
શિલોંગ/ઇન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડમાં અનેક નવી વિગતો પ્રકાશમાં આવી રહી છે. હવે સોનમે SIT સમક્ષ કબૂલાત કરી છે કે તેણે તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી. જ્યારે સોનમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે હા, મેં જ કર્યું છે’. આ કેસ અત્યારે ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 5 દિવસથી આ કેસમાં પોલીસ સતત તપાસ કરી રહી છે, અને કેસને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે સોનમે રાજાની હત્યા કરી હોવાનું કબૂલી લીધું છે.
સોનમે રાજાની હત્યાનો ગુનો કબૂલી લીધોઃ સૂત્રો
જ્યારે પોલીસે સવાલ કર્યો કે, શું તે જ તારા પતિ રાજાની હત્યા કરાવી હતી? સોનમની કબૂલાતમાં દરેક પ્રશ્નનો જવાબ છે. સૂત્રોએ જણાવ્યું છે કે સોનમે ગુનો કબૂલ કરી લીધો છે. રાજા તેની પત્ની સોનમ સાથે હનીમૂન પર ગયો હતો પરંતુ અચાનક બંને ગુમ થઈ ગયા. ત્યારબાદ રાજાનો મૃતદેહ ઊંડી ખાડામાંથી મળી આવ્યો, ત્યારથી સોનમ ગુમ હતી. સોનમના ગુમ થવાથી મામલો વધુ જટિલ બન્યો હતો, પરંતુ ગાઝીપુર ઢાબામાંથી સોનમની ધરપકડ થતાં જ દરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો. સોનમ સહિત પોલીસે આ કેસમાં અન્ય 4 આરોપીઓની પણ ધરપકડ કરી છે.
મંગળસૂત્ર અને વીંટીએ કેસ ઉકેલવામાં મદદ કરી
મેઘાલયના પોલીસ મહાનિર્દેશક (DGP) I નોંગરાંગે વિગતો આપતા જણાવ્યું કે, રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ ગુમ થયા તે પહેલાં, આ દંપતી સોહરાના ‘હોમસ્ટે’ પર પોતાનો સુટકેસ છોડી ગયા હતા અને સુટકેસમાંથી મળેલા મંગળસૂત્ર અને વીંટીએ આ હત્યા કેસ ઉકેલવામાં મદદ કરી હતી. પરિણીત મહિલાએ આ ઘરેણાં છોડી દીધા હોવાથી, અમને આ કેસમાં શંકાસ્પદ તરીકે તેના પર નજર રાખવાનો સંકેત મળ્યો હતો. જેથી પોલીસને સોનમ પર વધારે શંકા થઈ હતી. મહત્વની વાત એ છે કે, સોનમે પણ પોતાનું ગુનો કબૂલી લીધો છે. જેથી આ કેસ 80 ટકા ઉકેલાઈ ગયો છે.
રાજાની હત્યામાં હવે છઠ્ઠા વ્યક્તિનું નામ પ્રકાશમાં આવ્યું
રાજા રઘુવંશી હત્યાકાંડમાં છઠ્ઠા વ્યક્તિનું નામ પ્રકાશમાં આવ્યું છે. જીતેન્દ્ર રઘુવંશી નામના વ્યક્તિને સોનમના બોયફ્રેન્ડ રાજ કુશવાહ સાથે સીધો સંબંધ છે. ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં રાષ્ટ્રીય મહિલા આયોગની એક ટીમ બુધવારે રાજા રઘુવંશીના નિવાસસ્થાને પહોંચી હતી. પોલીસની તપાસ જોતા આ કેસમાં હજી પણ વધારે વિગતો પ્રકાશમાં આવી શકે છે. સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા અને 20 મેના રોજ હનીમૂન માટે આસામના ગુવાહાટી થઈને મેઘાલય પહોંચ્યા હતા. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરાના નોંગરિયાટ ગામમાં ‘હોમસ્ટે’ છોડ્યાના થોડા કલાકો પછી 23 મેના રોજ બંને ગુમ થઈ ગયા હતા.
આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યા કેસ: ‘ભાઈ બહેન’ના સંબંધ આડમાં ખેલાયો ખૂની ખેલ