નવી મુંબઈમાં ઘરવિહોણા યુવકની માથે પથ્થર ઝીંકી હત્યા: ટોળાએ આરોપીને ઢોરમાર માર્યો

થાણે: નવી મુંબઈમાં ઘરવિહોણા યુવકની મળસકે માથામાં પથ્થર ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ટોળાએ આરોપીને પકડી પાડ્યા બાદ ઢોરમાર મારતાં તે ઘાયલ થયો હતો. તેને પોલીસે બચાવી લીધો હતો અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે મળસકે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ પ્રકાશ નાગોરાવ લોખંડે તરીકે થઇ હતી. પ્રકાશ લોખંડે શનિવારે રાતે શાહબાઝ બેલાપુર બ્રિજ નીચે સૂતો હતો.
આ પણ વાંચો: જાલનામાં માથે પથ્થર ઝીંકી મહિલાની હત્યા: સગીર પકડાયો
પ્રાથમિક માહિતી અનુસાર પ્રકાશ લોખંડે અને આરોપી અભિષેકસિંહ ઉર્ફે અભિષેક પાલ વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. આથી તેણે રવિવારે મળસકે 3.45 વાગ્યે ફૂટપાથ પર સૂતેલા લોખંડેના માથામાં મોટો પથ્થર ઝીંકી દીધો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
દરમિયાન આ વિસ્તારના લોકોએ આરોપીને પકડી પાડ્યો હતો અને તેની મારપીટ કરી હતી. બનાવની જાણ થતાં બેલાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આરોપીને છોડાવી લીધો હતો. તેને બાદમાં મુંબઈની જે. જે. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)