ટોપ ન્યૂઝનેશનલ

મણિપુરમાં ફરી પરિસ્થિતિ તંગ બની, બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

ઇમ્ફાલ : મણિપુરમાં થોડા સમય રહેલી શાંતિ બાદ ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની રહી છે. જેના પગલે વહીવટીતંત્રે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. જ્યારે બિષ્ણુપુરમાં સંપૂર્ણપણે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વહીવટીતંત્રે રવિવારે ખીણના પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે વીસેટ અને વીપીએન સહિત ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, બિષ્ણુપુર અને કાકચિંગમાં અમલમાં આવશે.

આ ઉપરાંત કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઇતેઇ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ અહેવાલોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. મણિપુરમાં શનિવારે ઇમ્ફાલના કેટલાક ભાગોમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં મેઇતેઇ સંગઠન અરંબાઈ ટેંગોલના પાંચ સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.

ટાયર અને જૂના ફર્નિચરને આગ લગાવી

આ ઘટનાની મળતી માહિતી મુજબ ટેંગોલની મુક્તિની માંગણી કરતા પ્રદર્શનકારીઓએ ક્વાકેઇથેલ અને ઉરીપોકમાં રસ્તાની વચ્ચે ટાયર અને જૂના ફર્નિચરને આગ લગાવી દીધી. કમિશનર-કમ-સચિવ એન અશોક કુમારે જણાવ્યું હતું કે, ખાસ કરીને ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ
તંગ બની રહી છે. તેમજ એવી આશંકા છે કે કેટલાક અસામાજિક તત્વો જાહેર લાગણીઓને ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી શકે છે. જેની રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. જેના પગલે ઇન્ટરનેટ સેવા પર બંધ કરવામાં આવી છે.

વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા

તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ કટોકટીની પરિસ્થિતિમાં દોષિત ઠરેલા કોઈપણ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મણિપુર જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા પછી,એક અધિકારીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો

જોકે, ધરપકડ કરાયેલા નેતાના નામ અથવા તેની સામેના આરોપો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પશ્ચિમ ઇમ્ફાલમાં ક્વાકેઇથેલ પોલીસ ચોકી પર હિંસક ટોળાએ હુમલો કર્યા પછી ફાટી નીકળેલી હિંસામાં બે પત્રકારો અને એક નાગરિક પણ ઘાયલ થયા હતા. જેના પગલે સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે અનેક રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો.

એનઆઈએ દ્વારા મેઇતેઈ નેતાઓની ધરપકડના અહેવાલ

રાજ્યસભાના સાંસદ લીશેમ્બા સનાજાઓબા પણ ઘટનાસ્થળે જોવા મળ્યા હતા. જ્યાં તેઓ પરિસ્થિતિ અંગે વરિષ્ઠ સુરક્ષા કર્મચારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરતા એક કથિત વીડિયોમાં, લીશેમ્બાને એમ કહેતા સાંભળી શકાય છે કે, અમે શાંતિ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. જો તમે આવા કામો કરશો તો શાંતિ કેવી રીતે આવશે મારી પણ ધારાસભ્ય સાથે ધરપકડ કરો. રાષ્ટ્રીય તપાસ એજન્સી ની ટીમ દ્વારા બપોરે લગભગ 2:30 વાગ્યે મેઇતેઈ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ અહેવાલોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો…મણિપુરમાં ફરી રચાશે NDA સરકાર? ભાજપ નેતાએ સરકાર રચવાનો દવાઓ કર્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button