ઉત્સવ

સર્જકના સથવારે: વાટમાં હું વૃક્ષને મળતો રહ્યો ના મળ્યો છાયાંને મળવાનો સમય

-રમેશ પુરોહિત

મહાભારતમાં વિદુર ધૃતરાષ્ટ્રને એક શાશ્વત નિયમની વાત કરે છે કે સમયને કોઈ સ્વજન નથી અને કોઈ તિરસ્કૃત કે દ્વેષ કરવા જેવું પણ નથી. ‘ન કાલસ્ય પ્રિય: કશ્નિન્ ન દ્વેષ્ય: કુરુસત્તમ.’ મહાભારતકારે કાળ વિશેના આ સનાતન સત્યને આપણી સમક્ષ મૂક્યું છે, કારણ કે કાળ કાળનું કામ કરે છે, પરંતુ માણસનો સમય ફર્યા કરે છે. સમય બળવાન હોય છે અને માણસ અસહાય હોય છે. કાળનું અતિક્રમણ કરવું મુશ્કેલ છે. સમય જગ્યા કરે છે અને આપણે ક્ષણોમાંથી સર્યા કરીએ છીએ. એકાદ વહેતી પળ પણ પરપોટાની માફક હોય છે. સમય કોઈનાથી બંધાતો નથી અને તેથી જ ‘ઉશનસ’ આ પ્રશ્ન પૂછીને આપણને વિચારતા કરી મૂકે છે:

તમે કહો છો પણ ક્યાં છે તે સમય મુઠ્ઠીમાં આવે છે?

વહેતી એકાદ પળ છે, ને તેય વળી પરપોટો છે.

પ્રથમ પંક્તિમાં સવાલ પૂછીને બીજી પંક્તિમાં કવિએ પળને પરપોટા સાથે સરખાવીને કહ્યું છે કે પરપોટો પકડી શકાતો નથી અને પકડીએ તો તૂટી જાય છે. આવી જ રીતે ક્ષણને પણ પકડી શકાતી નથી. આથી સમયને મુઠ્ઠીમાં બાંધવાની વાત થઈ જ કેવી રીતે શકે. જળમાં ઉપસતા પરપોટાની સાથે કોઈના વહેવાના છળની સરકતી પળમાં જોઈએ કે પળે પળે પાંદડામાં જોઈને વૃક્ષની પાછળ ઢળતા દિવસને જોઈએ ત્યારે છલનાના આભાસની અનુભૂતિ થતી હોવાનો અંદાજ હનીફ સાહિલના આ શેરોમાં જોવા મળે છે:

સાવ સરકતી પળમાં જોયું.
તારું વહેવું છળમાં જોયું,
વૃક્ષે વૃક્ષે દિવસો ઢળતા
પર્ણે પર્ણે પળમાં જોયું.
કબીરજીએ કાળને બાજપક્ષીની ઉપમા આપીને જીવનદર્શનના સત્યને સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકતાં કહ્યું છે કે:

પાવ પલકી શુદ્ધ નહીં કરે કાલકો સાજ
કાલ અચાનક મારિ હૈ, જ્યોં તીતરકો બાજ
એક પળના ચોથા ભાગની પણ આપણને શુદ્ધિ નથી એટલે કે આ પળ પછી શું થનાર છે તેનો ખ્યાલ નથી અને એમ છતાં લાંબા સમય માટેની અગાઉથી તૈયારી કરીએ છીએ. આપણને જાણ નથી કે કાળ-મૃત્યુ તીતર પર બાજ પક્ષી ઝપટ મારે તેમ જીવ પર તરાપ મારી જશે. સમયનું આયોજન કરાય નહીં તેમ છતાં કર્યા વગર ચાલે નહીં. સમયને આવવાની રાહ જોયા વગર, આવેલા સમયને સજાવવો જરૂરી છે. મુકબિલ કુરેશીનો શેર છે:
સમયની વાટ જોઈને કદી બેઠો નથી રહેતો,

સમય જેવો મળ્યો એવા સમયથી કામ લીધું છે
સમયને સંકજામાં રાખીને નહીં પરંતુ તેની ગતિ સાથે તાલ મિલાવીને સફર તય કરવાની વાત છે. પછી ફૂલ પણ હોય અને કંટક પણ હોય, ઝેર પણ હોય અને મારણ પણ હોય. જીવન અને મરણની બંને સ્થિતિમાં ગમતાનો ગુલાલ કરીએ તો જ સમયના બાજપક્ષીથી પીંખાવું નહીં પડે. અમૃત ઘાયલની લોકપ્રિય ગઝલનો આ તત્ત્વદર્શી શેર છે:

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,

એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

સમય પ્રવાહી છે એટલે વીતેલા સમયના ઓરતા હોય છે, ક્યારેક સમય ઓછો મળવાનો, ક્યારેક અછડતો મળવાનો તો ક્યારેક હાથતાળી આપીને છેતરી જવાનો. ‘ઘાયલ’ની સમયની ગઝલનો અભિગમ માણવા જેવો છે.
અમને મળ્યો નહીં જ રજૂઆતનો સમય
નહીં તો મજાનો હોત મુલાકાતનો સમય
પંપાળ્યો પોલા હાથ વડે ચાંપ્યો છાતીએ
છટકી ગયો છતાંય ભલીભાતનો સમય
મેંદીતણું તો માત્ર બહાનું છે દોસ્તો!
મુઠ્ઠે મહીં છે બંધ કરાફાતનો સમય
ઘાયલ કહે છે કે સમય ખુદ સમય થકી વસમો હોય છે, પરંતુ એ બધામાં આઘાતનો સમય વધારે વસમો હોય છે:

આ પણ વાંચો…સર્જકના સથવારે: કલાપીએ 19 વર્ષની વયે શરૂ કરેલી કાવ્યયાત્રા 26મે વરસે સમાપ્ત થઈ ગઈ

વસમો તો હોય છે જ વખત પણ વખત થકી,
વસમો વિશેષ હોય છે. આઘાતનો સમય
આનંદનો અને આઘાતનો સમય રેતીની જેમ સરતો રહે છે. ‘બેફામ’ રેતીની સરખામણી સમય સાથે ખૂબ જ ઉત્તમ રીતે કરે છે:

સમય જેમ એને પણ તમે પકડી નથી શકતા
કહો છો બંધ મુઠ્ઠી તોય સરતી હોય છે રેતી
દિવસ ને રાત છે ‘બેફામ’ સૌ પળના પરિવર્તન
સમયના ફેરફારે માત્ર ફરતી હોય છે રેતી.

સમયની આ ઘટમાળમાં સુખ અને દુ:ખ પૈંડાંના આરાની જેમ ફરતા રહે છે, પરંતુ દુ:ખને પાછું ઠેલવાની ઈચ્છા બધાની હોય છે માટે ‘બેફામ’ બધાની ઈચ્છાઓનો પડઘો આ રીતે પાડે છે:
હે રબ, મને તું એવો હંમેશાંનો હાલ દે
સુખ હો તો આજ દે અને દુ:ખ હો તો કાલ દે.

સમય સાચો જ હોય છે, પરંતુ તે પામનાર સાચો હોય છે કે નહીં એની જાણ થતી નથી. સમયને પકડી શકાતો નથી એટલે કૈલાસ પંડિતે એને ધુમાડા સાથે સરખાવતાં કહ્યું છે કે:

ધુમાડાને મુઠ્ઠીમાં પકડી શકું તો
હું વ્હેતી ક્ષણોને જો સૂંઘી શકું તો
હવે તો ન ઉઘડે સમયનાં એ દ્વારો
દીવાલો સ્મરણની હું ખોદી શકું તો
સ્મરણની દીવાલો ખોદવાનું કામ એકાંતમાં કરવું પડે છે અને એ વખતે પણ આપણો ઉપહાસ સમય કર્યા જ કરે છે. શેખાદમ આબુવાલાનો આ ધારદાર શેર જુઓ:

એકાકી આજની આ અવસ્થાને જોઈને
ગૈ રાતના મિલનના પ્રસંગો હસી પડયા
માણસ પોતાની ચાલ બદલી શકે છે, પરંતુ સમય તો એની સાલ બદલાવી નાખે છે. શેખાદમનો શેર છે:

આજ આવીને કાલ બદલે છે
આ સમય એમ સાલ બદલે છે
સાલ બદલાઈ જાય છે પણ એનાં સ્મરણો યથાવત્ રહે છે, મુકુલ ચોકસી આ જર્જરિત ભૂતકાળની વાત કરતાં કહે છે:

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું
ભગવતીકુમાર શર્માએ સમય ઉપર સુંદર
મુક્તકો કહ્યાં છે. જુઓ આ અર્થલક્ષી અને સરળ મુક્તક:

સાવ સુક્કો આ ઉદાસીનો સમય
ઝાંઝવામાં જઈ ડૂબ્યો ભીનો સમય
ત્યાં હવે તો શ્ર્વાસ લેવાતા નથી
ફોરતો’તો થૈ ને જ્યાં હી નો સમય
બીજું મુક્તક છે:

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું – સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું ક્ધિતુ જરાસંધ છું
આપણે જોયું કે સમયને મુઠ્ઠીમાં બંધ કરી શકાતો નથી પણ ભગવતીકુમાર કહે છે કે સમયને પસાર થઈ જવા દેવો પડે છે, એને બંધ કરી શકાતો નથી:

મેં સમયને ભીંત પર શોધ્યો નહીં
હું સમયના માર્ગમાં થોભ્યો નહીં
થઈ જવા દીધો સદા એને પસાર;
મેં પવનને શ્ર્વાસમાં રોક્યો નહીં
આવું બીજું મુક્તક છે જેમાં છેલ્લા સમયની વાત આવે છે. વૃક્ષ તો જોઈએ છીએ પણ વૃક્ષના છાંયડાને મળવાનો સમય ક્યારેય મળ્યો નહીં. આખરે તો છાયા – ઓછાય થઈને સૂર્યની સાથે ચાલી નીકળવાનું હોય છે:

લ્યો, હવે આવ્યો છે ઢળવાનો સમય
સૂર્ય સંગ ચાલી નીકળવાનો સમય
વાટમાં હું વૃક્ષને મળતો રહ્યો
ના મળ્યો છાંયાને મળવાનો સમય.

આ પણ વાંચો…સર્જકના સથવારે : ફકીર’ની છ દાયકાની ગઝલ સાધના ભરીને અમર રંગ ગઝલના રૂપમાં ફકીર’ જાન મારી ફિદા થઈ ગઈ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button