ઉત્સવ

કવર સ્ટોરી : અમદાવાદ વિમાન દુર્ઘટના: આંચકો,અવાક, આઘાત વે પછી આક્રંદ…

-વિજય વ્યાસ

241 પ્રવાસી સહિત કુલ 275 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો એવી સ્તબ્ધ કરી મૂકે એ ‘ડ્રીમલાઈનર’ બોઈંગના હવાઈ અકસ્માતે અનેક પરિવારનાં ડ્રીમ- સપનાંને વેર-વિખેર કરી નાખ્યા છે ત્યારે આ દુર્ઘટનાની આસપાસનો માહોલ એક તમાશો ન બની જાય એની સાવચેતી પણ આપણે રાખવી રહી…

અમદાવાદમાં ‘એર ઈન્ડિયા’નું પ્લેન તૂટી પડ્યું એ ઘટનાનો આઘાત હજુ શમ્યો નથી. આ દુર્ઘટનામાં માત્ર પ્લેનમાં સવાર લોકોનાં જ મોત નથી નીપજ્યાં, પણ એ પ્લેન તૂટીને મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું તેમાં કેટલાક ભાવિ ડોક્ટરો પણ માર્યા ગયા, હોસ્ટેલના સ્ટાફના કેટલાકે પણ જીવ ગુમાવ્યા. (આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મરણનો આંક 275 સુધી પહોંચી ગયો છે.)

જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યાં એમનાં દિલ પર શું વીતી રહી હશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.
‘એર ઈન્ડિયા’ દ્વારા દરેક મૃતકદીઠ પરિવારને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે. વિમાના પણ દોઢ-દોઢ કરોડ મળશે પણ આ બધા રૂપિયાથી સ્વજન ગયાનું દુ:ખ હળવું થવાનું નથી. કોઈએ પરિવારના મોભી ગુમાવ્યા છે તો કોઈએ લાડકી દીકરી ગુમાવી છે. કોઈએ પોતાની જીવનસંગિની ગુમાવી છે તો કોઈએ પરિવારની એક માત્ર કમાતી વ્યક્તિ ગુમાવી છે. હોસ્ટેલમાં કામ કરનારાં એક બહેનની તો બે વર્ષની પૌત્રી એમની સાથે હતી ને એનો પત્તો નથી. દીકરી ગુમાવનારી માતા હૈયાફાટ રૂદન કરી રહી છે.

આવી જ હાલત તમામ પરિવારોની છે. આખા દેશે આ પરિવારોની સંવેદનામાં ભાગીદાર બનવું જોઈએ પણ તેના બદલે આપણે ત્યાં આટલી મોટી દુર્ઘટનાનો પણ તમાશો બનાવી દેવામાં આવ્યો છે. ભારતમાં કોઈ પણ દુર્ઘટના બને કે તરત કોન્સ્પિરસી થિયરીઓ – કહેવાતાં કાવતરાંની વાત વહેતી થઈ જાય છે. સોશિયલ મીડિયા પર કહેવાતા એક્સપર્ટ્સ મેદાનમાં આવી જાય છે અને આપણે કલ્પના પણ ના કરી શકીએ એવી વાતો વહેતી કરી દે છે. અમદાવાદ પ્લેન ક્રેશ પછી પણ ખેલ શરૂ થઈ ગયો છે.

આ પ્લેન કોઈ ટેકનિકલ ખામીના કારણે નથી તૂટ્યું, પણ ભાંગફોડના કાવતરાના ભાગરૂપે વિમાન તોડી પડાયું છે એવા દાવા કરવામાં આવી રહ્યા છે. એવી વાતો ચગાવાઈ રહી છે કે મૂળ તો પ્લેન સિવિલ હોસ્પિટલ પર પાડીને હજારોની સંખ્યામાં લોકોની હત્યા કરવાનું કાવતરું હતું, પણ થોડીક સેક્ધડોની ચૂકમાં પ્લેન હોસ્ટેલ પર પડી ગયું તેથી મૃત્યુ આંક ઓછો થયો !
આવી વાતોના કોઈ પુરાવા નથી. જે લોકોએ કદી પ્લેનનું એન્જિન જોયું પણ નહીં હોય એવા લોકો બેસીને પ્લેન કઈ રીતે કામ કરે છે તેની ગોળીઓ દર્શકોને ગળાવી રહ્યા છે… પ્લેનનાં બન્ને એન્જિન કદી પણ એક સાથે બંધ જ ના થાય એવી વાત કરી રહ્યા છે. બોઈંગ વિમાને કરેલા બચાવને કોન્સ્પિરસી થિયરીઓ માટેનો આધાર બનાવી રહ્યા છે. બીજી તરફ, સરકાર કાવતરાની વાત દબાવી દેવા માગે છે એવી બકવાસ વાતો પણ ધૂમ ચાલી રહી છે.

આઘાતની વાત પાછી એ છે કે, આપણે ત્યાં લોકો આવા વીડિયોને વાયરલ કરી રહ્યા છે. કોન્સ્પિરસી થિયરી વહેતી કરનારાની કોઈ લાયકાત છે કે નહીં તે સમજ્યા વિના તેનાં જૂઠાણાં આ લોકો ફેલાવી રહ્યા છે. બોઈંગ કંપની તો પોતાના પ્લેનનો બચાવ જ કરવાની એટલી સાદી સમજ પણ એમનામાં નથી. પ્લેન ભાંગફોડ કે આતંકવાદી કાવતરાનો ભોગ બન્યું હોય એવી શક્યતાને નકારી ના શકાય, પણ તેના નક્કર પુરાવા જરૂરી છે. પ્લેનનું બ્લેક બોક્સ કોક્પીટ રેકોર્ડર મળી ગયું છે. તેનું અધિકૃત એનાલિસિસ પૃથકરણ કરીને કોકપિટની વાતચીતના આધારે પ્લેન ક્રેશનાં કારણ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અઠવાડિયા કે દસ દિવસમાં એ તારણ અને કારણ બહાર આવી જશે. આપણે ત્યાં સુધી રાહ જોવી જોઈએ પણ તેના બદલે દુર્ઘટનાને 24 કલાક પણ નહોતા થયા ત્યાં જાતભાતનાં કાવતરાંની વાતો વહેતી કરવી કે ‘સરકાર કંઈક છુપાવી રહી છે’ એવો બકવાસ કરીને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું જરાય યોગ્ય નથી.

આ બધા વચ્ચે બોઈંગ કંપની ભલે ગમે તે દાવા કરે પણ તેનાં વિમાનો સંપૂર્ણ સલામત નથી જ. ભૂતકાળમાં ટેક્નિકલ ખામીના કારણે બોઈંગનાં ઘણાં વિમાનો તૂટ્યાં જ છે. ઈન્ટરનેટ પર સર્ચ મારશો તો એક શોધશો તો એકવીસ ઘટનાઓ મળી આવશે. આ સંજોગોમાં બોઈંગના દાવાના આધારે એનાં આવાં ‘ડ્રીમલાઈનર’ પ્લેનને ક્લીન ચીટ આપવી મૂર્ખામી છે. એક અહેવાલ મુજબ જે ‘ડ્રીમલાઈનર’ બોઈંગ અમદાવાદમાં અકસ્માતનો ભોગ બન્યું એ જ વિમાન છેલ્લાં 15 દિવસથી ભારત અને વિદેશો વચ્ચે સતત પ્રવાસ કરતું હતું અને વચ્ચે એને પણ કોઈ ટેક્નિકલ મુશ્કેલી નડી હતી. એને જોઈતો આરામ આપીને વિમાનની જરૂરી જાંચ-તપાસ ન થઈ અને રહી ગયેલી તકનિકી ખામી એના માટે ઘાતક બની ગઈ હોય એવી સંભાવના નકારી કાઢવામાં આવતી નથી…

એક વર્ગ દુર્ઘટનાને ધર્મ સાથે જોડી રહ્યો છે. ‘જીવન ક્ષણભંગુર છે ને ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ એવાં ઉપદેશાત્મક વીડિયોનો તો મારો ચાલી રહ્યો છે, પણ પ્લેન ક્રેશમાં 241 પ્રવાસી માર્યા ગયાં, પણ ‘ભગવદ્ ગીતા’ના પુસ્તકને આંચ પણ ન આવી…

બધાં મળીને 290થી વધુ લોકોનાં મોત આ દુર્ઘટનામાં થયાં છે તેનો અફસોસ કરવાના બદલે એક પુસ્તક બચી ગયું એની ખુશી વ્યકત કરનારા પણ છે. પ્લેન ક્રેશમાં લંડનના રમેશ વિશ્વાસકુમાર નામનો એક પ્રવાસી આબાદ ઊગરી ગયો અને એક દીકરી ટ્રાફિકમાં ફસાઈ ગઈ તેમાં પ્લેન ચૂકી ગઈ તેથી બચી ગઈ. આ યુવક-યુવતીની જિંદગી ના છિનવાઈ તેનો આપણને આનંદ છે, પણ ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સહિત બાકીનાં 241 વત્તા પ્લેન હોસ્ટેલ પર પડ્યું એના કેટલાક યુવા મેડિકલ સ્ટુડન્ટ્સના પણ ‘રામ રક્ષક ના બન્યા’ એવું કહીને શું સાબિત કરવા માગીએ છીએ એ જ લોકોની માનસિકતા સમજાતી નથી.

ધર્મ સંવેદનશીલ વિષય છે તેથી તેના વિશે ટીકા-ટિપ્પણી ના કરવી જોઈએ પણ આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે, અનેક પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે ત્યારે તો ધર્મને આ વાતોથી દૂર રાખવાની વિવેકબુદ્ધિ હોવી જોઈએ.

ફેક વીડિયોની પરાકાષ્ઠા…
ચીન દુનિયાભરનાં શ્રેષ્ઠ ઉત્પાદનોની નકલ કરીને આર્થિક મહાસત્તા બન્યું છે જ્યારે ભારતીયો ફેક પોસ્ટ્સમાં મહારત હાંસલ કરી રહ્યા છે. એપલનો આઈફોન હોય કે મેટાનું ફેસબુક હોય, ચીન પાસે બધાંની કોપી છે અને ચીના તેમાંથી નાણાં રળે છે જ્યારે ભારતમાં કોઈ પણ ઘટના બને એટલે તરત તેનો ફેક વીડિયો કે પોસ્ટ બનાવીને ફરતી કરી દેવામાં સમય વેડફાય છે. આ પ્રવૃત્તિમાં કદાચ લોકોને વિકૃત આનંદ આવે છે, પણ પ્લેન જેવાં અકસ્માતમાં માર્યા ગયેલા માણસને પણ એ લોકો છોડતા નથી.

અમદાવાદ પ્લેન ક્રેશમાં જેમનું નિધન થયું એ પાઈલોટ કેપ્ટન સુમિત સભરવાલનો પણ મૃત્યુ પહેલાંનો કહેવાતો આવો જ ફેક વીડિયો વાયરલ થયો છે. 54 વર્ષના સભરવાલના બદલે કોઈ ફિલ્મ કે બીજા કશામાંથી કોઈ યુવાનનાં વિઝ્યુઅલ્સ લઈને બનાવી દેવાયેલા વીડિયોમાં ફિલ્મી સ્ટાઈલની વાતો છે. આ વીડિયો ભારતમાં યુવાઓ કઈ હદે દિશાહીન છે તેનો પુરાવો છે.
ક્રેશના સ્થળે સેલ્ફી લેવા જામી રહેલી ભીડ પણ આઘાતજનક છે. મોતનું માતમ કરવાના બદલે આપણે તેને પણ તમાશો બનાવી દીધો છે

આપણ વાંચો : કવર સ્ટોરી : શું હૉસ્પિટાલિટી ઉદ્યોગ હૉસ્પિટલ ભેગો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button