મનોરંજન

દિગ્ગજ દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન; બોલિવૂડમાં શોકનો માહોલ

મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. બંગાળ મૂળના જાણીતા ફિલ્મ દિગ્દર્શક પાર્થો ઘોષનું 75 વર્ષની વયે નિધન (Partho Ghosh passed away) થયું છે. આંજે સોમવારે સવારે તેમણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા.

બંગાળી અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તાએ પાર્થો ઘોષના અવસાનના સમાચારની પુષ્ટિ કરી છે. પાર્થો ઘોષના અવસાનની પુષ્ટિ કરતા ઋતુપર્ણા કહ્યું- દિલ તૂટી ગયું છે, આપણે એક પ્રતિભાશાળી, દૂરંદેશી દિગ્દર્શક અને એક સુંદર માણસ ગુમાવ્યો છે. પાર્થો દા, તમે સ્ક્રીન પર જે જાદુ સર્જ્યો છે તેના માટે તમને હંમેશા યાદ કરવામાં આવશે.

પાર્થો ઘોષના અવસાન બાદ તેમના પરિવારમાં ફક્ત તેમની પત્ની ગૌરી ઘોષ જ છે. પાર્થો ઘોષના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

90ના દાયકામાં શાનદાર ફિલ્મો બનાવી:

પાર્થો ઘોષને ખાસ કરીને 90ના દાયકાની ઘણી યાદગાર અને સફળ ફિલ્મોના નિર્દેશન માટે યાદ કરવામાં આવે છે, તેમણે નાના પાટેકર, મનીષા કોઈરાલા, મિથુન અને જેકી શ્રોફ જેવા મોટા કલાકરો સાથે કામ કર્યું હતું. તેમણે સમાજના પ્રશ્નો સાથે જોડાયેલી ફિલ્મો બનાવી હતી. તેમની ફિલ્મો હંમેશા દર્શકોના હૃદયને સ્પર્શી જતી હતી.

1991માં રિલીઝ થયેલી ‘100 ડેઝ’ને પાર્થો ઘોષની સૌથી સારી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ જેવા મોટા કલાકરોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ તમિલ ફિલ્મ ‘નૂરવથુ નાલ’ ની હિન્દી રિમેક હતી. જોકે, 1993માં મિથુન ચક્રવર્તી અને આયેશા ઝુલ્કા અભિનીત તેમની ફિલ્મ ‘દલાલ’એ તેમને એક પ્રખ્યાત દિગ્દર્શક તરીકે ઓળખ અપાવી હતી.

પાર્થો ઘોષે 1996 માં ‘અગ્નિ સાક્ષી’ ફિલ્મ બનાવી, જેને દર્શકો તરફથી ખુબજ સાકારાત્મ પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મમાં નાના પાટેકર, જેકી શ્રોફ અને મનીષા કોઈરાલાએ અભિનય કર્યો હતો.

તેમની છેલ્લી હિટ ફિલ્મ ‘ગુલામ એ મુસ્તફા’ હતી જે 1997માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રવિના ટંડન અને નાના પાટેકર મુખ્ય ભૂમિકામાં હતાં, આ ફિલ્મને કારણે નાના પાટેકર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા થયા હતાં.

ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મો બનાવી, પરંતુ હિટ થઇ શકી નહીં. ફિલ્મો ઉપરાંત, તેમણે ઘણા હિન્દી અને બંગાળી ટીવી શોનું પણ દિગ્દર્શન કર્યું.

તેમણે કારકિર્દીમાં 15 થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું. તેમની છેલ્લી ફિલ્મ 2018 માં રિલીઝ થયેલી ‘મૌસમ ઇકરાર કે દો પલ પ્યાર કે’ હતી.

અહેવાલ મુજબ તેમના છેલ્લા દિવસોમાં, તેઓ ‘100 ડેઝ’ અને ‘અગ્નિસાક્ષી’ ની સિક્વલ પરકામ કરી રહ્યા હતા. પરંતુ દુઃખની વાત છે કે તે પહેલાં, તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.

પાર્થો ઘોષ આજે આપણી વચ્ચે ભલે નથી. પરંતુ તેઓ તેમની ફિલ્મોના માધ્યમથી હંમેશા લોકોની યાદોમાં જીવંત રહેશે. મુંબઈ સમાચાર પાર્થો ઘોષને શ્રદ્ધાંજલી પાઠવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button