આપણું ગુજરાત

Black Sunday: ગુજરાતમાં 24 કલાકમાં આપઘાતના અનેક બનાવ નોંધાયા, પ્રશાસન ચિંતામાં

માનસિક આરોગ્ય અને સામાજિક મુદ્દાઓ પર ગંભીર ચિંતનની જરૂર

અમદાવાદ: ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, અને સમયાંતરે વિવિધ કારણોસર લોકો પોતાનો જીવ ટૂંકાવી રહ્યા છે. તાજેતરના દિવસોમાં સુરત, મહેસાણા, બનાસકાંઠા અને પોરબંદરમાં સામે આવેલા બનાવોએ રાજ્યમાં ગુનાઓ, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દબાણના મુદ્દાઓ પર ગંભીર ચિંતન કરવાની જરૂરિયાત ઊભી કરી છે.

સુરતમાં મોડેલ અંજલિ વરમોરાનો આપઘાત
સુરતમાં 23 વર્ષીય મોડેલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના પાછળ માનસિક તણાવ હોવાનું અનુમાન છે. અઠવા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતના એક દિવસ પહેલા અંજલિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી, જેમાં આપઘાત પાછળના કારણનો સંકેત આપે તેવું લખાણ હતું. આ મામલે અઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કડીમાં વ્યાજખોરોના ત્રાસથી સામૂહિક આપઘાત
મહેસાણાના કડીમાંથી એક કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી હતી, જેમાં 38 વર્ષીય ધર્મેશ પંચાલ, તેમના 26 વર્ષીય પત્ની ઉર્મિલાબેન પંચાલ અને 10 વર્ષીય પુત્ર પ્રકાશ પંચાલે નર્મદા કેનાલમાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કર્યો હતો. આ પરિવાર શંખેશ્વરનો રહેવાસી હતો. મૃતકોની કારમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી , જેમાં પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે, નોટમાં વ્યાજખોરોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.

પાલનપુરમાં પોલીસકર્મીએ કર્યો આપઘાત
બનાસકાંઠામાં ગુજરાત પોલીસને શર્મસાર કરે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. પાલનપુરમાં એક પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસના કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ ઘટના પોલીસ દળમાં માનસિક સ્વાસ્થ્ય અને કાર્યસ્થળના વાતાવરણ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.

પતિના બીજા લગ્નનો વીડિયો જોઈ યુવતીનો આપઘાત
પોરબંદરના રાણાવાવ ગામે રહેતી એક યુવતીના લગ્ન રાજકોટ થયા હતા. તે રિસામણે પિયર આવી હતી ત્યારે તેના પતિએ બીજા નિકાહ કર્યાનો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો. આ વીડિયો જોઈને યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ મામલે યુવતીના પરિવારે સાસુ અને જમાઈ વિરુદ્ધ પુત્રીને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો -‏‏‎ શોકિંગ, ગુજરાતમાં વધુ એક આપઘાતઃ સુરતમાં 23 વર્ષની યુવતીએ ભર્યું અંતિમ પગલું

રાજુલામાં પતિ-પત્નીના આપઘાતનું રહસ્ય અકબંધ
ગઇકાલે અમરેલી જિલ્લાના રાજુલામાં એક પતિ-પત્નીએ ગઈકાલે ઝેરી દવા ગટગટાવી હતી, અને આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આ ઘટના પાછળ કોણ અને કયું કારણ જવાબદાર છે તે શોધવા પ્રયાસ કરી રહી છે.

આપઘાતની વધી રહેલી ઘટનાઓ સમાજની સામે મોટો પડકાર છે. આ ઘટનાઓ આપણાં સમાજના સામાજિક અને આર્થિક પાસાંઓ પર પ્રકાશ પાડે છે. સરકાર અને સમાજે આવા બનાવો અટકાવવા માટે માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી અને પારિવારિક તેમજ સામાજિક સંબંધોમાં સુમેળ જાળવવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button