‘ભાજપ IT સેલને ચૂંટણીની તારીખો અગાઉથી ખબર હોય છે’ રાહુલ બાદ તેજસ્વી યાદવના EC પર આરોપ

પટના: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ભારતના કેટલાક અગ્રણી અખબારોમાં એક લેખ લખીને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા (Rahul Gandhi allegations on EC) હતાં, જો કે ચૂંટણી પંચે તમામ આરોપો નકારી કાઢ્યા છે. ભાજપ અને સાથી પક્ષો રાહુલ ગાંધીની ટીકા કરી રહ્યા છે, તો વિપક્ષી દળોના કેટલાક નેતાઓ રાહુલ ગાંધીને સમર્થન આપી રહ્યા છે. એવામાં બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ(Tejashwi Yadav)એ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
આજે રવિવારે તેજસ્વી યાદવે કહ્યું, “2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી, બધી બંધારણીય સંસ્થાઓને હાઇજેક કરવામાં આવી છે. ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરે એ પહેલા ભાજપ આઇટી સેલને જાણ થઇ જાય છે.”
તેજસ્વી યાદવે કહ્યું કે દેશના લોકો માને છે કે બધી સંસ્થાઓ ભાજપના યુનિટ્સ તરીકે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. બંધારણીય સંસ્થાઓએ પ્રામાણિકપણે કામ કરવું જોઈએ અને જો તેઓ કોઈનાથી પ્રભાવિત થઇને કામ કરશે તો ન્યાયી ગણાશે નહીં.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો થયો હતો!
રાહુલ ગાંધીએ એક લેખમાં મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં મોટા પાયે ગોટાળા થયા હોવાના આરોપ લગાવ્યા હતાં, ત્યારે તેજસ્વી યાદવે 2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીનો અંગે પંચ પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું, “અમે 2020 ની ચૂંટણીમાં સરકાર બનાવી હતી. ચૂંટણી પંચે ત્રણ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, સાંજે મત ગણતરી કેમ બંધ કરવામાં આવી અને રાત્રે કેમ શરૂ કરવામાં આવી?”
તેજસ્વીએ આરોપ લગાવ્યો કે વિજેતા જાહેર કરાયેલા RJD ઉમેદવારોને પાછળથી હારેલા જાહેર કરવામાં આવ્યા.
આ વર્ષે બિહારમાં ચૂંટણી:
બિહારમાં અગામી 5 થી 6 મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેડીયુ-ભાજપની નીતીશ કુમાર સરકાર સામે તેજસ્વી યાદવ મહાગઠબંધનનો મુખ્ય ચહેરો હશે.