ચિંતન : શુભ દરેક સ્થાનેથી પ્રાપ્ય કરતાં રહેવું

-હેમુ ભીખુ
સૃષ્ટિમાં જેટલી શુભ બાબતો છે તેટલી જ કદાચ અશુભ છે અને તેટલી જ સંખ્યામાં શુભાશુભ – તટસ્થ બાબતો હશે. સૃષ્ટિમાં દરેક પ્રકારના રંગો જોવા મળે, સફેદ પણ, શ્યામ પણ અને રાખોડી પણ. અહીં મીઠાશ અને તીખાશ સાથે મોળો સ્વાદ પણ ચારે તરફ પ્રવર્તમાન હોય છે. અહીં સૌંદર્ય પણ છે અને કદરૂપતા પણ, આ બે વચ્ચે સામાન્ય દેખાવનું પણ મહત્ત્વ છે. અહીં રાત્રિ પણ છે, દિવસ પણ છે અને તે બંનેનો સંયોગ પણ છે. સૃષ્ટિમાં સત્ય પણ જોવા મળશે, અસત્ય પણ દ્રષ્ટિએ ચડશે અને કોઈપણ પ્રકારના મૂલ્ય વગરનું વિધાન પણ અહીં સાંભળવા મળે. અહીં ઈશ્વર પણ છે અસુર પણ છે અને બંનેની સંભાવનાના સમન્વય સમાન માનવી પણ છે. સૃષ્ટિ દરેક પ્રકારની પરિસ્થિતિનો સમન્વય છે. શું ગ્રહણ કરવું તે વ્યક્તિ પર આધાર
રાખે છે.
શુભ એટલે એવી પરિસ્થિતિ કે જે કલ્યાણકારી હોય. શુભ પરિસ્થિતિ સત્યના માર્ગે લઈ જાય, ધર્મના આચરણ માટે પ્રેરણા આપે, નૈતિકતા-યુક્ત વર્તન માટેની પરિસ્થિતિ સર્જે, મનના કુ-વિચારો તથા આવેગને નિયંત્રિત કરી શકાય તેની કાળજી રાખે, વિવેક અને સંયમને સ્થાપિત થવા દે, શ્રદ્ધાને ટકાવી રાખે, સત્કાર્ય માટેની સંભાવના ઊભી કરે અને ઈશ્વર તથા સૃષ્ટિના નિયમોને માન્ય હોય તેવું પરિણામ ઉદ્ભવે તેવી બુદ્ધિ આપે. શુભ પરિસ્થિતિમાં સંપન્ન થતાં કાર્યનું પરિણામ શુભ હોય. શુભનું પરિણામ શુભ જ હોય.
શુભ પરિસ્થિતિ ઈશ્વરના આશીર્વાદ સમાન ગણાય. આ પરિસ્થિતિમાં પાપ કે અધર્મની સંભાવના ન હોય. શુભ પરિસ્થિતિમાં સત્ય પ્રવર્તમાન હોય. શુભ પરિસ્થિતિમાં મનમાં વિષય-રાગ તથા વિકાર ન જન્મે. શુભ પરિસ્થિતિ સાત્વિકતાને જન્મ આપે, આસુરી વૃત્તિ નિયંત્રણમાં રાખે, કામ ક્રોધ લોભ મોહ માટેની પરિસ્થિતિ ન સર્જાવા દે, ત્યાં અભિમાન તેમજ સ્વાર્થવૃત્તિ નાશ પામે. શુભ પરિસ્થિતિ મહાદેવના સાંનિધ્યમાં ઉદ્ભવતી કલ્યાણકારી ઘટના શિવત્વ સમાન હોય છે.
દરેક પરિસ્થિતિમાં શુભ અશુભ અને તટસ્થ એ ત્રણેય બાબતો હયાત રહેતી હોવાથી પસંદગીમાં સાવચેતી રાખવી પડે. પસંદગી હંમેશાં શુભની કરવાની. એ બાબત શુભ છે કે નહીં તેની ચકાસણી કરવી પડે. પ્રત્યેક જટિલ પરિસ્થિતિમાં શુભતાને શોધી શુભતામાં પ્રવેશ કરવાનો હોય, શુભત્વ ધારણ કરવાનું હોય, શુભતા પ્રાપ્ત કરવાની અને અંતે શુભ પરિણામ આવે તે માટે પરિશ્રમ કરવાનો હોય – પુરુષાર્થ કરવાનો હોય. જો મન વિકાર ગ્રસ્ત હોય, વ્યક્તિ અહંકારથી ઘેરાયેલો હોય, વિવેક નષ્ટ થયો હોય, અસંયમિત ઇન્દ્રિય-લક્ષી મનોભાવ જાગ્રત થયો હોય, છ પ્રકારના દુશ્મનો – ષડરીપૂ – વિચારો હાવી થઈ ચૂક્યા હોય – કે આવી કોઈપણ નકારાત્મક પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે શુભ પરિસ્થિતિ પણ ઇચ્છિત પરિણામ ન આપી શકે. મનની ભૂમિકા પરિણામને ઘણી રીતે નિર્ધારિત કરી શકે.
આ પણ વાંચો….ચિંતન: સૌથી જરૂરી છે મનની શાંતિ
વિષાદપ્યમૃતં ગ્રાહ્યમ્ ચાણક્ય નીતિમાં કહેવાય આ વાક્ય ઘણી બધી વાતો એક સાથે કહી જાય છે. એક, વિષાદ અર્થાત્ ઝેર કે ઝેર સમાન પરિસ્થિતિ ચારે તરફ રહેવાની જ. બીજું, તે સ્થિતિ સાથે સંપર્ક સ્થપાશે જ. ત્રીજું, તે પરિસ્થિતિમાં અમૃત હોવાની સંભાવના હશે જ. ચોથું, તે ઝેર યુક્ત પરિસ્થિતિમાંથી પણ જે કોઈ પ્રકારનું, જે પણ માત્રામાં અમૃત હયાત હોય તેને પામી લેવા પ્રયત્ન કરવો. પાંચમું, ઝેરથી ચારે તરફ ઘેરાયેલું આવું અમૃત પણ વ્યક્તિ માટે શુભ બની શકે. આપણા સનાતની સાહિત્યમાં એક નાનકડા વાક્યથી પણ કેટલો મહાન સંદેશો પહોંચી શકે છે તે આ શ્ર્લોક પરથી જાણી શકાય. આ તો દુનિયાના વ્યવહાર માટેનો શ્ર્લોક છે, છતાં પણ તેમાં જે આધ્યાત્મિક ઊંડાણ દેખાય છે તે રોમાંચિત કરી દે છે.
જીવનના એક તબક્કે શુભ અને અશુભ, બંને ભાવથી મુક્ત થવું પડે. જ્યાં સુધી આ પ્રકારના દ્વન્દ્વમાં અસ્તિત્વ સંલગ્ન હોય ત્યાં સુધી અંતિમ મુકામ સુધી પહોંચવું મુશ્કેલ બની રહે. પ્રવૃત્તિ કે નિવૃત્તિ બંનેમાંથી એક પણ સાથે જોડાવાનું નથી. કર્મ અને અકર્મ બંનેને સમાન નજરે જોવાનાં છે. સત્ય અને અસત્ય બંને વચ્ચેનો ભેદ મિટાવી સમગ્ર વિશ્વને સત્ય-સ્વરૂપ જાણવું જરૂરી છે. આજ અને કાલ જેવો સમયનો ભેદ મિટાવીને સમયની મર્યાદાથી પર થવું જરૂરી છે. અહીં અને ત્યાં જેવો સ્થળનો ભેદ પણ નાશ થવો જોઈએ. જે જે બાબત આ કે તે એ પ્રકારની ધારણા ઊભી કરે તેનાથી મુક્તિ મળવી જોઈએ. પછી તો શુભ-અશુભ જેવો નિર્ણય પણ ન રહે.
છતાં પણ જીવન છે ત્યાં સુધી શુભનો સાથ જાળવી રાખવો જોઈએ, શુભને મહત્ત્વ આપવું જોઈએ, શુભ સ્થાપવાનો પ્રયત્ન કરવો જોઈએ, સર્વત્ર શુભતા માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ, વાણી વર્તન અને વિચાર શુભ આધારિત હોવા જોઈએ, વડીલો પાસેથી શુભતા માટેના આશીર્વાદ માગવા જોઈએ અને અનુજોને શુભતાના આશીર્વાદ આપવા જોઈએ અને જીવનને શુભના પર્યાય તરીકે ગણવું જોઈએ. અહીં અશુભને સ્થાન ન મળવું જોઈએ.
આ પણ વાંચો….ચિંતન: કુસંગનો સદાય ત્યાગ કરવો
શુભ થાઓ આ સકળ વિશ્વનું – સનાતની સંસ્કૃતિની આ પરંપરા છે. અહીં સમગ્ર વિશ્વનું કલ્યાણ થાવ તેવી ભાવના રખાય છે. સમગ્ર વિશ્વને એક કુટુંબ ગણી તેના કલ્યાણ માટે પ્રાર્થના કરાય છે. બધાને સન્મતિ મળે તેવી આશા રખાય છે. અહીં દરેક સ્થાનેથી શુભ વિચાર પ્રાપ્ત થાવ તેવી ઈશ્વરને વિનંતી કરાય છે. સમગ્ર વિશ્વમાં શુભતા પ્રસરે તેવી વ્યવસ્થા ઈશ્વરે સ્થાપેલી જ છે તેવો વિશ્વાસ રખાય છે. સનાતનની સંસ્કૃતિ એટલે જ સર્વની શુભતાનો પર્યાય.