતરક્ષક પણ હોય છે. અવતાર કૃપાળુ હોય છે. અવતાર પોતાના ભક્તો અને સમગ્ર જીવસૃષ્ટિ પર કૃપા કરીને જ અને કૃપા કરવા જ અહીં અવતરે છે.
  10. જીવને સારાંનરસાં કર્મો, સંસ્કારો, પાપ-પુણ્ય, પ્રારબ્ધ, ઋણાનુબંધ આદિ હોય છે. જીવની ગતિમાં આ પરિબળો પણ ભાગ ભજવે છે. અવતાર સ્વરૂપત: જ નિત્યમુક્ત છે, તેથી આ પ્રકારનાં કોઈ પરિબળોનું કોઈ બંધન તેના પર સહેજ પણ નથી. અવતાર સ્વતંત્ર છે.
  11. જેમ જીવને જન્મજન્માન્તરની પ્રક્રિયા હોય છે, તેમ ભગવદતવારને પણ જન્માંતર હોય છે. નર-નારાયણ અર્જુન-શ્રીકૃષ્ણ-રૂપે આવ્યા તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. શ્રીકૃષ્ણે શ્રીચૈતન્ય મહાપ્રભુરૂપે અવતાર ધારણ કર્યો. આમ અવતારમાં પણ જન્મજન્માંતરની ધારા જોવા મળે છે. આમ છતાં જીવ અને ભગવદવતારની જન્માંતરની ઘટના ભિન્નભિન્ન હોય છે. જીવની જેમ અવતારનો જન્મ પ્રારબ્ધાધીન અને અજ્ઞાનજન્ય હોતો નથી.
  12. અવતાર આ ધરતી પર આવે ત્યારે તે પોતાની અભિન્ન શક્તિ અને પરિકરોને પણ સાથે લાવે છે.
  13. અવતારની ભાગવત ચેતના સંપૂર્ણ પરિશુદ્ધ હોય છે, છતાં અવતાર સંતપુરુષની જેમ જ વર્તે તેવું નથી. અવતાર યોદ્ધો કે રાજકુમાર પણ હોઈ શકે છે.
  14. અવતારના હેતુ :

ભગવાનનું અવતરણ તો ભગવાનની લીલા છે અને લીલાને કોઈ હેતુ ન હોય. નિર્હેતુકતા જ લીલાનું સ્વરૂપલક્ષણ છે. આ દૃષ્ટિથી અવતારના હેતુની વિચારણા નિરર્થક છે. આમ છતાં આપણે આપણી માનવદૃષ્ટિથી અવતારને સમજવા પ્રયત્ન કરીએ છીએ, તેથી અવતાર દ્વારા શું સિદ્ધ થાય છે તે દૃષ્ટિ સમક્ષ રાખીને અવતારના હેતુને સમજવાનો પ્રયત્ન કરીએ.

  1. પોતાના ભક્તો સાથે પ્રેમનું આસ્વાદન કરવા માટે ભગવાન અહીં અવતારરૂપે આવે છે. આ પ્રેમ પણ નિર્હેતુક છે, તેથી જ ભગવાનના પ્રેમાસ્વાદનને ભગવાનની પ્રેમલીલા કહેવામાં આવે છે. ભગવાન ભક્તો સાથે પ્રેમનું આદાનપ્રદાન કરે છે. આ ભગવાનની આનંદલીલા છે. ભગવાન પ્રેમસ્વરૂપ છે. ભગવાન પ્રેમની ભિન્નભિન્ન લીલાઓનો આનંદ માણે છે. અવતારલીલામાં એ પ્રેમલીલાઓ પણ હોય છે.
  2. માનવજાતની ચેતનામાં કોઈ મહાન પરિવર્તન કરવાનું હોય, તેને વિકાસની નવી દિશા આપવાની હોય ત્યારે તે કાર્ય માટે પરમાત્મા આવે છે.

આપણ વાંચો:  માનસ મંથન : તમારું બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય ને અપરિગ્રહ આ બધામાં અહિંસાનું મંગલાચરણ લગાડવું પડશે

‘धर्मसंस्थापनार्थाय संभवामि युगेयुगे’
गीता : ४-८

‘ધર્મની સંસ્થાપના માટે હું યુગેયુગે જન્મ ધારણ કરું છું.’
માનવચેતનાની વિકાસયાત્રામાં એક નવું સોપાન ઉમેરવા માટે અથવા કોઈ અણીના પ્રસંગે માનવજાતિને બચાવીને તેને કોઈ માર્ગ ચીંધવા માટે અવતાર આવે છે. અવતારનાં બહિરંગ કાર્યો કરતાં અવતાર આવીને માનવચેતનામાં જે તત્ત્વની સ્થાપના કરે છે તે વિશેષ મૂલ્યવાન છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button