અયોધ્યામાં જમીનના ભાવ આસમાને: 8 વર્ષ બાદ સર્કલ રેટમાં 200%નો જંગી વધારો

અયોધ્યા: ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યાર બાદ શહેર અને આસપાસના વિસ્તારોની જમીનના ભાવ સતત (Increase in land price in Ayodhya) વધી રહ્યા છે. એવામાં જમીનના ઉપયોગ અને સ્થાનના આધારે અયોધ્યામાં જમીનનો સર્કલ રેટ 200 ટકા સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ અયોધ્યામાં આઠ વર્ષ બાદ સર્કલ રેટ વધારવા આવ્યો છે.
સર્કલ રેટ આ વધારો 7 જૂન અમલમાં આવવાનો હતો, પરંતુ શનિવારે રજાનો દિવસ હોવાથી નવા રેટ આજે 9 જૂનથી લાગુ થશે. અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટે એક અખબાર સાથે વાત કરતા કહ્યું, “ગયા વર્ષે ઓગસ્ટમાં બહાર પાડવામાં આવેલા અમારા પ્રસ્તાવ પર મળેલા વાંધાઓ પર વિચાર કર્યા પછી અમે સર્કલ રેટમાં વધારા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.”
મેજિસ્ટ્રેટે જણાવ્યું, “ઘણા વિસ્તારોમાં લોકોએ માંગ કરી હતી કે પ્રસ્તાવમાં ઉલ્લેખિત રેટમાં વધારો કરવામાં આવે, જો કે આ નિર્ણય બજાર દરો અને અમારા દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે લેવામાં આવ્યો છે.”
જન્મભૂમિની નજીક ભાવમાં મોટો વધારો:
સર્કલ રેટમાં સૌથી મોટો વધારો રામ જન્મભૂમિની નજીકના વિસ્તારોમાં થયો છે, સુપ્રીમ કોર્ટના રામ મંદિર નિર્માણના ચુકાદા પછી જમીનના બજાર ભાવમાં અનેકગણો વધારો થયો છે.
તિહુરા માંઝા જેવા ગામડાઓની જમીન માટે સર્કલ રેટ સૌથી વધુ 200 ટકાનો વધારો થયો છે, જ્યાં ઓગસ્ટ 2017 થી કૃષિ જમીન માટેનો સર્કલ રેટ રૂ. 11લાખથી રૂ. 23 લાખ પ્રતિ હેક્ટર સુધીનો હતો. હવે નવા સર્કલ રેટ રૂ. ૩૩ લાખ થી રૂ.69 લાખ પ્રતિ હેક્ટર થયો છે.
સર્કલ રેટ એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેના અધિકારક્ષેત્ર હેઠળનો જમીનની કિંમતનું મૂલ્યાંકન કરવા માટે નક્કી કરવામાં આવે છે, જેના આધારે વેચાણ અથવા ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવે છે. આ રેટ મુજબ વહીવટીતંત્ર ખેડૂતો સહિત જમીન માલિકો પાસેથી મિલકત હસ્તગત કરે છે.
અયોધ્યા ઉત્તર પ્રદેશના 54 જિલ્લાઓમાંનો એક છે જ્યાં છેલ્લે 2017 માં સર્કલ રેટ સુધારવામાં આવ્યો હતો. રાજ્યના 21 જિલ્લાઓમાં વર્ષ 2023 માં સર્કલ રેટ સુધારવામાં આવ્યો હતો. અયોધ્યાને અડીને આવેલા જિલ્લાઓ જેમ કે બારાબંકી, આંબેડકર નગર, ગોંડા અને બસ્તી અને સુલતાનપુરમાં પણ દર સુધારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો….આટલા કિલો સોનાથી ચમકી રહ્યું છે અયોધ્યાનું રામ મંદિર, કિંમત જાણીને ચોંકી ઉઠશો…