ઇન્ટરનેશનલ

ઇઝરાયેલ-ઈરાન તણાવ: ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા એડવાઈઝરી

તેહરાન: ગત મોડી રાત્રે ઈઝરાયલે ઈરાનના સંખ્યાબંધ સ્થળોએ એર સ્ટ્રાઈક (Israel airstrike on Iran) કરી હતી. ઈઝરાયેલે ઈરાનની ન્યુક્લિયર સાઈટ્સને નિશાન બનાવી હતી, આ હુમલામાં ઈરાનની સેના રિવોલ્યુશનરી ગાર્ડસના વડાનું પણ મોત થયું હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ ઈરાને ઇઝરાયેલને વળતો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે. એવામાં વધુ એક યુદ્ધ શરુ થવાના ભણકારા વાગી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા માટે એક એડવાઇઝરી (Advisory for Indians in Iran) જાહેર કરી છે.

ઈરાનમાં ભારતીય દૂતાવાસના સત્તાવાર X એકાઉન્ટમાંથી એક પોસ્ટ કરી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું, “ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી હિલચાલ ટાળવા, દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ધ્યાન રાખવા કરવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા સેફટી પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.”

ઇઝરાયેલનું ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’:

ગત રાત્રે ઇઝરાયેલી વાયુસેનાએ ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ના ભાગ રૂપે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં પરમાણુ અને લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયેલે દાવો કર્યો કે ઈરાનને પરમાણુ શસ્ત્રો તૈયાર કરવાથી રોકવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઈરાનના ન્યુક્લિયર એનરીચમેન્ટ સાઈટ્સ, બેલિસ્ટિક મિસાઇલ પ્રોડક્શન ફેસેલીટી અને મીલીટરી લીડરશીપને નિશાન બનાવવામાં આવ્યા હતાં.

ઈરાન બદલો લેશે?

ઈરાની મીડિયા અને પ્રત્યક્ષદર્શીઓએ દેશના મુખ્ય યુરેનિયમ એનરીચમેન્ટ પ્લાન્ટ નટાન્ઝ સહિત અનેક સ્થળોએ વિસ્ફોટ થયાના અહેવાલ આપ્યા છે.

ઈરાન ઇઝરાયેલ સામે બદલો લેવા હુમલો કરી શકે છે. ઇઝરાયલે દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને સંભવિત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button