આમચી મુંબઈ

ઘોલવડમાં શિવસેનાના નેતાની અપહરણ બાદ કરી હત્યા: ફરાર ભાઇની સિલ્વાસાથી ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પાલઘર જિલ્લાના ઘોલવડમાં જમીનના વિવાદમાં શિવસેનાના નેતાની અપહરણ બાદ હત્યા કરીને મૃતદેહ ઉમરગામમાં ફેંકી ફરાર થયેલા મોટા ભાઇની પાંચ મહિના બાદ સિલ્વાસાથી ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અવિનાશ રમણ ધોડી (60) તરીકે થઇ હતી. આ કેસમાં અગાઉ પોલીસે પાંચ આરોપીને પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો: અપહરણ અને પોક્સો કેસની આરોપી શિક્ષિકાને કોર્ટે આપ્યાં શરતી જામીન, જાણો શું છે એ શરતો

ઘોલવડમાં તલાસરી ખાતે વેવજી કાટીલ પાડામાં રહેતા અશોક રમણ ધોડી (52) અને અવિનાશ વચ્ચે જમીનને લઇ વિવાદ હતો. અશોકે અવિનાશની ઘરપટ્ટી રદ કરવા માટે વેવજી ગ્રામપંચાયતમાં અરજી કરી હતી. આને કારણે અવિનાશ રોષે ભરાયો હતો. તેણે સાથીદારો સાથે મળીને અશોકને 19 જાન્યુઆરી, 2025ના રોજ વેવજી ઘાટમાં ડુંગરના વળાંક પર આંતર્યો હતો. અશોક એ સમયે કારમાં દહાણુથી પોતાના ઘરે જઇ રહ્યો હતો.

અશોકને દમદાટી કરીને કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં અશોકની હત્યા કરીને તેના મૃતદેહને ઉમરગામમાં સરીગામ વાડિયાપાડા ખાતે પાણીથી ભરેલા ખાડામાં ફેંકી દીધો હતો. પોલીસ પાણીથી ભરેલા ખાડામાંથી કાર શોધવામાં સફળ રહી હતી અને બાદમાં અશોકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

આ પણ વાંચો: દેવું ન ચૂકવનારા પિતાના સગીર પુત્રનું અપહરણ કરી 12 લાખની માગણી: બે પકડાયા

આ પ્રકરણે ઘોલવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો અને ગુનામાં સંડોવાયેલા પાંચ જણની ધરપકડ કરાઇ હતી, જ્યારે મુખ્ય આરોપી અવિનાશ તથા તેના ત્રણ સાથીદાર ફરાર હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફરાર આરોપીઓની શોધ માટે પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે ઘોલવડ, ઉમરગામ, વાપી, દમણ, સિલ્વાસા, ઇન્દોર, રાજસ્થાન વિગેરે જઇને આરોપીની શોધ આદરી હતી. આખરે પોલીસે મળેલી માહિતીને આધારે 8 જૂને મળસકે સિલ્વાસાના મોરખલ ખાતેથી આરોપી અવિનાશને પકડી પાડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button