એક હીરોની પત્ની હોવું એટલે…ગોવિંદાની પત્ની સુનીતાએ લગ્નજીવનના અનુભવ અંગે કરી ચોંકાવનારી વાત

મુંબઈ: ગોવિંદાનું નામ કાને પડે એટલે કૂલી નં. 1, હીરો નં.1, આન્ટી નં. 1, અનાડી નં. 1, જોડી નં. 1 જેવી કોમેડી ફિલ્મો યાદ આવી જાય છે. કારણ કે પોતાની 33 વર્ષની ફિલ્મી કારકિર્દી દરમિયાન ગોવિંદાએ અનેક કોમેડી ફિલ્મો કરી છે. જે બોક્સ ઓફિસ પર હિટ પણ રહી છે. પરંતુ જેણે પોતાના અભિનયથી લોકોને હસાવ્યા છે, એ વ્યક્તિ પોતાના પરિવારજનોને વધારે સમય આપી શક્યો નથી. આ વાતનો અનુભવ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાને થયો છે. તાજેતરમાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં સુનીતાએ પોતાના લગ્નજીવન સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી.
જીવનસાથી પર વિશ્વાસ રાખજો, નહીંતર…
ઈન્ટરવ્યુમાં સુનીતાએ જણાવ્યું કે, “એક હીરોની પત્ની હોવાની અર્થ એ છે કે પથ્થર દિલ રાખવું. તમે જોતા હશો કે ઘણીવાર હીરો પોતાની પત્ની કરતા હીરોઈન સાથે વધારે સમય પસાર કરે છે.” સુનીતાએ સંબંધોનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, “જો તમને તમારા જીવનસાથી પર વિશ્વાસ નહીં હોય તો જીવન બરબાદ થઈ જશે. લાંબાગાળાના લગ્નજીવનમાં અસલામતીને હાવી ન થવા દેવી જોઈએ.”
ગોવિંદાની માતાએ શિખવ્યું પરિવારનું મહત્ત્વ
સુનીતાએ આગળ જણાવ્યું કે, “જ્યારે હું મા બનવાની હતી, ત્યારો ગોવિંદા મારી સાથે ન હતા. તે શુટિંગના કારણે બહાર હતા. હું મારા બાળકો સાથે બહાર જઈ શકતી ન હતી. જેથી મારે મારી સાસુ સાથે રહેવું પડ્યું હતું.” ગોવિંદાને તેમની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે પોતાના જીવનમાં ક્યારેય ખોટું કામ કર્યું નથી. મને પરિવારનું મહત્ત્વ ગોવિંદાની માતા પાસેથી શિખવા મળ્યું છે, એ વાતની પણ સુનીતાએ ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 1987માં ગોવિંદાના લગ્ન સુનીતા સાથે થયા હતા. તેઓને ટીના અને યશવર્ધન એમ બે સંતાનો પણ છે. અભિનયની સાથોસાથ ગોવિંદાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું અને એકવાર સાંસદ પણ બન્યા હતા. હાલ તેઓ શિવસેના સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો…ડિવોર્સ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ આપ્યું ચોંકાવનારું નિવેદન