“બંને ભાઈ સાથે આવે છે તો…” ઉદ્ધવ અને રાજ ઠાકરેના ભેગા થવાની અટકળો પર શું બોલ્યા NCPના સુપ્રિયા સુળે?

મુંબઈ: આગામી સમયમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા(BMC)ની ચૂંટણી યોજાઈ શકે છે. જેને લઈને રાજ્યની શિવસેના, યુબીટી સેના, બીજેપી, એનસીપી સહિતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવા સમયે યુબીટી સેનાના ઉદ્ધવ ઠાકરે અને મનસેના રાજ ઠાકરે ગઠબંધન કરશે એવી અટકળો વહેતી થઈ છે.
બંનેના કાર્યકર્તાઓ એકબીજાના સંપર્કમાં છે: ઉદ્ધવ ઠાકરે
શુક્રવારે શિંદે સેનાના એક નેતા ઉદ્ધવ ઠાકરેની યુબીટી સેનામાં જોડાયા હતા. આ પ્રસંગે મીડિયા દ્વારા તેઓને તેમના પિતરાઈ ભાઈ રાજઠાકરેની પાર્ટી સાથે ગઠબંધનની સંભાવના વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, “જે મહારાષ્ટ્રના હૃદયમાં ગૂંજશે, એ જ થશે, શિવસૈનિકો અને મનસેના કાર્યકર્તાઓના મનમાં કોઈ દુવિધા નથી. તેઓ એકબીજાના સંપર્કમાં છે. અમે સંદેશો નહીં મોકલીએ, સીધા સમાચાર મોકલીશું.”
જ્યારે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, અમે મરાઠી ભાષી લોકોનું હિત ઈચ્છીએ છીએ, પરંતુ સાથે આવવું મુશ્કેલ છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષી લોકોના હિતમાં નાના-મોટા ઝઘડાને એક તરફ રાખવાની તૈયારી બતાવી હતી. આ સમયે બંને ભાઈઓ એક થશે એવી અટકળો વહેવાની શરૂ થઈ હતી. ફરી એક વાર આ વાતને વેગ મળી રહ્યો છે. એવા સમયે NCP(SP)ના નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાજ ઠાકરેના આવવાથી અમને કોઈ વાંધો નથી: સુપ્રિયા સુળે
સુપ્રિયા સુળેએ જણાવ્યું કે, “કોને કોની સાથે જવું છે, એ નક્કી કરવાનો લોકતંત્રમાં સૌને અધિકાર છે. જેટલા સાથીઓ આવશે, એટલું મહાવિકાસ અઘાડી માટે સારું છે. સાથે મળીને મહારાષ્ટ્ર માટે કામ કરીશું. તાકત વધશે. જો બંને ભાઈઓ સાથે આવે છે તો સારી વાત છે. અમને રાજ ઠાકરેના આવવાથી કોઈ વાંધો નથી.”
રાજ ઠાકરેના પુત્ર અને મનસેના નેતાએ ગઠબંધન અંગે મીડિયામાં વાત કરવાને બદલે બંને ભાઈઓએ રૂબરૂમાં મળીને વાત કરવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મીડિયા સાથે વાત કરવાથી ગઠબંધન થતું નથી. ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરે પહેલા શિવસેના સાથે જોડાયેલા હતા. પરંતુ 2006માં તેમણે શિવસેના સાથે છેડો ફાડીને મનસે નામનો નવો પક્ષ ઊભો કર્યો હતો.
આ પણ વાંચો….‘મહારાષ્ટ્રના લોકો જે ઈચ્છે છે’: ઉદ્ધવે પિતરાઈ રાજ ઠાકરે સાથે સંભવિત જોડાણ અંગે સકારાત્મક સંકેત આપ્યો…