સ્પોર્ટસ

જે કામ બીસીસીઆઈએ નથી કર્યું એ ઑસ્ટ્રેલિયા કરશે, વિરાટ-રોહિતને આપશે ફેરવેલ

સિડનીઃ રોહિત શર્માએ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ટી-20 ઇન્ટરનૅશનલને અલવિદા કરી ત્યાર બાદ વિરાટ કોહલીએ પણ ટી-20 આંતરરાષ્ટ્રીય રમવાનું છોડી દીધું હતું અને હવે બન્નેએ ટેસ્ટ-ક્રિકેટને પણ સાથે અલવિદા કરી છે. રોહિતે સાતમી મેએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી એના પાંચ દિવસ બાદ વિરાટે પણ ટેસ્ટ રમવાનું છોડી દીધું હતું, પરંતુ બન્ને દિગ્ગજોને ફેરવેલનું સન્માન નથી મળ્યું. જોકે એક અહેવાલ મુજબ ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ બન્નેનું સન્માન કરવા માગે છે.
બીસીસીઆઇ (BCCI)એ રોહિત-વિરાટ માટેની ફેરવેલને લગતી કોઈ જાહેરાત નથી કરી, પણ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે (AUSTRALIAN CRICKET BOARD) બન્નેને ફેરવેલ (FAREWELL) આપવાની યોજના બનાવી છે.

રોહિત-વિરાટ હજી વન-ડે ક્રિકેટ રમતા રહેશે. આ વર્ષના અંતમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે અને ત્યારે ઑસ્ટ્રેલિયામાં રોહિત-વિરાટનું શાનદાર ટેસ્ટ-કરીઅર બદલ બહુમાન કરવામાં આવશે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સીઇઓ ટૉડ ગ્રીનબર્ગનું એવું કહેવું છે કે રોહિત અને વિરાટની આ છેલ્લી ઑસ્ટ્રેલિયન-ટૂર હોઈ શકે અને એટલે જ તેઓ વર્ષના છેવટના ભાગમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવશે ત્યારે તેમનું ક્રિકેટ બોર્ડ બન્ને માટે ફેરવેલ સેરેમની રાખવા માગે છે. ગ્રીનબર્ગના મતે રોહિત-વિરાટનો આ આખરી ઑસ્ટ્રેલિયન-પ્રવાસ ન પણ હોય એમ છતાં તેઓ બન્નેના એ પ્રવાસને યાદગાર બનાવવા માગે છે.

આપણ વાંચો:  શ્રેયસ ઐયરે મને ગાળ આપી, જો તેણે થપ્પડ મારી હોત તો…: પંજાબના આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

36 વર્ષીય વિરાટ કોહલીએ 123 ટેસ્ટમાં 30 સેન્ચુરી તથા 31 હાફ સેન્ચુરીની મદદથી 9,230 રન કર્યા હતા. તેણે 2019માં ટેસ્ટની કૅપ્ટન્સી છોડી હતી.

રોહિત 38 વર્ષનો છે. તેણે મોડી શરૂ થયેલી ટેસ્ટ કરીઅરમાં 67 મૅચના કુલ 116 દાવમાં 12 સદી અને 18 અડધી સદીની મદદથી 4,301 રન કર્યા હતા. કરીઅરના અંત સુધી તે ભારતનો ટેસ્ટ-કૅપ્ટન હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button