ઊડતી વાત: રાધારાણીએ શેનું દાન કરવું જોઈએ?

-ભરત વૈષ્ણવ
‘ગિરધરલાલ, માણસના એક નહીં, પરંતુ છ- છ દુશ્મન એટલે કે ષડરિપુ છે. આત્મા જન્મમરણના ફેરામાં કપાયેલ પતંગની જેમ ફસાયેલો રહે છે. સંસાર માયા છે. બ્રહ્મ સત્ય છે. જગત નાશવંત છે. આસક્તિને ફાટેલા જીન્સની (કયાં સુધી સાપ કાંચળી ઉતારે એમ બોલે રાખવાનું? આવું સાંભળીને કાન પાકી ગયા છે.) જેમ ઉતારી દેવાની.’ રાધારાણીએ દિવ્ય આધ્યાત્મિક વાણી ઉચ્ચારી.
એ મારે કાને પડતા મે આંખો ચોળી. મારા હાથે ચૂંટલી ખણી. મને વિશ્વાસ બેસતો ન હતો કે માયામાં રમણભમણ રમણી રાધારાણી મહર્ષિની જેમ મહર્ષિણી ક્યારથી થઇ ગઇ? ત્રણસો સાંઠ ડિગ્રી પરિવર્તન… અદ્ભુત. ખરેખર મારો દેશ બદલે કે ન બદલે, ક્ધિતું, રાધારાણી નિશંકપણે બદલ રહી હૈ.
‘યેહ મેં કયા સુન રહા હૂં?’ મેં હડબડાટમાં બડબડાટ ગરબડિયો પ્રતિભાવ આપ્યો. રાધારાણી કયાં બગભગત બાબાનું પ્રવચન સાંભળી આવી હશે? કયા મહારાજના સત્સંગમાં ડૂબકી મારીને આવી હશે?’
‘આસ્થા ચેનલ’ માં મગજ ભ્રમિત થાય તેવાં પ્રવચનોની ભરમાર ચાલે છે. કદાચ પરભવના સંસ્કાર કુંડલીની માફક જાગ્રત થયા હોય…. કોઇ ઠગબાબાના સંમોહનની મોહિત અસર હેઠળ હોય એવું પણ લાગ્યું. આપણા મગજમાં નર્યા કાંકરા ખખડે એટલે આવી અઘરી આધ્યાત્મિક વાત પલ્લે પડે જ નહીં,
‘વત્સ, પરમાત્માની માયાજાળ છે. માયાના પડળ છેદીને આત્માનો ઉદ્ધાર કરો.’ રાધારાણીએ ‘હબી’ કે ‘બેબી’ સંબોધનમાંથી ‘વત્સ’નું સંબોધન કર્યું. નક્કી પિંગળા રાણી સંસારનાં બંધનો ફગાવી દીક્ષા લઇને મારે આંગણે આવીને કહેશે કે ‘ભેખ રે ચડાવો ગિરધરલાલ. ભિક્ષામ્ દેહી તાત ગિરધરલાલ’.
‘મૈયા, રાધારાણી આ પરિવર્તનનું ચક્કર પામર ગિરધરલાલને સમજાયું નહીં કે પાચન ન થયું. કૃપા કરીને મને સમજાવો’.
‘હે ગિરધરલાલ, આ સ્થૂળ દેહનો પરિત્યાગ કરીએ એ પહેલાં પરભવનું ભાથું ભરી લો’ રાધારાણી પર મોહે રંગ દે ગેરુઆ ચડી ગયો કે શું? આવી વિભૂતિ સાથે વિદ્વાન વિદૂષકનો સંસાર કેમ ચાલ્યો તેનું આશ્ર્ચર્ય થયું.
આ પણ વાંચો…ઊડતી વાત: આજે હાસ્યનો તાકો નહીં …કટ પીસ વાંચો !
‘માતે, આ ભવની ખબર નથી અને આપ પરભવનું ભાથું બાંધવાની કયાં પતર ખાંડો છો? પરભવના ભાથા માટે સ્વિગી કે ઝોમેટો પર એક કિલો ઘન પુણ્ય કે પ્રવાહી પુણ્યનો ઓર્ડર આપી દઉં?’ મેં પૂછયું.
‘આવી, સ્વચ્છંદી અને ઉચ્છૃંખલ વાણી આપ જેવા અવગુણાનુરાગીને માટે શોભાસ્પદ નથી.’ રાધારાણીએ મને કઠોર કોરડા માર્યા.
‘મૈયા, ક્ષમાપાર્થી છું. આપની ભૂલ થઇ ગઇ.’ પેલા વાણિયાની જેમ મેં પણ પતિ તરીકે મારી મૂંછ અને પૂંછ નીચી કરી.
‘વત્સ, ક્ષમા કરું છું. ભવિષ્યમાં આવો જઘન્ય અપરાધ ન કરવા ચેતવું છું.’ રાધારાણી અશ્વમેધ યજ્ઞ વિજેતાની અદામાં ઉવાચ.
‘આ બધું શું પ્રહસન છે, રાધુ?’ મેં લાગલું પૂછી લીધું.
‘ગિધુ, આ સમાજ પાસેથી આપણે ઘણું લીધું. હવે સમાજનું ઋણ ચૂકવવું છે.’ રાધારાણીએ સામાજિક ઋણ અદાયગીનો સંકલ્પ પારિત કર્યો.
‘રાધુ, શાસ્ત્રો-પુરાણોમાં અન્નદાનનો બહુ જ મહિમા દર્શાવેલ છે. અન્નદાન શ્રેષ્ઠ દાન છે. તું અન્નદાનથી દાન આપવાનું ચાલુ કર.’
‘કંકોડા અન્નદાન કરું? તારી ચાર અને મારી બે મળીને કુલ છ રોટલી એકતા કપૂરની સિરિયલોની જેમ દસ દસ મિનિટના હપ્તે હપ્તે કરતા થાકીને અધમૂઇ થઇ જાઉં છું. આપણે દાઉદખાની ઘઉં અને સિંગતેલ વાપરી છીએ. મોંઘા ભાવના અનાજના લોટમાંથી રોટલી બનાવું અને તેનું દાન કરું? દાન કરવા માટે તો સરકારી ઘઉંનો લોટ અને પામોલિનનું મોણ વપરાય….બળતું ઘર જ કૃષ્ણાર્પણ કરાય.’ રાધારાણીએ દાન માટેની સરેરાશ મેન્ટાલિટી રજૂ કરી.
રાધુ તું મારું લોહી બહુ પી ચૂકી છું તો હવે તું રક્તદાન કર.’ મેં સૂચન કર્યું.
‘અરે, મારા શરીરમાં લોહી જ નથી. હું કેટલી ફિક્કી પડી ગઇ છું. મારે દસ બાર લિટર લોહીની જરૂર છે. મૂંઓ મને ડાયાબિટીસ છે. હું ભૂલેચૂકે રક્તદાન કરું તો રક્તદાન લેનારને તો મફતમાં મધુપ્રમેહ મળી જાય. ‘આમ કહીને રાધારાણીએ રક્તદાનનો આઇડિયા કેન્સલ કર્યો.
‘રાધુ ઉનાળામાં રોડ પર જનાર મુસાફરો તરસ્યા થતા હોય છે. પચીસ ત્રીસ વરસ પહેલા સેવાભાવી શેઠિયા કે સજ્જનો નિરાધાર મહિલાને બે- પાંચ રૂપિયા મળી રહે તે માટે પરબ ચલાવતા.. તું મિનરલ વોટરના બાટલા રોડ પર મૂકી જલદાન કર.’ મને એમ કે મારો આઇડિયા રાધારાણીનો મૂડ બદલી દેશે.એ ઉછળીને મારો આઇડીયા વધાવી લેશે.
‘અરે, ગિધુ મને જ પાણી પીવા મળતું નથી અને લોકોને કયાં પાણી પિવડાવતી ફરું?’ રાધારાણીએ જલદાન પર ટાઢું પાણી રેડી દીધું.
‘ઝૂંપડામાં રહેતા છોકરા પૈસાના અભાવે ભણી શકતા નથી. જેમ રફ હીરા પર પહેલ પાડો તો એ કીંમતી બની જાય. આ છોકરા ભણાવીએ તો એના પરથી અંગૂઠાછાપનું લેબલ મટી જાય.’ મેં વિપક્ષ જેમ કાયદાના વિધેયક પર સૂચન કરે તેવું સૂચન કર્યુ.
‘મારી પાસે એવો દલ્લો નથી કે તમારી પાસે ધીકતા ધંધાનો ગલ્લો નથી. તમારા ઝાકળ જેવા પગારમાં માંડ માંડ ઘર ચલાવું છું. તમે કુબેરપતિ થશો ત્યારે હું વિચારીશ.’
‘રાધુ, અકસ્માત કે ઓર્ગન ફેલ થવાથી કેટલાય રોગીઓ પિડાતા હોય છે. કોઇને લિવર, કીડની કે હાર્ટ મળી જાય તો તેની જિંદગીની ગાડી સડસડાટ વીસ પચીસ વરસ પાંચમા ગિયરમાં ચાલતી રહે. ઘણા પરિવારો તેમના સ્વજન બ્રેનડેડ થાય તો એ અંગ દાન કરે છે. તું પણ કમળ જેવી આંખ, હદય, લિવર વગેરે દાન કરવા માટે સંકલ્પપત્ર ભરી શકે. એમાં કોઇ નુકસાન કે મૂડીરોકાણ નથી.’ મેં કહ્યું‘ગિરધરલાલ, ખબરદાર એવું વિચાર્યું છે તો…. જીવતેજીવ શરીરમાં ચીરફાડ કરાવી નથી. મર્યા પછી મારા શરીરમાં કાપકૂપ કે ચીરફાડ કરાવવાનું તો વિચારતા જ નહીં.’ રાધારાણીએ મને એલ્ટિમેટમ આપી દીધું.
એ પછી મેં જાતજાતના સૂચન કર્યા. જરૂરતમંદને પેકેટ પર રાધારાણીનો ફોટો ચિપકાવી રેશનદાન, ગરીબ ક્ધયાના લગ્નનો ખર્ચ ઉપાડી ક્ધયાદાન, પડોશણને વાટકી ભરીને ચિની કમ હે કે બેસનદાન, રોકડદાન, કકળાટદાન કરવા કહ્યું. રાધારાણી એક એક પ્રસ્તાવ ખારીજ કરતી રહી.
મેં છેલ્લે કંટાળીને કહ્યું : ‘રાઘુ, હું એક સૂચન કરું?’
આ પણ વાંચો…ઊડતી વાત ગોટલીના આટલા અ..ધ..ધ..ધ પૈસા?
‘બોલો, તમારા સૂચન તમારા લેખ જેવા વાહિયાત જ હશે.’ રાધારાણીએ જનોઇવઢ ઘા કર્યો. હું ઘીંસ ખાઇ ગયો.
‘રાધુ, જેની લંબાઇ ગાંધીનગરને વીંટાળતા વધી પડે, જેના વડે તું મારા દિલને છન્ની છન્ની કરી દે છે, દશેરાના દિવસે જેની અસ્ત્ર-શસ્ત્ર તરીકે પૂજા કરે છે એવી જીભનું દાન કરે તો મારા સહિત ઘણાને શાંતિ થાય.’
અલબત, આ વાક્ય બોલતી વખતે મેં કોરોનાની જેમ છ ફૂટનું અંતર રાખ્યું એટલે સંભવિત સર્જિકલ સ્ટ્રાઇકથી બચી શકાય.
શું ખાક બચી શકાય? રાધારાણીએ મારા સૂચનનો અમલ કરીને મારી જીભ કાપીને પરાણે જીભદાન આઇ મિન જેને બોલવાનો મોકો મળતો ન હતો એવી મારી જીભડીનું દાન કરી દીધું.!
આ પણ વાંચો…ઊડતી વાત : તમારી પાસે કોઇ માફિયાનો નંબર છે?