મનન : સાગરના પાણીનું બિંદુ ને સાગર…

-હેમંત વાળા
કહેવાય છે કે જેમ સાગરના પાણીના બિંદુમાં સાગરના પાણીની દરેક ખાસિયત હોય છે તેમ આત્મામાં પરમાત્માની દરેક ખાસિયત હોય. પરમાત્મા સાગર છે તો આત્મા તે સાગરના પાણીનું બિંદુ છે. પરમાત્મા જો વિશાળ રણ હોય તો આત્મા તે રણનું એક કણ છે. પરમાત્મા જો પ્રકાશનો પૂંજ હોય તો આત્મા તે પ્રકાશનું એક કિરણ છે. પરમાત્મા જો વિશાળ અવકાશ હોય તો આત્મા તે અવકાશનો નાનકડો વિભાગ છે. આત્મા એ પરમાત્માનું બાળક નથી, પરમાત્માનો અંશ છે. આત્મા એ પરમાત્માનું સર્જન નથી, તે સર્જક રૂપ પરમાત્માનો ભાગ છે. આત્મા એ પરમાત્માથી ભિન્ન ઘટના નથી, પરમાત્મા સાથે જ સંકળાયેલ અસ્તિત્વ છે. આત્મા એ શોધવાની વસ્તુ નથી, તે તો છે જ, માત્ર તેની સામે રચાયેલું માયાનું આવરણ હટાવવાની જરૂર છે.
સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ તો, આત્મા એ પરમાત્માનો અંશ હોવાં છતાં એ તો સ્વીકારવું જ પડે કે આત્માએ આત્મા છે અને પરમાત્મા એ પરમાત્મા છે. પરમાત્માને બંધન નથી, આત્માને છે. પરમાત્મા સર્વ શક્તિમાન છે, આત્મા પણ સર્વ શક્તિમાન બની શકે, પરંતુ વર્તમાનમાં તેની શક્તિ બાધિત છે. પરમાત્મા દરેક જગ્યાએ ગમન કરી શકે છે જ્યારે આત્મા જડ શરીરમાં જકડાયેલો હોવાથી તેનું ગમન શક્ય નથી બનતું. પરમાત્મા સર્વજ્ઞ છે જ્યારે આત્મા અવિદ્યાના આવરણથી આચ્છાદિત છે. પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે પરંતુ આત્માનો પ્રકાશ જડ આવરણને કારણે બહાર આવી શકતો નથી. પરમાત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે જ્યારે શરીરના ધર્મ લાગુ પડવાના કારણે આત્મા ખુશી અને શોક, બંનેની અનુભૂતિ કરતો જણાય છે. પરમાત્મા પોતાની અધ્યક્ષતામાં, સાક્ષીભાવે, સૃષ્ટિના સંચાલનનું કારણ બને છે, જ્યારે આત્મા જે તે સ્થાપિત મર્યાદાઓને કારણે સાક્ષીપણાંના સ્થાને અહંકાર સાથે સંલગ્ન રહેતો હોય તેમ પ્રતીત થાય છે. પરમાત્મા પવિત્ર, નિર્દોષ, શુદ્ધ, તટસ્થ તેમજ નિર્લેપ છે તો આત્મા, તેનાં સ્થૂળ તેમજ સૂક્ષ્મ અસ્તિત્વને કારણે અપવિત્રતા, દોષ, અશુદ્ધિ, પક્ષપાત કે તાદાત્મ્યતા સાથે જોડાયેલો રહે છે. આત્મા એ પરમાત્માના અંશ હોવા છતાં તે પરમાત્મા તો નથી જ. આ કડવું સત્ય છે.
છતાં પણ આત્મા હંમેશાં પરમાત્મા સમાન બનવાં પ્રયત્નશીલ રહે છે. પરમાત્મા શાશ્વત છે, અમર છે. માનવીમાં જે જિજીવિષા છે એના મૂળમાં પરમાત્માની આ પ્રકૃતિ છે. પરમાત્મા જો અવિનાશી હોય તો સ્વાભાવિક રીતે માનવીને પણ અવિનાશી પણું, અમરતા, શાશ્વતતા પામવાની ઈચ્છા થાય. પરમાત્મા સર્વજ્ઞ છે, તે બધું જ જાણે છે, તે સ્વયમ જ્ઞાનના પર્યાય સમાન છે. માનવીમાં જે જિજ્ઞાસા, જ્ઞાનપીપાસા છે તેના મૂળમાં પરમાત્માની આ પ્રકૃતિ છે. પરમાત્મા જો પરમ જ્ઞાની હોય તો માનવી પણ એમ ઈચ્છે કે તેની પાસે પણ લગભગ બધું જ, બધાં જ પ્રકારનું જ્ઞાન હોય. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, તે હંમેશાં પોતાની નિર્દોષ મસ્તીમાં રહે છે. માનવીમાં જે ખુશ રહેવાની, આનંદિત રહેવાની ચાહ છે તેના મૂળમાં પણ પરમાત્માનું આનંદ સ્વરૂપ છે. માનવી તે આનંદ સ્વરૂપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, કરતો જ રહે છે.
પરમાત્મા પૂર્ણ છે, અખંડ છે, એકાકાર છે. માનવી દરેક બાબત માટે પૂર્ણતાનો જે આગ્રહ રાખે છે તેના મૂળમાં પરમાત્માની પૂર્ણતા છે. પરમાત્માના અંશ સમાન આત્મા ધારણ કરનાર માનવી પૂર્ણતાની કામના રાખે તે સ્વાભાવિક છે. પરમાત્મા ઐશ્વર્ય ધારી છે, તેની પાસે દરેક પ્રકારની સંપન્નતા છે, એક દ્રષ્ટિકોણ પ્રમાણે તે લક્ષ્મીપતિ છે. માનવી જે સંપત્તિની, ધનની, લક્ષ્મીની અપેક્ષા રાખે છે તેના મૂળમાં પણ પરમાત્માનું ઐશ્વર્ય છે. પરમાત્માનાં નિયંત્રણમાં સૃષ્ટિની સમગ્ર સત્તા હોય છે. પરમાત્માની અધ્યક્ષતામાં જ સૃષ્ટિનું અસ્તિત્વ સ્થાપિત થાય છે, સૃષ્ટિનું લાલન-પાલન થયાં કરે છે અને સમયાંતરે સૃષ્ટિ પ્રલય થકી ફરીથી પરમાત્મામાં વિલય પામે છે. માનવી જ્યારે સત્તા માટે પ્રયત્ન કરે ત્યારે તેને પણ પરમાત્માથી લીધેલી પ્રેરણા સમાન ઘટનાને ગણી શકાય. એકંદરે એમ કહી શકાય કે આત્માને ધારણ કરનાર માનવી હંમેશાં પરમાત્મા સમાન બનવાં ઇચ્છિત રહેતો હોય છે.
ભલે આત્મા અને પરમાત્મા સ્થિતિ, ક્ષમતા, ક્ષેત્ર, સામર્થ્ય, વિસ્તાર તથા કેટલીક ભાવાત્મક બાબતો માટે ભિન્નતા હોય, પરંતુ એ હકીકત તો છે જ કે બંને એક જ સત્યના બે જુદાં જુદાં પ્રમાણવાળા સ્વરૂપ છે. સાગરના પાણીમાં જે ખારાશ હોય તે જ ખારાશ સાગરના પાણીના ટીપામાં હોય. સાગરના પાણીને સમજવાં તે ટીપાંને સમજવું જરૂરી બને છે. જો ટીપુ સમજમાં આવી જાય તો સાગર વિશેની ઘણી સમજ છતી થાય. એવી જ રીતે જો સાગર સમજમાં આવે તો ટીપાંની લગભગ પ્રત્યેક બાબત પણ સમજમાં આવી જાય. ઘણી રીતે ટીપુએ સાગરનો મર્યાદિત પર્યાય છે અને સાગર એ ટીપાંનું અમર્યાદિત અસ્તિત્વ છે.
આત્મા અને પરમાત્માની આ સામ્યતાને કારણે જ આત્મા જેમાં સ્થિત છે તે માનવીમાં અપાર સંભાવના ઉદ્ભવતી હોય છે. માનવી પરમાત્માના દરેક કાર્યને ઉજાગર કરી શકે છે. માનવી વાસ્તવમાં પરમાત્માના પ્રતિનિધિ તરીકે કાર્યરત થઈ શકે છે.
માનવી પ્રકૃતિ દ્વારા સ્થાપિત માયાનાં પ્રપંચથી પોતાની જાતને મુક્ત કરી શકે છે. માનવી અવિદ્યા અને અજ્ઞાનના તંત્રનો વ્યક્તિગત સ્તરે નાશ કરી જાતને સત્યમાં સ્થિર કરી શકે છે. માનવી અન્ય સમાંતરિત સૃષ્ટિની રચના કરવાં પણ સમર્થ છે. તે બધાં સાથે માનવી પરમાત્મા સાથે એકાકાર થઈને સ્વયં પરમાત્માનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.
આપણ વાંચો : ચિંતન: સૌથી જરૂરી છે મનની શાંતિ