આચમન : કોમી એકતાના પ્રતીક: ચોમાસાથી દિવાળી સુધી ઉત્સવોની વણઝાર

- અનવર વલિયાણી
આપણો ભારત દેશ વિવિધ ધર્મો, સંપ્રદાયો અને એમાં બોલાતી અનેક ભાષાઓના ગુલદસ્તા સમાન દેશ છે. દુનિયામાં આ એક જ દેશ છે જ્યાં સૌ સમાન ધોરણે રહે છે. ભાઈચારાના દેશ તરીકે ખ્યાતિ પામ્યો છે.
- આપણા ઉત્સવો આનંદ, ઉલ્લાસ ઉપરાંત કોમી એકતાના પ્રતીક સમા છે.
- સૌ સાથે બેસીને આનંદ પ્રમોદ કરે, પ્રેમથી વાતો કરે, નાચે, ગાય, મોજ માણે એ માટે ઉત્સવો અનિવાર્ય છે. તેમાંય ધાર્મિક ઉત્સવો તો તદ્ન સહેલાઈથી પ્રજાને સંગઠિત કરે છે.
- આપણા પ્રાચીન કાળના આચાર્યો, ધર્મ ગુરુઓએ એ જ કારણથી ઉત્સવોને આગવું મહત્ત્વ આપ્યું.
- હિન્દુસ્તાનમાં તમે કોઈ પણ ધર્મ કે જાતિના કેલેન્ડર પર નજર નાખી જુઓ, વર્ષના 365 દિવસ કોઈને કોઈ ઉત્સવ નજરે પડશે.
- તેમાંય ભારત તો ખેતીપ્રધાન દેશ છે.
- ખેતર ખેડવાનો ઉત્સવ,
- બી વાવવાનો ઉત્સવ,
- પાક લણવાનો ઉત્સવ… આમ સતત ઉત્સવો ચાલ્યા કરે.
ખેતીપ્રધાન દેશ અને ખેતી વરસાદ પર આધારિત એટલે ચોમાસાની શરૂઆતથી ઉત્સવોનો આરંભ થઈ જાય છે. આષાઢ માસથી શરૂ થઈને આસોના અંત એટલે કે દિવાળી સુધી એક પછી એક અને એકમેકથી ચઢિયાતા ઉત્સવોની વણઝાર શરૂ થઈ જાય છે.
વરુણને પાણીનો દેવ કહે છે. આષાઢ મહિનામાં વરસાદ આવે એ પહેલાંથી દરિયો ગાંડો થઈ જાય છે. પહાડ જેવાં મોજાં ઉછળવા માંડે અને ચોમેર પછડાય. એવા દરિયાથી તેના સંતાન સમા માછીઓ તથા દરિયાખેડૂઓ દૂર રહે. આમ વરસાદમાં આઠ મહિના ઘરથી દૂર રહેતા દરિયાખેડૂ ઘરે આવે એટલે તેમના ઘરમાં આનંદ ઓચ્છવની હેલી વરસે. બીજી બાજુ અગાઉ કહ્યું તેમ આષાઢ અને વરસાદના આગમન સાથે ખેડૂતો આનંદમાં આવી જાય. ગઈકાલ સુધી સૂકી ભઠ્ઠ અને તપી ગયેલી ધરતી પર વરસાદના આગમન સાથે લીલો ગાલીચો પથરાઈ જાય. નવા ફળફૂલનું આગમન થાય. નવું અનાજ ઊગે.
આષાઢ મહિનો શરૂ થવા સાથે કચ્છી નવું વર્ષ આવે. આષાઢી બીજ એટલે કચ્છી નવું નર્ષ. દુનિયાભરમાં વસી ગયેલા અને કાંડાના કૌવતથી પરસેવાનો પૈસો કમાતા કચ્છી માડુના નવા વર્ષથી ચાર ચાર મહિનાના ઉત્સવોનો આરંભ થાય.
એ પછી આવે આષાઢી એકાદશી. આખા ભારતમાં ખાસ કરીને બે નદીઓ મળતી હોય એવાં સ્થળોએ આષાઢી એકાદશીનો મહિમા નિરાળો છે. મહારાષ્ટ્રમાં નાશિક, ત્ર્યંબકેશ્ર્વરથી માંડીને છેક પંઢરપુર સુધી ક્યાંય પણ જાઓ; નદીમાં સ્નાન કરવા લાખો લોકો ઊમટતા નજરે પડશે. પંઢરપુરની મૂળ વસતિ માંડ લાખ-દોઢ લાખની છે, પરંતુ આષાઢી એકાદશીએ ત્યાં એક દિવસમાં પંદરથી વીસ લાખ લોકો ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા ઊમટે છે. આ સ્થાન અને વિઠ્ઠલ રુકમાઈના દર્શનનો મહિમા વિશિષ્ટ છે. આ વિઠ્ઠલની કથા પણ સરસ છે:
આપણ વાંચો: આચમન : કોમી એકતાના પ્રતીક: ચોમાસાથી દિવાળી સુધી ઉત્સવોની વણઝાર
પોતાના બીમાર અને અપંગ મા-બાપની સેવા કરતાં પુંડરિક નામના ભક્ત ભગવાનનું સ્મરણ કરતા હતા. એની માબાપની સેવા તથા ભક્તિ જોઈ ખુદ ભગવાન સામે ચાલીને એને દર્શન આપવા આવ્યા. પુંડરિક ત્યારે પોતાના માબાપના મળમૂત્ર સાફ કરી રહ્યો હતો. ભગવાને એને બૂમ પાડી ત્યારે પુંડરિક પાસે પડેલી ઈંટ ફેંકી અને કહ્યું કે જરાવાર આના પર ઊભા રહો. હું માબાપની સેવામાં છું. ભગવાન વિષ્ણુ ઈંટ પર ઊભા રહ્યા. નાનકડી ઈંટ પર શરીર સમતુલા જાળવવા તેમણે કમર પર હાથ મૂક્યા. મરાઠીમાં ઈંટને વિટ કહે છે. વિટા પર ઊભા તે વિઠોબા. આમ તે દિવસથી પંઢરપુરના વિઠોબા ભક્તને આંગણે ઈંટ પર ઊભા છે. ગામમાં થઈને ચંદ્રભાગા નદી વહે છે, ત્યાં લોકો સ્નાન કરે છે.
એ પછી આવે છે ગુરુ (આષાઢી) પૂનમ. ભારતમાં ગુરુનું મહત્ત્વ ભગવાન કરતાં પણ ઊંચેરું છે. ગુરુ પૂનમને દિવસે દેશના તમામ ધર્મસ્થળોમાં ગુરુની પૂજા થાય છે. લગભગ આજ દિવસોમાં કુમારિકાના દિવાસાનું વ્રત શરૂ થાય છે. ઘઉંના જ્વારા ઉગાડીને કુમારિકાઓ પોતાના પરિવારનું કલ્યાણ વાંછતી પૂજા અને ઉપવાસ કરે છે. રાતભર ગીતો-ગરબા ગાઈને જાગરણ કરે છે. આમ આષાઢ માસથી સાત્ત્વિક ઉત્સવોનો શુભારંભ
થાય છે. (ક્રમશ)