ઉત્સવ

સુખનો પાસવર્ડ -ઃ જાત પર વિશ્વાસ છે તો આખી દુનિયાની સલાહ સામે મક્કમ રહો !

આશુ પટેલ

થોડા સમય અગાઉ એક ઉત્સાહી અને તેજસ્વી યુવાન વાચકનો કોલ આવ્યો હતો. તે યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. એ પહેલી વાર પરીક્ષામાં નિષ્ફળ સાબિત થયો એટલે કેટલાક મિત્રો- પરિચિતોએ સલાહ આપી કે ‘આ પરીક્ષા પાસ કરવાનું તારું ગજું નથી. તું કંઈ આઈએએસ કે આઇપીએસ બની શકવાનો નથી!’

આવી સલાહને કારણે એને પોતાની ક્ષમતા પર શંકા જાગી. એ થોડો હતાશ થઈ ગયો હતો. મેં એને કહ્યું:

‘મોટા ભાગના લોકોનું કામ જ હોય છે સલાહ આપતા રહેવાનું, પણ આપણી આજુબાજુના લોકોનું કેટલું માનવું અને કેટલું ન માનવું એ આપણે નક્કી કરવું જોઈએ. મોટા ભાગના માણસો લોકો કહે, સમાજ કહે એ પ્રમાણે જીવવાની ભૂલ કરતા હોય છે, પણ તમે જ્યારે મનથી સ્પષ્ટ હો ત્યારે એવા લોકોની પરવા કરવી નહીં.’

કોઈ પણ અડિયલ વ્યક્તિ તમારી ક્ષમતા પર શંકા કરે કે સલાહ આપે કે ‘તારે આમ જ કરવું જોઈએ’ અથવા તો ‘તું માને છે એ ખોટું છે’ ત્યારે એક વાત યાદ રાખજો કે તમારું અલગ વ્યક્તિત્વ છે અને કોઈ તમારા વિચારોનો માલિક ન બનવો જોઈએ.

ધારો કે તમે રમણભાઈ કે મહેશ કે અનુપમ છો, પણ તમને કોઈ કહે કે તમે મોટરસાઈકલ છો (કે પેન્સિલ છો કે ગલૂડિયું છો કે છછુંદર છો,બાવળનું ઝાડ છો) તો તમે માની લેશો? નહીં. તમે જે છો એ જ છો. એ જ રીતે ધારો કે તમારું નામ કાવ્યા હોય અને કોઈ તમને કહે કે ‘કેમ છો, ચંચળગૌરી?’ તો તમે તરત જ ગુસ્સે થઈને કહેશો કે ‘મારું નામ તો કાવ્યા છે!’

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : યાદ રાખો, એક દિવસ આપણે પણ અહીંથી જવાનું છે…

જ્યારે આજુબાજુના લોકો વણમાગી સલાહ આપવા આવે કે હતાશ કરનારા શબ્દો કહે ત્યારે મહાન વૈજ્ઞાનિક અને ચિંતક ગેલીલી ગેલિલિયોના જીવનની વાત યાદ કરી લેવી.

પ્રાચીન સમયમાં માનવજાત એવું માનતી હતી કે સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરે છે. એ માન્યતા ગેલિલિયોના ગળે ઊતરતી નહોતી એટલે એમણે શોધી કાઢ્યું કે સૂર્ય પૃથ્વીની પરિક્રમા નથી કરતો, પણ પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે.

ગેલિલિયોએ જ્યારે શોધ કરી કે સૂર્ય પૃથ્વી ફરતે નહીં, પૃથ્વી સૂર્યની આસપાસ ફરી રહી છે ત્યારે હાહાકાર મચી ગયો. ધર્મગુરુઓ ઉશ્કેરાઈ ગયા અને એમણે સમ્રાટને કહ્યું કે આ પાપી માણસે ધર્મનું અપમાન કર્યું છે. આપણો ધર્મગ્રંથ એવું કહે છે કે સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરે છે, પણ આ માણસ આપણા ધર્મગ્રંથનું અપમાન કરી રહ્યો છે તે આપણા ધર્મની વિરુદ્ધ વાત કરે છે એટલે તેને સખત સજા ફટકારો.

એ વખતના ધર્મગુરુઓ પણ અત્યારના મોટા ભાગના ધર્મગુરુઓ જેવા જ ખટપટી, બેવકૂફ, છીછરા અને દુષ્ટ પ્રકૃતિના હતા. એમણે સમ્રાટને કહ્યું કે ‘ગેલિલિયોને ધર્મના અપમાન માટે દેહાંતદંડની સજા ફટકારો. ઈશ્વરને અને ધર્મને પડકારનારા પાપીને જીવતો જ ન રાખવો જોઈએ.’

એ સમયમાં ઘણા વિદ્વાનો એવા હતા કે જેમને ગેલિલિયોની શોધ પર વિશ્વાસ નહોતો, પણ ગેલિલિયો જેવો વિદ્વાન માણસ કમોતે મરી જાય એવી સ્થિતિથી એમને દુ:ખ થઈ રહ્યું હતું. એ બધાએ સમ્રાટને સમજાવ્યો કે ગેલિલિયોને દેહાંતદંડની સજા ફટકારવાને બદલે તેને માફી માગવાની ફરજ પાડો અને એના મોઢે એવું બોલાવો કે વાસ્તવિકતા એ જ છે કે સૂર્ય પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે છે. બીજી બાજુ એમણે ગેલિલિયોને પણ સમજાવવાની કોશિશ કરી કે ‘તમે માફી માગીને કહી દો ને કે ધર્મગ્રંથ જે કહે છે એ જ સત્ય છે.’

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ: પોતાની માન્યતા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ…

ગેલિલિયોને સભામાં હાજર કરાયા અને સમ્રાટે એને કહ્યું કે ‘માફી માગી લે અને ધર્મગ્રંથ કહે છે એ જ સત્ય છે એવું સ્વીકારી લે તો તને છોડી દઈશ.’

ગેલિલિયોએ ભરસભામાં કહ્યું: ‘હું માફી માગું છું અને મારું સંશોધન પાછું ખેંચેલું જાહેર કરું છું. ધર્મગ્રંથમાં કહેવાય છે એ જ વાત સાચી છે. સૂર્ય જ પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે.’

ગેલિલિયોએ માફી માગીને એવું કહી દીધું કે ‘સૂર્ય જ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો છે’ એથી ધર્મગુરુઓ અને તેમના મળતિયાઓ ખુશ થઈ ગયા અને તેઓ ધર્મનો વિજય થયો એની ખુશાલી મનાવવા માંડ્યા.

એ બધા શાંત થયા એટલે ગેલિલિયોએ કહ્યું: ‘મેં માફી માગી એથી તમે ખુશ થઈ રહ્યા છો, પણ વાસ્તવિકતા તો એ જ છે કે પૃથ્વી જ સૂર્યની પરિક્રમા કરી રહી છે. હું તમારી બધાની માફી માગી લઉં છું એથી પૃથ્વી કંઈ સૂર્યની પરિક્રમા કરવાનું બંધ નહીં કરી દે!’

મહાન ચિંતક જિઓર્દાનોના જીવનમાં પણ આવો સમય આવ્યો હતો. એમણે ધર્મગુરુઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો ત્યારે ધર્મગુરુઓએ સમ્રાટને એમની વિરુદ્ધ ઉશ્કેર્યો અને એમને દેહાંતદંડની સજા જાહેર કરાવી. એ પછી જિઓર્દાનોના કેટલાક હિતેચ્છુઓએ એમને બચાવવાની કોશિશ કરી. એમણે કહ્યું કે સમ્રાટ અને ધર્મગુરુઓની માફી માગી લો તો અમે તમારી સજા માફ કરવા સમ્રાટને વિનવીએ, જિઓર્દાનોએ કહ્યું: ‘મેં જે કહ્યું છે એ સાચું જ છે અને મોતના ડરથી હું મારા શબ્દો પાછા નહીં. ખેચું. હું કદાચ એવું કરું તો પણ વાસ્તવિકતા બદલાઈ નથી જવાની!’

કોઈના પણ કહેવાથી વાસ્તવિકતા બદલાઈ નથી જતી હોતી. ઘણા બેવકૂફો જિનિયસ વ્યક્તિઓની મજાક ઉડાવતા હોય છે અને તેને પાગલ ગણાવતા હોય છે, પણ એનાથી પેલા માણસને કોઈ ફરક પડતો નથી હોતો.

પોતાની જાત પર વિશ્વાસ હોય અને પોતાની ક્ષમતા છે એવી ખાતરી હોય તો આખી દુનિયા સલાહ આપવા આવે તો પણ પોતાની યોગ્ય પ્રવૃત્તિ કે માન્યતા ન છોડીને એને વળગી રહેવું જોઈએ.

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : સફળતા ને સુખ એ ક્ંઈ એકમેકના પર્યાય નથી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button