
ઉત્તરાખંડ: જૂન મહિનામાં દુર્ઘટનાઓ ટળવાનું નામ લઈ રહી નથી. અમદાવાદ વિમાન દુર્ઘટનાને હજુ ત્રણ દિવસ પણ પૂરા થયા ન હતા. એવામાં વધુ એક દુર્ઘટના સામે આવી છે. રવિવારની વહેલી સવારે કેદારનાથ ધામ પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
હેલિકોપ્ટરમાં સવાર હતા 7 યાત્રીઓ
15 જૂન 2025ને રવિવારના રોજ વહેલી સવારે આર્યન કંપનનીનું હેલિકોપ્ટર કેદારનાથ ધામથી ફાટા જવા માટે રવાના થયું હતું. હેલિકોપ્ટરમાં એક 23 મહિનાની બાળકી સહિત 7 લોકો યાત્રા કરી રહ્યા હતા. પરંતુ સવારે 5.30 વાગ્યાની આસપાસ ગૌરીકુંડ વિસ્તારમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
હેલિકોપ્ટર નોડલ અધિકારી રાહુલ ચૌબે અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રજવારે હેલિકોપ્ટર દુર્ઘટનાની પુષ્ટી કરી છે. હાલ ખરાબ હવામાનને દુર્ઘટનાનું કારણ બતાવાયું છે. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 થી વધુ લોકોના મૃત્યુની આશંકા છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

યાત્રીઓ સકુશળ હોય એવી પ્રાર્થના: પુષ્કર સિંહ ધામી
દુર્ઘટનાને લઈને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “રૂદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના દુખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક પ્રશાસન અને અન્ય રેસ્ક્યૂ ટીમ બચાવ કાર્યમાં જોડાઈ છે. બાબા કેદારના તમામ યાત્રીઓ સકુશળ હોય એવી પ્રાર્થના કરૂં છું.”
હેલિકોપ્ટર ક્રેશ થયાની 5મી ઘટના
ગૌરીકુંડ પાસે ઘાસ કાપી રહેલી એક મહિલાએ હેલિકોપ્ટર ક્રેશ થયા અંગેની માહિતી આપી હતી. દુર્ઘટનાને લઈને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કેદારનાથ ધામ ખાતે બનેલી આ પાંચમી દુર્ઘટના છે. 7 જૂન 2025ના રોજ પણ કેદારનાથ ધામ પાસે એક હેલિકોપ્ટરનું હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.