ઉત્સવ

કવર સ્ટોરી: પાકિસ્તાની આતંક વિરુદ્ધ વિસ્મયજનક વિકાસથી જડબાતોડ જવાબ

કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું દેશાર્પણ

-વિજય વ્યાસ

ચિનાબ નદી પરનો વિક્રમ સર્જક બ્રિજ અને રેલવે નેટવર્ક સાથે જોડાઈ રહેલી કાશ્મીરની ખીણ એ કોઈ માત્ર ઈજનીરી કૌશલ્ય નથી. એના દ્વારા આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની સાથે કાશ્મીરની કાયાપલટ વત્તા લોકોનાં માનસ પણ પલટાઈ રહ્યાં છે.

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિનાબ બ્રિજનું ઉદઘાટન કર્યું એ સાથે જ એક ઈતિહાસ રચાઈ ગયો. પાકિસ્તાનની સરહદથી થોડા કિલોમીટર અંદર બનેલો આ પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ એટલે કે કમાનાકાર પુલ છે. નદીના તળિયાથી 359 મીટર (1,178 ફૂટ) ઊંચાઈ ધરાવતો આ બ્રિજ જમ્મુ-બારામુલ્લા લાઇન પર કૌરી અને બક્કલને જોડે છે. કોંકણ રેલ્વે કોર્પોરેશન દ્વારા બનાવાયેલો એફિલ ટાવરથી પણ ઊંચો ચિનાબ બ્રિજ આધુનિક ટેકનોલોજીના કલાત્મક નમૂના જેવો છે.

વડા પ્રધાને ચિનાબ નદી પરના આ બ્રિજનું ઉદ્ધાટન કરીને તિરંગો ફરકાવ્યો એ સાથે કાશ્મીર ખીણ પ્રદેશ દેશના નેટવર્ક સાથે તો જોડાઈ ગયો અને સાથોસાથ પાકિસ્તાનને પણ એક મેસેજ પહોંચતો કરવામાં આવ્યો. પાકિસ્તાને પહલગામમાં હુમલો કર્યો તેના બે મહિના પછી આ બ્રિજનું દેશાર્પણ કરીને ભારતે પાડોશી આતંકી દેશ પાકિસ્તાનને સાનમાં સમજાવી દીધું છે કે ‘તમે ગમે તેટલા ઉધામા કરો – કાશ્મીરમાં અરાજકતા ફેલાવવા પ્રયત્ન કરો તો પણ કાશ્મીરમાં વિકાસ યાત્રા રોકાવાની નથી… ’

ભારતે ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા પહલગામ આતંકવાદી હુમલાનો પાકિસ્તાનને જડબેસલાક જવાબ આપ્યો અને હવે ચિનાબ બ્રિજને ખુલ્લો મૂકીને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે આતંકવાદીઓ કાશ્મીરમાં વિકાસની ગતિને રોકી શકશે નહીં.

આ રેલ બ્રિજ જમ્મુ – કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલો છે. 1,315 મીટર (4,314 ફૂટ) લાંબા સ્ટીલ અને કોંક્રીટના બનેલા પુલમાં 530 મીટર (1,740 ફૂટ) લાંબો અને 785 મીટર (2,575 ફૂટ) ઉંચો ડેક આર્ચ બ્રિજ છે. 1486 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલો આ પ્રોજેક્ટ યોગાનુયોગ અગાઉની અટલ બિહારી વાજપેયી સરકારના શાસન વખતે 2002માં મંજૂર કરવામાં આવ્યો હતો, પણ બાંધકામ છેક 2017માં શરૂ થયું હતું. ઓગસ્ટ 2022માં એ પ્રોજેક્ટ પૂરો થઈ ગયેલો, પણ કોરોનાના કારણે કામ ઠપ્પ થઈ ગયું હતું. રેલવે ટ્રેક પર ટ્રાયલ રન જૂન 2024માં થઈ હતી ને હવે 6 જૂન 2025થી ‘વંદે ભારત એક્સપ્રેસ’ આ બ્રિજ પર દોડવાની શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો…બોમ્બ વિસ્ફોટ કે ભૂકંપ પણ જેનું કશું બગાડી નહીં શકે, એ ચિનાબ બ્રિજની ખાસિયતો જાણો

ચિનાબ બ્રિજ ઘણી બધી રીતે અનોખો છે. ખાસ રીતે ડિઝાઇન કરાયેલો આ બ્રિજ ઓલ વેધર એટલે કે તમામ પ્રકારના હવામાનનો સામનો કરી શકે એવો છે. ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને’ (DRDO) આ સ્ટીલને ડિઝાઇન કરવામાં મદદ કરી છે કે, જેથી તે પ્રાકૃતિક આફતો અને હુમલાઓથી સુરક્ષિત રહે. બ્રિજના નિર્માણમાં વિસ્ફોટ વિરોધી ડિઝાઇન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી એના પર કોઈ વિસ્ફોટ કરે તો પણ પુલ સુરક્ષિત રહે!

એ જ રીતે, કાશ્મીરમાં સતત 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા કાતિલ બર્ફીલા પવન કે વાવાઝોડાની બ્રિજને કોઈ અસર ના થાય એ રીતે ઘડવામાં આવ્યો છે. બ્રિજમાં વપરેલા સ્ટીલને ક્યારેય કાટ નહીં લાગે. વિમાનોમાં વાપરવામાં આવતા સ્ટીલને કારણે ભૂકંપના આંચકાની પણ તેના પર અસર થશે નહીં. ફેઝડ એર અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગમાંથી પસાર થયેલા બ્રિજનું ઓછામાં ઓછું આયુષ્ય 120 વર્ષ છે. 29,880 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો બ્રિજ કુતુબ મિનાર કરતાં લગભગ 5 ગણો અને એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે.!

આ બ્રિજ પર સેન્સર ગોઠવેલા હોવાથી હવામાન વિશે સતત માહિતી મળતી રહેશે. લોકો પાયલોટ અને કંટ્રોલ રૂમને સેન્સર્સ દ્વારા કંપન અને વાતાવરણમાં થતા અન્ય ફેરફારો વિશે માહિતી મળતી રહેશે તેથી અચાનક આવી પડનારી કુદરતી આફત કે આતંકવાદી હુમલા સહિતની માનવસર્જિત દુર્ઘટનાને ટાળી શકાય. દર છ મહિને બ્રિજમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ રહ્યો છે કે નહીં તેનો ડેટા પણ સેન્સર્સ આપશે.

ચિનાબ બ્રિજના નિર્માણનો યશ મોદી સરકારને તો મળવો જ જોઈએ કેમ કે મોદી સરકાર આવી પછી કાશ્મીરમાં વિકાસના પ્રોજેક્ટ્સ ફટાફટ આગળ વધ્યા છે. વાજપેયી સરકારે ઘણી પહેલ કરેલી પણ કોંગ્રેસ શાસનમાં બધું ઠપ્પ થઈ ગયેલું. મોદી સરકારે 2015માં રિક્ધસ્ટ્રક્શન પેકેજની જાહેરાત કરીને વિકાસનો નવો યુગ શરૂ કર્યો તેથી મોદી સરકારને એનો યશ જાય જ છે, પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલાં બીજાં લોકોની હિંમત અને દેશપ્રેમને પણ સલામ કરવી જોઈએ, કારણ કે જમ્મુ – કાશ્મીરમાં આતંકવાદ વચ્ચે કામ કરવું સરળ નથી. તેમાં પણ ચિનાબ રેલ્વે બ્રિજ તો પાકિસ્તાનની સરહદની નજીક જ છે તેથી આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે બહુ હિંમત જોઈએ. આતંકવાદીઓની સતત ધમકીઓ પણ મળતી હતી એવું આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિસાર અહમદ મીર નામના એન્જિનિયરે મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે. રેલવે ટ્રેક માટે જમીન સંપાદન કરતા મીર સહિતના ઘણા લોકો છેલ્લાં 30 વર્ષથી રેલવેના જુદા જુદા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. આ દરમિયાન એમને એક યા બીજાં કારણોસર ઠેકઠેકાણે વિરોધનો સામનો કરવો પડ્યો અને એમના પર હિંસક હુમલા પણ થયા.

કાશ્મીર રેલવે પ્રોજેક્ટ પર કામ કરતા નિસાર અહેમદને તો સ્થાનિક લોકો ઉપરાંત આતંકવાદીઓ તરફથી પણ ધમકીઓ મળી હતી. મીરે પોતાના પરિવારને બીજી જગ્યાએ ખસેડ્યો હતો.

આતંકવાદીઓએ ધમકી આપી હતી કે, આ પ્રોજેક્ટમાંથી ખસી નહીં જાવ તો તમારી હત્યા કરીશું! આમ છતાં મીર અને બીજા સંખ્યાબંધ કર્મચારીઓ એવા હતા કે જેમણે ડર્યા વિના અને ડગ્યા વિના કામ કરીને પ્રોજેક્ટ પૂરા કર્યા છે. આ દેશ એ બધાનો હંમેશાં ઋણી રહેશે.

ધરતી પરના આ સ્વર્ગની કઈ રીતે થઈ રહી છે કાયાપલટ…

આ પણ વાંચો…ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન: વિશ્વના ટોપ 10 સૌથી ઊંચા રેલ બ્રિજ ક્યાં આવેલા છે, જાણો?

ચિનાબ બ્રિજ નરેન્દ્ર મોદી સરકારનો જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો ખાતમો કરીને વિકાસને વેગ આપવાની બ્લુપ્રિન્ટનો ભાગ છે. મોદીએ 2015માં જમ્મુ અને કાશ્મીરનું ઈન્ફ્રાસ્ટ્રક્ટર સુધારવા માટે 63 મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 7 નવેમ્બર, 2015ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 63 પ્રોજેક્ટ્સ માટે 80,068 કરોડ રૂપિયાના ક્ધસ્ટ્રક્શન પેકેજની જાહેરાત કરી હતી. એ વખતે જમ્મુ અને કાશ્મીર એક હતું. 2019માં કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યું ત્યારે 21,441 કરોડ રૂપિયાના 9 પ્રોજેક્ટ્સ લદ્દાખમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે એક પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો. 58,477 કરોડ રૂપિયાના બજેટવાળા બાકીના 53 પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ પાસે રહ્યા હતા. છેલ્લાં 10 વર્ષમાં આ પૈકી 55 પ્રોજેક્ટ પૂરા થયા છે અને બાકીના 7 પ્રોજેક્ટ ચાલુ નાણાંકીય વર્ષના અંતમાં પૂરા થઈ જશે એ જોતાં હવે પછી 53માંથી માત્ર 11 પ્રોજેક્ટ જ બાકી રહેશે. આ પ્રોજેક્ટ્સનું કામ પણ આયોજનબદ્ધ રીતે કામ ચાલી રહ્યું છે.

મોદીના પેકેજ હેઠળ જમ્મુમાં રૂપિયા 2000 કરોડના ખર્ચે ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)’ અને રૂપિયા 1000 કરોડના ખર્ચે ‘ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ’ ) બનાવવામાં આવ્યા છે. ચેન્નાની નસરી ટનલ પણ પૂરી થઈ ગઈ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જે પ્રોજેક્ટ પૂરા થશે તેમાં એક 13 કિલોમીટર લાંબી વ્યૂહાત્મક ઝોજીલા ટનલ છે કે જેના કારણે લદ્દાખ સુધી આખા વર્ષ દરમિયાન પહોંચી શકાશે. આ પ્રોજેક્ટનું 65 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં ટનલ તૈયાર થવાની અપેક્ષા છે.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ મોટો પડકાર છે. આતંકવાદને ખતમ કરીને શાંતિ સ્થાપવા માટેના કેન્દ્ર સરકારના વિકાસના પ્રોજેક્ટ્સ ચાલુ છે. આ પ્રોજેક્ટ્સ માત્ર કાશ્મીરની કાયાપલટ નથી કરી રહ્યા પણ લોકોનાં માનસ પણ પલટી રહ્યા છે..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button