સુખનો પાસવર્ડ : બધાને બધું જણાવી દેવાનું આ ઝનૂન શા માટે?

- આશુ પટેલ
જૂન 12, 2025ના દિવસે અમદાવાદમાં ‘એર ઇન્ડિયા’નું પ્લેન તૂટી પડ્યું એ પછી વોટ્સ એપ પર મેસેજિસનો મારો ચાલ્યો. અનેકે ‘ફેસબુક’ પર પોસ્ટ્સ મૂકી. એમાં ઘણાએ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું. એમણે દાવા સાથે કહ્યું કે આમ કે તેમ જ બન્યું હોવું જોઈએ તો જ પ્લેન તૂટી પડ્યું હોય.
કોઈએ કહ્યું કે પ્લેનની ફયુએલ ટેન્કનો વાલ્વ ખોલવાનું રહી ગયું હશે એટલે પાઈપમાં થોડુંઘણું ઈંધણ હતું ત્યાં સુધી પ્લેન ચાલ્યું અને પછી ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો એટલે પ્લેનના એન્જિન બંધ થઈ જતા પ્લેન તૂટી પડ્યું.
તો વળી કોઈએ કહ્યું કે પ્લેનની પાંખો નીચે હવાનું દબાણ ઘટી ગયું એટલે પ્લેન તૂટી પડ્યું. કોઈએ વળી કશુંક ભળતું જ કહ્યું. એ બધું જ્ઞાન પાછું લોકોએ બીજાઓ સાથે શેર કર્યું. ઘણાએ ‘ગૂગલ’ પર સર્ચ કર્યું કે પ્લેન તૂટી પડવાનું કારણ શું હોઈ શકે.
આપણે અહીં એ વિમાન દુર્ઘટના વિષે વાત નથી કરવી, પણ બધાને બધું જાણી લેવાનું ઝનૂન ઊપડતું હોય છે એ વિશે વાત કરવી છે. ‘ગૂગલ’ આવ્યા પછી તો ઘણા મનુષ્યો માટે ‘ઊંટ હતું અને પાછું ઊકરડે ચડ્યું’ જેવો ઘાટ થયો છે. ‘ગૂગલ’ જે કહે એ સાચું એવું એ બધા માનતા હોય છે અને આવા ઘણા ‘ગૂગલજ્ઞાની’ઓ પાછા પોતાનું ( ‘ગૂગલ’માંથી મેળવેલું) જ્ઞાન સોશિયલ મીડિયા પર હોય છે. ‘ગૂગલ’ પર ખોટી માહિતી હોય તો પોતે તો એના આધારે ગેરમાર્ગે દોરાય છે, પણ બીજા લોકોને ય ગેરમાર્ગે દોરે છે. હવે બાકી હતું તે ચેટ જીપીટી આવી ગયું છે.
(થોડાં દિવસો અગાઉ એક વિદેશી યુવતીએ પતિથી છૂટાછેડા લઈ લીધા, કારણ કે ચેટ જીપીટીએ એને કહ્યું હતું કે તારા પતિનું બીજી કોઈ યુવતી સાથે અફેર ચાલે છે!).
બધાને બધું જ જાણી લેવું છે. બધું જાણી લેવાની લાહ્યમાં ઘણા માણસો કલાકો સુધી મોબાઈલ ફોન કે કમ્પ્યુટર સામે બેઠા રહીને પોતાની આંખો ટોચી નાખે છે. વાસ્તવમાં સારી રીતે જીવન જીવવા માટે થોડી વસ્તુઓ સમજવાની જ જરૂર હોય છે તે આ લોકો જાણી શકતાં નથી અને પછી ગામ આખાની ગંદકી પોતાના મનમાં ઠાલવતાં રહે છે.
આ સ્થિતિમાં ઉદાલક ઋષિ અને એમના પુત્ર શ્વેતકેતુની કથા યાદ આવી જાય છે.
ઉદાલક ઋષિએ પુત્ર શ્વેતકેતુને અભ્યાસ માટે કાશી મોકલ્યો. શ્વેતકેતુ ઉચ્ચ અભ્યાસ કરીને પાછા ઘરે આવ્યા ત્યારે એમની ચાલવાની ઢબ જોઈને ઉદાલક સમજી ગયા કે પુત્રને જ્ઞાનનો અહંકાર આવી ગયો છે.
શ્વેતકેતુએ પિતાના ચરણસ્પર્શ કર્યા એ પછી ઉદાલકે પૂછયું, ‘અભ્યાસ કરી આવ્યો બેટા? શું જાણી આવ્યો?’
શ્વેતકેતુ: ‘બધું જ.’
ઉદાલક ઋષિએ પૂછયું, ‘બધું જ જાણી લીધું?’
શ્વેતકેતુ: ‘હા, પિતાજી.’
ઉદાલકે સવાલ કર્યો: ‘એ પણ જાણી લીધું કે જે જાણ્યા પછી કશું જ જાણવાની જરૂર નથી?’ શ્વેતકેતુ નિરુત્તર થઈ ગયા.
ઘણા માણસોને બધું જાણી લેવાનું જાણે ઝનૂન હોય છે. અને ઘણા લોકો થોડું જાણતા હોય, પણ ડોળ એવો કરે કે દુનિયાનું સૌથી વધુ જ્ઞાન એમની પાસે છે. વાસ્તવમાં એમની પાસે જ્ઞાન નથી હોતું, એમની પાસે માત્ર માહિતી હોય છે.
મુદ્દો એ છે કે બધું જાણી લેવાનું ઝનૂન શા માટે હોવું જોઈએ. દુનિયામાં એવી કોઈ વ્યક્તિ હોતી નથી કે જેની પાસે સંપૂર્ણ જ્ઞાન હોય.
છેલ્લે આ એક પ્રાચીન કથા સાથે વાત પૂરી કરીએ….
એક મહાન ઋષિએ પોતાના જીવન દરમિયાન દુનિયાભરના તમામ ગ્રંથો વાંચી લેવાનો નિશ્ચય કર્યો. એમણે ઈશ્વરની સાધના જેટલો જ સમય વાંચન પાછળ ગાળવાનું શરૂ કર્યું. એમની ઉંમર બસો વર્ષની થઈ ત્યારે એક દિવસ ખુદ ભગવાન એમને લેવા આવી પહોંચ્યા. ઋષિને કહ્યું કે, ‘તમારો પૃથ્વી પર સમય પૂરો થઈ ચૂક્યો છે. તમારી આટલી લાંબી સાધનાને કારણે તમે એ કક્ષાએ પહોંચ્યા છો કે હું ખુદ તમને સ્વર્ગમાં લઈ જવા આવ્યો છું.’
ઋષિએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘તમે ખુદ મને લેવા આવ્યા છો છતાં મારો જીવ અવગતે જશે, કારણ કે મારે થોડા ગ્રંથો વાંચવાના બાકી રહી ગયા છે. મને થોડો સમય આપો તો મારી ઈચ્છા પૂરી થઈ શકશે.’
આપણ વાંચો: સર્જકના સથવારે : પ્રકૃતિના સથવારે અનુભૂતિ અવતારનો શાયર કૈલાસ પંડિત
ઋષિની વાત સાંભળીને ભગવાન હસ્યા અને બીજી ક્ષણે એમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એમણે હવામાં હાથ ફેરવ્યો એ સાથે ગ્રંથોનો પહાડ ખડકાઈ ગયો. વિરાટ સ્વરૂપ ધારણ કરનારા ભગવાને બે હાથની ચપટીમાં ગ્રંથો ઉપાડ્યા અને ઋષિને કહ્યું,
‘તમે આટલું વાંચ્યું છે અને આ ગ્રંથોનો પહાડ ખડકાયો છે એટલું વાંચવાનું બાકી છે…!’
ભગવાન આગળ કંઈ બોલે એ પહેલા જ ઋષિએ કહ્યું,
‘ચાલો, હું તમારી સાથે આવું છું.!’
મુદ્દો એ છે કે દુનિયામાં કોઈ માણસ બધું જ જાણી શકતો નથી અને કોઈ પણ માણસે બધું જાણી લેવાની જરૂર પણ નથી. જીવન સારી રીતે જીવવા પૂરતું જાણી લઈએ એટલું પૂરતું છે.
બીજું કશું જાણીએ કે ન જાણીએ, પણ ખાસ જાણવા જેવી વાત એ છે કે ‘ગૂગલ’ આપે છે એ માહિતી છે, જ્ઞાન નથી. જ્ઞાન કે ડહાપણ કોઈ ગુરુ (એટલે કોઈ ફાઇવ સ્ટાર બાવો નહીં) સાચો ગુરુ!) આપી શકે.