જો થોડી સેકન્ડનું મોડું થયું હોત તો…પ્લેન ક્રેશમાં એક યુ ટર્ને બચાવ્યો કાર ચાલકનો જીવ…

અમદાવાદ: અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયાની દુર્ઘટના કેટલી ભયાનક હતી. એ વાત આ ઘટનાને આંખો સામે જોનાર લોકો જ સમજી શકે છે. એવા કેટલાક લોકો છે, જેઓ સદનસીબે આ દુર્ઘટનાનો શિકાર બનતા રહી ગયા છે. વિમાન દુર્ઘટનાના સમયે એક કાર ઘોડા કેમ્પ પાસેથી પસાર થઈ રહી હતી. કારથી થોડા મીટર દૂર આ દુર્ઘટના બની હતી. પરંતુ અણીના સમયે ડ્રાઈવરે લીધેલા યુ ટર્નના કારણે તેનો જીવ બચી ગયો હતો.
આવો વિસ્ફોટ મેં ક્યારેય સાંભળ્યો ન હતો: રશ્મિ ચૌહાણ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઘોડા કેમ્પના પાછળના રસ્તેથી એક એસયુવી કાર જતી નજરે પડે છે. આ સમયે જ કારથી થોડા મીટર દૂર વિમાન દુર્ઘટના સર્જાય છે. પરંતુ કાર તરત યુ ટર્ન લઈ લે છે અને તે બચી જાય છે. આ કારના 53 વર્ષીય ડ્રાઈવર રશ્મિ ચૌહાણ પોતાની જાતને વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ સમજે છે.
મીડિયા સાથેની વાત કરતા તેમણે જણાવ્યું કે, “હું સામાન્ય ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક એક મોટો વિસ્ફોટ થયો. મેં મારા જીવનમાં આવો કાન ફાડી નાંખે એવો વિસ્ફોટ ક્યારેય સાંભળ્યો ન હતો. વિમાન એટલું ભયાનક રીતે ટકરાયું હતું કે તેનો કાટમાળ મારી કાર પર આવીને પણ પડ્યો હતો.”
વિમાન દુર્ઘટના વિશે વિચારીને જ કંપારી છૂટી જાય છે
તેમણે આગળ જણાવ્યું કે, “જો હું થોડી સેકન્ડ પહેલા આ રસ્તા પરથી પસાર થયો હોત તો શું થાત? આ અંગે વિચારીને જ મને કંપારી છૂટી જાય છે. ભગવાનની કૃપાથી હું એ કપરી પરિસ્થિતિમાંથી બચી ગયો.” ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. આ ઘટના સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓ પૈકીની એક બની ગઈ છે.
આપણ વાંચો : દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને સહાય આપો, આઈએમએ ટાટા સન્સને લખ્યો પત્ર