ગુજરાતના એક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેય યોજાઈ નથી, જાણો શું છે ખાસિયત?

હાલના સમયમાં ઘણા એવા કિસ્સા જોવા મળતા હોય છે, કે જ્યાં એક પરિવારમાં રહેતા હોવા છતા સમરસતા જોવા મળતી નથી. ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું પ્રતાપગઢ એકતાનું પ્રતિક બની ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી તૈયારી ચાલી રહી છે. રાજ્યની 8240 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ઘણી જગ્યા પર સમરસ ઉમેદવાર મળી જવાથી ચૂંટણી યોજાશે નહીં.
વાત કરીએ અમરેલી જિલ્લાની તો, અહીં 114 સામાન્ય અને 193 પેટા મળીને કુલ 307 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાંથી અત્યારે સુધીમાં 29 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ ચૂકી છે. હજુ પણ વધુ પંચાયતો સમરસ બને તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 163 વોર્ડમાં એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયા હોવાની જાણકારી પણ સૂત્રો દ્વારા મળી રહી છે. આ વચ્ચે અમરેલીના લાઠી તાલુકાનું પ્રતાપગઢ ગામ ચર્ચામાં છે.
અમરેલી જિલ્લાનું પ્રતાપગઢ ગામ અનોખી મિસાલ બની રહ્યું છે. આ ગામમાં આઝાદીના દાયકાઓથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી, કારણ કે ગ્રામજનો સમરસતાથી સરપંચ અને સભ્યોની વરણી કરે છે. ગામના પૂર્વ મહિલા સરપંચનો દાવો છે કે, “આઝાદીથી અમારા ગામમાં ચૂંટણી થઈ નથી, હંમેશા બિનહરીફ વરણી થાય છે.” આ વખતે પણ ગામ સમરસ જાહેર થયું, જેના કારણે સરકાર તરફથી પ્રોત્સાહન રકમ મળશે, જેનો ઉપયોગ વિકાસ કાર્યોમાં થશે.
ગામની વિશેષતાઓ
પ્રતાપગઢની વસ્તી લગભગ 1200 છે, પરંતુ મોટાભાગના લોકો સુરત જેવા શહેરોમાં રહે છે. ગામમાં હાલ 200-300 લોકો સ્થાયી રહે છે. અહીંના ઘણા ઉદ્યોગપતિઓ સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેમણે ગામના વિકાસમાં યોગદાન આપ્યું છે. ગામમાં આધુનિક સુવિધાઓ જેવી કે સ્વચ્છ રસ્તાઓ, ઘરે-ઘરે પાણી, કમ્પ્યુટર લેબવાળી શાળા અને ઓક્સિજન પાર્ક ઉપલબ્ધ છે.
સમરસતાનો સંદેશ
પ્રતાપગઢની આ પરંપરા સમરસતા અને એકતાનું પ્રતીક છે. ગામની સ્વચ્છતા, સુવ્યવસ્થા અને વિકાસની ગાથા અન્ય ગામો માટે પ્રેરણાદાયી છે. સમરસ ગામોને સરકારની નાણાકીય મદદથી વિકાસની નવી ઊંચાઈઓ મળે છે, જે પ્રતાપગઢે સાબિત કર્યું છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતઃ 22મી જૂને મતદાન અને 25મી જૂનના પરિણામ