રાજા રઘુવંશી હત્યાકાંડ: વિશાલે ઈન્દોરમાં ત્રણ મહિના માટે બુક કરાવ્યો હતો ફ્લેટ

ઈન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડની તપાસમાં પોલીસને સતત નવી માહિતી મળી રહી છે. આ કેસ પૂર્વથી પશ્ચિમ સુધી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં રાજાની હત્યા માટે ઘડાયેલા કાવતરામાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે, અને હવે તપાસ નવા પાસાઓ તરફ આગળ વધી રહી છે.
મુખ્ય આરોપી સહિત તમામની ધરપકડ કરી લેવામાં આવી છે, હાલ તમામ રીમાન્ડ પર છે. જ્યાં પોલીસ તપાસમાં ફરી નવા ખુલાસા થયા છે. તાજેતરની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિશાલ ચૌહાણે ઈન્દોરના દેવાસ નાકા વિસ્તારના હીરા બાગમાં એક બિલ્ડિંગમાં પોતાના નામે ફ્લેટ બુક કરાવ્યો હતો. તેણે ત્રણ મહિનાનું ભાડું અગાઉથી ચૂકવ્યું હતું, એવું પ્રોપર્ટી મેનેજમેન્ટ ફર્મના માલિક શિલોમે જણાવ્યું. વિશાલે ફ્લેટ બુક કરતી વખતે જણાવ્યું હતું કે તેના ભાઈ-બહેન ત્યાં રહેવાના છે.
આ પણ વાંચો: રાજા રઘુવંશી મર્ડર કેસ: આખરે કોણ હતું આ હત્યાનું માસ્ટરમાઈન્ડ?
આ હત્યાકાંડ 2 જૂને પ્રકાશમાં આવ્યો જ્યારે રાજા રઘુવંશીનો મૃતદેહ શિલોંગની એક ખીણમાંથી મળી આવ્યો હતો. પોલીસે 9 જૂને રાજાની પત્ની સોનમ રઘુવંશીની ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ધરપકડ કરી. તપાસમાં સોનમ ઉપરાંત રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીની સંડોવણી બહાર આવી છે. પોલીસે તમામ આરોપીઓને શિલોંગ લઈ જઈને પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ હત્યા એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ હતી. ફ્લેટ બુકિંગ, ભાડાની ચૂકવણી અને કરાર જેવી બાબતો અગાઉથી આયોજિત હતી. હાલ પોલીસ ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેલ્સના આધારે તપાસ આગળ વધારી રહી છે, જેમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.