લંડન જતા સોલાપુરના વૃદ્ધ દંપતીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કરુણ મોત

પુણેઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના એક વૃદ્ધ દંપતીએ લંડનમાં તેમના પુત્રને મળવાની યોજના બનાવી હતી અને અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં તેઓ સવાર હતા.
સોલાપુર જિલ્લા વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહાદેવ પવાર (૬૮) અને તેમની પત્ની આશા (૬૦) સોલાપુરના સાંગોલા તાલુકાના હાટીદ ગામના વતની હતા. મહાદેવ પવાર નડિયાદ (ગુજરાત)માં એક કાપડ મિલમાં કામ કરતા હતા. તેમના બે પુત્રો હતા – એક અમદાવાદમાં રહેતો હતો અને બીજો લંડનમાં. પવાર દંપતી હાલ અમદાવાદમાં રહે છે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ મુંબઈનો પરિવાર વિખેરાયો
સૂત્રોના જણાવ્યા અનુસાર પવાર પરિવાર ૧૫ વર્ષ પહેલાં સાંગોલા છોડીને ગુજરાતમાં સ્થાયી થયો હતો. તેઓ તાજેતરમાં જ તેમના સંબંધીઓને મળવા માટે હાટીદ પણ ગયા હતા. તેઓ ૧૨ જૂને લંડનમાં રહેતા પુત્રને મળવા જઈ રહ્યા હતા.
૨૪૨ મુસાફરો અને ક્રૂને લઈને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી ક્રેશ થયું હતું. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલા બોઈંગ ૭૮૭-૮ વિમાનમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો હતા.
૧૬૯ ભારતીય નાગરિક, ૫૩ બ્રિટિશ નાગરિકો, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અધિકારીઓ ડીએનએ પરીક્ષણ અને મુસાફરોની ચકાસણી પછી જ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા જાહેર કરશે.