આલોક પાંડેને સુશાંત સિંહ રાજપૂતનો આવ્યો હતો મસેજ, જાણો શું લખ્યું હતું

મુંબઈ: બોલીવૂડ સુપર સ્ટાર સુશાંત સિંહ રજપૂતની આજે પાંચમી પુણ્યતિથિ છે. તેઓ પોતાનું કરિયાર નાના પડદાથી શરૂ કર્યું હતુ. જે બાદ તેને બોલીવૂડમાં પણ એન્ટ્રી કરી હતી. એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ‘કાઈ પો છે’, ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’, ‘MS ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’, ‘સોનચિરૈયા’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પાંચ વર્ષ બાદ પણ તેમની યાદો ચાહકો અને પરિવારના મનમાં અડીખમ છે. તેની ફિલ્મ ‘એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં ચિત્તુનું પાત્ર ભજવનાર અભિનેતા આલોક પાંડેએ સુશાંત સાથેની અંગત યાદો આજે ફરી તાજ કરી હતી. એક મીડિયા ઈન્ટરવ્યૂહમાં આલોકે જણાવ્યું કે સુશાંતના અવસાનના સમાચારે તેમને અંદરથી હચમચાવી દીધા હતા, અને આજે પણ તેમની ખોટ અનુભવાય છે.
14 જૂન, 2020ના રોજ સુશાંતના આકસ્મિક નિધનના સમાચારે સૌને સ્તબ્ધ કરી દીધા હતા. ન્યૂઝ ચેનલો પર સમાચાર જોયા બાદ જ તેમને આ દુઃખદ ઘટનાની હકીકતનો અહેસાસ થયો. આલોકે કહ્યું, “સુશાંત એક એવો વ્યક્તિ હતો જે જીવનને ઉત્સાહથી જીવતો હતો. તેની વાતોમાંથી લાગતું હતું કે કોઈ પણ સપનું અશક્ય નથી.”
આ પણ વાંચો: સુશાંત સિંહ મૃત્યુ કેસ: દિશા સાલિયાનના મોતનો કેસ ખૂલ્યો જ્યારે રિયા ચક્રવર્તીને મળી ક્લિન ચીટઃ જાણો વિગતવાર
આલોકે સુશાંત સાથેની અંતિમ વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા મોકલી હતી, જેનો સુશાંતે લાંબો જવાબ આપ્યો હતો અને મળવાનું વચન આપ્યું હતું. પરંતુ દુર્ભાગ્યે, તે મુલાકાત ક્યારેય થઈ શકી નહીં. આલોકે ફિલ્મ ‘લખનઉ સેન્ટ્રલ’ દરમિયાન પણ સુશાંતના સપોર્ટની વાત કરી, જ્યાં સુશાંતે તેમના કામની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું, “તું ખૂબ સારો અભિનેતા છે.”
‘છિછોરે’ ફિલ્મ પછી સુશાંત સાથેની વાતચીત ઓછી થઈ ગઈ હતી, પરંતુ આલોકે ક્યારેય નહોતું વિચાર્યું કે આવું મોટું આઘાતજનક સત્ય સામે આવશે. તેમણે સુશાંતને એક સુપરસ્ટાર ગણાવ્યો. આલોકે સુશાંતને એક એવા વ્યક્તિ તરીકે યાદ કર્યો જે હંમેશા સકારાત્મકતા ફેલાવતો હતો અને બીજાની લાગણીઓની કિમત સમજતો હતો.
2020માં સુશાંતના નિધન બાદ વર્ષો સુધી તપાસ ચાલી, પરંતુ આ વર્ષે સીબીઆઈ, એનઆઈએ અને અન્ય એજન્સીઓને કોઈ ષડયંત્રના પુરાવા ન મળ્યા. આખરે ક્લોઝર રિપોર્ટ દાખલ કરીને કેસ બંધ કરવામાં આવ્યો. સુશાંતની યાદો આજે પણ તેના ચાહકો અને નજીકના લોકોના હૃદયમાં જીવંત છે.