મહારાષ્ટ્રના ન્હાવામાં માતમઃ ગામની પહેલી છોકરી હતી મૈથિલી જે આકાશમાં ઉડવા ગઈ હતી અને…

નવી મુંબઈ: અમદાવાદમાં બનેલી કરૂણ ઘટના બાદ ગુજરાત સહિત આખા દેશમાં શોકનો માહોલ છે. 12 જૂનના અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થયેલી ફ્લાઈટ આંતરિક ખામીઓના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ફ્લાઈટમાં 12 ક્રૂ મેમર સહિત 242 લોકો સવાર હતા. જેમાંથી એક માત્ર વિશ્વાસ કુમારનો આબાદ બચાવ થયા છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં નવી મુંબઈના ઉરણ તાલુકામાં આવેલા ન્હાવા ગામની દીકરીનો પણ સમાવેશ થાય છે. મૈથિલી પાટીલ આ ફ્લાઈટમાં ક્રૂ મેમર તરીકે કામ કરી હતી. ગામના લોકો મૈથિલીની સફળતા પર ગર્વ અનુભવતા હતા, પરંતુ આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો.
મૈથિલી ન્હાવા ગામની પ્રથમ વ્યક્તિ હતી જેમણે કોમર્શિયલ એરલાઈનમાં કેબિન ક્રૂ તરીકે સ્થાન મેળવ્યું હતું. તેમણે લેડી ખાતુન મરિયમ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આકાશમાં ઉડવાનું સપનું જોયું હતું. 2020-21માં 12મું ધોરણ પૂરું કર્યા બાદ તેમણે કેબિન ક્રૂનો કોર્સ કર્યો અને એર ઈન્ડિયામાં જોડાયા. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર સેવા આપતી મૈથિલી ગામ માટે ગૌરવનું પ્રતીક બની હતી.
એક મીડિયા સાથેની વાતચીમમાં સ્કૂલના આચાર્ય ડેસીમ્મા પોલે મૈથિલીની સ્વાભવ નમ્ર અને શિસ્તબદ્ધ હોવાની વાત કરી હતી. તેમને છેલ્લી મુલાકત વાગોળતા કહ્યું કે બે મહિના પહેલાં તે કેરિયર ગાઈડન્સ સેશન માટે આવી હતી અને વિદ્યાર્થીઓને એવિએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરણા આપી હતી. ઉલ્લેખનીય છે કે મૈથિલીના પિતાની આર્થિક પરિસ્થિતી નબળી હોવા છતા, મુશ્કેલી વેઠીને પણ દિકરીના સપનાને ટેકો આપ્યો હતો. મૈથલીની હિંમતની વાત કરતા તેમના એક સંબંધીએ જણાવ્યું કે, મૈથિલીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હિંમત ન હારી અને પોતાનું સપનું સાકાર કર્યું. ગામ આજે તેની યાદમાં શોક વ્યક્ત કરે છે.