
બેંગલુરુ: કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે રવિવારે માંગ કરી હતી કે સરકાર 4 જૂનના રોજ થયેલી ભાગદોડની ઘટના પર ચર્ચા કરવા માટે રાજ્ય વિધાનસભાનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવે. આ ભાગદોડની ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું હતું કે લોકો જવાબો માંગી રહ્યા છે.
મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડી કે શિવકુમારના રાજીનામાની ફરીથી માંગણી કરતા ભાજપના નેતાએ એવી પણ જાહેરાત કરી હતી કે તેમના પક્ષના તમામ ધારાસભ્યો મૃતકોના જરૂરિયાત મંદ પરિવારજનોને એક મહિનાનો પગાર આપશે. સાથે તેમણે સરકારને વિનંતી કરી હતી કે જો તે નાદાર ન હોય તો વળતર વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવે
આ પણ વાંચો - બેંગલુરુ ભાગદોડમાં મોટો ખુલાસો, RCB વિજય સમારંભ પહેલા પોલીસે ચેતવણી આપી હતી: મીડિયા રિપોર્ટ
નોંધનીય છે કે ભાગદોડની ઘટના ચાર જૂનના રોજ અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમની સામે થઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો આરસીબી ટીમના આઈપીએલ ચેમ્પિયન બનાવવાની ઉજવણીમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં અગિયાર લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા.
અશોકે કહ્યું હતુ કે “રાજ્યના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ભૂલ કોની હતી? તો વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, ચર્ચા થાય કે ભૂલ કોની હતી, કાયદાના ઉલ્લંઘન પર ચર્ચા થવી જોઈએ, પછી ભલે તે પોલીસની મંજૂરીથી કાર્યક્રમ યોજવામાં આવ્યો કે પછી ડીએપીઆરથી યોજવામાં આવ્યો હોય, આ બધા પર ચર્ચા થવી જોઈએ.