ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : છલકાઈ જતા તમામ આઈપીઓ સારા જ હોય એ જરૂરી નથી

  • જયેશ ચિતલિયા

જાહેર ભરણાં (આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) કંપનીઓ માટે પરિવર્તનકારી સીમાચિન્હ સમાન હોય છે. આ સાથે કંપની પબ્લિક સમક્ષ આવે છે, વધુ પારદર્શક અને જવાબદાર બને છે. તેના શૅરોમાં લાખો લોકો લે-વેચ કરે છે. તેણે સતત નીતિ-નિયમોના પાલન કરવાના આવે છે. કંપનીઓ માટે જાહેર ભંડોળ મેળવીને બિઝનેસ વધારવાની તક ઊભી થાય છે.

મોટા આઈપીઓ ઘણી વાર મીડિયાનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે, જ્યારે અમુક નાની તથા મધ્યમ કદની કંપનીઓના આઈપીઓ ભલે બહુ પ્રચાર ન પામે, પરંતુ એવા શક્તિશાળી રૂપમાં ઊભરી આવે છે. મોટો આધાર કંપનીઓના મેનેજમેન્ટ અને તેના બિઝનેસમાં રહેલી સમર્થતા પર હોય છે.

જોકે આ બધાં વચ્ચે એક ચિંતાજનક બાબત છુપાયેલી હોય છે. કથિત રિટેલ ઈન્વેસ્ટમેન્ટ, સટ્ટાખોરી અને મધ્યસ્થીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પ્રેરિત કૃત્રિમ ઓવરસબ્સ્ક્રિપ્શન, વગેરેને લઈને આઈપીઓનો ખરો ઉદ્દેશ્ય માર્યો જાય છે. તે વાસ્તવિક મૂડી સર્જનના સાધનને બદલે તે સટ્ટાકીય સાધન બની જાય છે.

લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સેગમેન્ટે તેની સુલભતાને કારણે લોકપ્રિયતા હાંસલ કરી છે. કદ નાનું હોય પણ વૃદ્ધિ દર ઊંચો હોય. આને લીધે તેના જાહેર ભરણા રિટેલ ઈન્વેસ્ટરોને આકર્ષિત કરે છે, જે ઝડપથી નફો કમાવવાની ઈચ્છા રાખતા હોય છે.
જોકે આ સુલભતા બેધારી તલવાર બની ગઈ છે. એક બાજુ, રિટેલ રોકાણકારો ખૂબ સરળતાથી એમની અરજીઓનો લાભ ઉઠાવી શકે છે, મતલબ કે ભંડોળ ઉધાર લઈને કે ફિનટેક સંચાલિત આઈપીઓ ફાઈનાન્સિંગનો ઉપયોગ કરે છે તો બીજી બાજુ, ઓવરસબ્સ્ક્રિપ્શન, જે સામાન્ય રીતે ઈન્વેસ્ટરોના ભરોસાનું પ્રતીક ગણાય છે તેનો બજારને ગેરમાર્ગે દોરવા ચાલાકીપૂર્વક દુરુપયોગ કરવામાં આવે છે.

દુરુપયોગના જોખમ…
આ દુરુપયોગ ચિંતાજનક છે. રિટેલ-નાના ઈન્વેસ્ટરોને લિસ્ટિંગના લાભોના વચન આપીને લલચાવવામાં આવે છે. એને લીધે એવા ઈન્વેસ્ટરો ઘણી વાર લોન લઈને કે થર્ડ-પાર્ટીનું ભંડોળ વાપરીને એમની નાણાકીય ક્ષમતા કરતાં વધારે શૅર માટે અરજી કરતા હોય છે. કેટલાક તો નિયામકના પ્રતિબંધોની પરવા કર્યા વગર પરિવારના એકાઉન્ટ મારફત કે બનાવટી ઓળખના માધ્યમથી અનેક અરજીઓ કરતા હોય છે.

જયારે કે ઈસ્યુ લાવવામાં કંપનીઓને સર્વિસ આપતા મર્ચન્ટ બેન્કરો તો ઓવરસબ્સ્ક્રિપ્શનને મોટી સફળતા તરીકે દર્શાવવા ઉત્સુક રહેતા હોય છે. એને લીધે એ ક્યારેક ગેરપ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે છે. જે વધારે હાનિકારક કહેવાય. આના પરિણામે માગનું કૃત્રિમ અને ગેરમાર્ગે દોરતું ચિત્ર ઊભું થાય છે. ભરણાંના વધુ પડતા ઊંચા આંકડા સાચા ઈન્વેસ્ટરો એવું માનવા માટે પ્રેરે છે કે સંબંધિત આઈપીઓ ખરેખર સારો છે અને તેથી ડિમાન્ડમાં છે.

‘સેબી’ના સાવચેતીનાં પગલાં…

આવી કૃત્રિમ માગના દૂરગામી પરિણામો આવે છે. લિસ્ટિંગ બાદ, ગેરફાયદો ઉઠાવનાર રોકાણકારો લોન ચૂકવવા માટે એક્ઝિટ કરવા એટલે કે શૅરો વેચી દેવા ઉતાવળા બને છે, પરિણામે ભારે અસ્થિરતા સર્જાય છે. ઘણા એસએમઈ આઈપીઓના કેસોમાં પ્રારંભિક ઉછાળા બાદ અમુક અઠવાડિયામાં જ એમના ભાવ નીચે પછડાય છે એને લીધે રિટેલ
ઈન્વેસ્ટરોને નુકસાન ભોગવવાનું આવે છે. આ બધાં જોખમોને ધ્યાનમાં લઈને નિયમન સંસ્થા ‘સેબી’એ એસએમઈ આઈપીઓ માર્કેટમાં સંતુલન પ્રસ્થાપિત કરવા માટે કેટલાંક સરાહનીય પગલાં લીધાં છે. નિયામકનો હસ્તક્ષેપ પ્રતિબંધાત્મક અને શિક્ષાત્મક એમ બંને છે.

આપણ વાંચો:  મોર્નિંગ મ્યૂસિંગ : ટ્રમ્પ-મસ્કની ટક્કર આત્મમુગ્ધ ને અહંકારી લીડરોમાં સહાનુભૂતિ જેવું કશું હોતું નથી

આઈપીઓ અરજીઓ માટે અપફ્રન્ટ માર્જિન પેમેન્ટ્સ ફરજિયાત બનાવીને ‘સેબી’એ ઉધાર લીધેલા નાણાં પરની નિર્ભરતાને ઘટાડી દીધી છે અને માત્ર ખરા-જેન્યુઈન ઈન્વેસ્ટરો જ ભાગ લે એવી તકેદારી લીધી છે. હવેની મજબૂત નિરીક્ષણ યંત્રણા ઢગલાબંધ અરજીઓની ચકાસણી કરશે, જેથી રિટેલ ક્વોટાનો દુરુપયોગ અટકાવી શકાશે. વધુમાં, ‘સેબી’એ ડિસ્ક્લોઝરને લગતા નિયમોને પણ કડક બનાવ્યા છે, જેમાં કંપનીઓને એવો ખુલાસો કરવાનો રહેશે કે એમની આઈપીઓ કિંમત વાજબી છે અને એ આવકનો ઉચિત ઉપયોગ કરવા ધારે છે. આનાથી એ સુનિશ્ર્ચિત થશે કે એકત્ર કરાયેલી મૂડી ખરેખર બિઝનેસ જરૂરિયાતો માટે જ વપરાશે, નહીં કે સટ્ટાખોરી માટે.

આમ નિયામકનાં પગલાંનું મહત્ત્વ તો રહે જ છે, પરંતુ મર્ચન્ટ બેન્કરો તથા મધ્યસ્થીઓની પણ જવાબદારી બને છે.
એસએમઈ આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કોની ભૂમિકા માત્ર સુવિધા પ્રદાન કરવાથી આગળ વધીને બજારની તંદુરસ્તી જળવાય એવી સક્રિય ભૂમિકાની પણ હોવી જોઈએ. ઓવરસબ્સ્ક્રિપ્શન જો કૃત્રિમ રીતે કરાયું હોય તો એનો પ્રચાર સફળતાના માપદંડ તરીકે કરવો ન જોઈએ. મર્ચન્ટ બેન્કરોએ ઈન્વેસ્ટર અરજીઓ પર કડક કામગીરી બજાવવી જોઈએ.

આઈપીઓના ભાવ બનાવટી માગને બદલે ફંડામેન્ટલ્સને આધારિત હોવા જોઈએ. ઈન્વેસ્ટરોને આસાન લાભના પ્રલોભનોમાં ફસાવવાને બદલે જોખમોથી વાકેફ કરવા જોઈએ. આવી પ્રવૃત્તિઓને કારણે બજારની સ્થિરતાને પણ હાનિ થાય છે.

આમ છલકાઈ જતા આઈપીઓમાં રિટેલ ક્વોટાને વ્યવહારુ બનાવવાનો ‘સેબી’નો પ્રસ્તાવ સાચી દિશાનું પગલું છે. ઓવરસબ્સ્ક્રિપ્શન જ્યારે સાચું હોય તો એ કંપનીના ભાવિમાં ભરોસો દર્શાવે છે, પરંતુ જો બનાવટી હોય તો એ છેતરપિંડીનું સાધન બની જાય છે.

આપણ વાંચો:  વલો કચ્છ : પશુપંખીની સૌંદર્યમંડિત શિલ્પાકૃતિ

અહીં એક વાત સ્પષ્ટ છે: સાચી પ્રગતિ ખોટા પ્રચાર દ્વારા અંધાધૂંધીથી નહીં, પરંતુ વિવેકપૂર્ણ વહીવટની સ્થિરતાથી થાય છે. ‘સેબી’ની સતર્કતા એ સુનિશ્ર્ચિત કરે છે કે આઈપીઓ, જે ઉદ્યોગોના વિકાસ અર્થે મૂડી એકત્ર કરવા માટેના હોય છે તેનો ખરો ઉદ્દેશ્ય સહેલાઈથી પૈસા કમાઈ લેવાના હુંસાતુંસીમાં ખોવાઈ ન જાય. ટૂંકાગાળાના લાભને બદલે લાંબા ગાળાની પ્રામાણિકતાને પ્રાથમિકતા અપાશે તો એસએમઈ સેગ્મેન્ટનો લાંબા ગાળાનો વિકાસ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button