સ્થાપત્યનું વાઈ-ફાઈ :કાચની દીવાલવાળું ક્વીન્સલેન્ડનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર – ઓસ્ટે્રલિયા

- હેમંત વાળા
કુલ આશરે 5000 પ્રેક્ષકોની ક્ષમતાવાળા ચાર પ્રેક્ષાગૃહવાળું ક્વીન્સલેન્ડનું આ પરફોર્મિંગ આર્ટ સેન્ટર કેટલીક રીતે નોંધપાત્ર છે. આમ તો આ પ્રકારના થિયેટરની રચનામાં દર્શનની સુવિધા, આવન-જાવનમાં સરળતા, મેળાવડા માટેની મોકળાશ, ગીચ માહોલમાં જરૂરી ખુલ્લાપણું, સામાજિક સ્થાન તરીકે જરૂરી સગવડતા જેવી બાબતો મહત્ત્વની ગણાય, જેનું અહીં યોગ્ય રીતે નિર્ધારણ થયું છે. એક અંદાજ પ્રમાણે આ સમગ્ર મકાન સન 2025માં સંપૂર્ણતામાં કાર્યરત થશે.
આ શહેરની પરંપરાગત તથા ઐતિહાસિક બાબતોનો આદર કરીને પણ અહીં એક નવી છબી ઉભારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાંપ્રત સમયમાં આ એક પ્રચલિત વલણ છે. પેરિસનું સેન્ટર પોમ્પિડું હોય કે લુવેર મ્યુઝિયમ, બધી જ રચનામાં ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચાડ્યા વગર એક નવું જ સ્થાપત્યકીય વિધાન સ્થાપવાનો પ્રયત્ન થયો છે. અમુક લોકોને આ પ્રકારની રચનામાં સરળતા જણાય છે તો અમુક લોકો તેને વધારે પડકારરૂપ માને છે. એ તો સ્થપતિ જ નક્કી કરી શકે કે તેણે સરળતા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે એ જુદા જ પ્રકારના પડકાર ઝીલવા માટે. સાથે સાથે આજકાલ બધાં મકાનો માટે એવો દાવો કરવામાં આવે છે કે તે આજુબાજુની પરિસ્થિતિને અનુકૂળ છે, તે સાંસ્કૃતિક તથા પરંપરાગત મૂલ્યોને જાળવી રાખે છે, તે નજીકમાં આવેલી નદી જેવી કુદરતી પરિસ્થિતિને હકારાત્મક પ્રતિભાવ આપે છે, આ રચનાથી ઊર્જાની ખપતમાં ઘટાડો થવાની સંભાવના હોવાથી તે પર્યાવરણ વિશે સંવેદનશીલ છે, તે નવા સ્થાપત્યની સ્થાપના કરતી વખતે જૂનાનું મહત્ત્વ જાળવી રાખે છે – વાસ્તવમાં આ બધું થતું હોય છે કે કેમ તે સંશોધનનો વિષય છે. મોટાભાગના કિસ્સાઓમાં આ પ્રકારના પોકળ દાવા જ હોય છે. અહીં પણ આવા દાવા કરાયા છે.
સામાન્ય રીતે બનતું હોય છે તેમ, આ પરફોર્મિંગ આર્ટ સેન્ટરની ડિઝાઇન માટે પણ સ્પર્ધાનું આયોજન થયું હતું. અહીં 1985થી હેરિટેજમાં સૂચિબદ્ધ થયેલું એક જૂનું સેન્ટર હતું. તેમાં જરૂરી ઉમેરા માટે સ્થપતિ સ્નોહેટ્ટા અને બ્લાઇટ રેનરની રચના પસંદગી પામી. આ વિસ્તારનું આ મહત્ત્વનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર હોવાથી અહીં ચહલપહલ વધુ રહે. આ પ્રકારની ચહલપહલથી એક પ્રકારની અનૌપચારિકતા ઊભી થાય તો સાથે સાથે સેન્ટરના મૂળ હેતુમાં ઔપચારિકતાનું મહત્ત્વ ઓછું નથી. એમ કહી શકાય કે અહીં આ પણ જોઈએ છે અને તે પણ જોઈએ છે. એમ જણાય છે કે સ્થપતિ આ પ્રકારનું સંતુલન સાધવામાં મહદ્અંશે સફળ રહ્યો છે. આ કેન્દ્રને વધુ ઉપયોગી બનાવવા અહીં પરફોર્મન્સની સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિના પ્રોત્સાહન માટે જુદા જુદા સ્ટુડીઓ પણ બનાવાયા છે. આ એક સામાન્ય વાત થઈ.
આ પણ વાંચો….સ્થાપત્યનું વાઈ-ફાઈ: સ્થાપત્યમાં એક મૂંઝવણ ભરેલી સ્થિતિ
એક અવલોકન તરીકે એમ કહી શકાય કે આ રચનાનો મુખ્ય આધાર તેની આગળ બનાવાયેલ કાચની દીવાલથી મળતી અભૂતપૂર્વ પારદર્શિતા છે. વળી, એક સમજ પ્રમાણે આ પ્રકારની રચના પાછળનો ક્નસેપ્ટ ડિઝાઇન તેનાં અંતર્ગત મૂલ્યોનો આદર કરવા સાથે નવી સમકાલીન છબી બનાવવામાં સફળ થશે. આ કાચની દીવાલથી આ બિલ્ડિંગ રાત્રે તો ચમકશે જ પણ સાથે સાથે દિવસે પણ તેનાથી જે કિરણ પરાવર્તિત થશે તેની ચમક પણ ઓછી નહીં હોય. આ પ્રકારનું પરાવર્તન આજુબાજુની વસ્તી માટે ઇચ્છનીય રહેશે કે કેમ તે પ્રશ્ન તો છે જ.
કાચની દીવાલથી મકાનની અંદરના ફોયર જેવું દરેક સામાન્ય સ્થાન બહાર સાથે દ્રશ્ય સંકલ્પમાં આવી જાય છે. આનાથી વ્યક્તિને શહેર અને સમાજથી અલાયદા થઈ જવાની અનુભૂતિ નથી થતી. તેને કારણે અહીં અમુક પ્રકારની ગોપનીયતાનો પણ અભાવ રહે છે. બહારની દરેક વ્યક્તિ લગભગ જોઈ શકે કે કોણ ક્યાં છે. મજાની વાત એ છે કે આ કાચની દીવાલ સીધી – સપાટ નથી, વળાંકવાળી છે, પડદો જે રીતના વળેલો રહે તે પ્રમાણેની આ દીવાલ છે. આનાથી જે પ્રતિબિંબ ઊભું થાય તેમાં કંઈક વિકૃતિઓ આવતી રહે. આ એક એટલો સારો અનુભવ ન ગણાય.
આ પ્રકારની રચના કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે. જો આ મકાનમાં કાચની દીવાલ બનાવી ન હોય તો શું તેનું સ્થાપત્ય ક્ષેત્રમાં એટલું જ મહત્ત્વ હોત. આ પ્રકારની દીવાલ શું સર્વથા યોગ્ય ગણાય. અત્યાર સુધી થતું આવ્યું છે તેમ આ પ્રકારના થિયેટરમાં બહારની દીવાલ બંધિયાર બનાવી આંતરિક સ્થાને પોતાના વિશ્વનું સર્જન કરાતું. આ રચનામાં જાણે આ વિચારધારાનો સદંતર છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. અહીં તો એવી પરિસ્થિતિ છે કે જો કરવું તો શત-પ્રતિશત કરવું નહીંતર શૂન્યની સ્થાપના કરી દેવી. ઘણા સંવેદનશીલ વ્યક્તિ એ પ્રશ્ન પૂછે છે કે શું આ બે વચ્ચેનો ઇચ્છનીય સંતુલિત માર્ગ પ્રયોજાય તે વધારે યોગ્ય ન ગણાય. એક તરફ અહીં પ્રાચીન અને આધુનિક વિચારધારા વચ્ચે સંવાદની વાત થાય છે તો બીજી તરફ આવો ચરમ-બિંદુ તરફનો નિર્ણય લેવાય છે.
પ્રશ્ન એ પણ થાય છે કે આ મકાનને ઐતિહાસિક પરંપરા સાથે જોડવાની જરૂરિયાત કેમ જણાઈ કે જ્યારે તેની રચનામાં પરંપરાગત સ્થાપત્યના કોઈપણ સિદ્ધાંતનું અનુસરણ નથી કરાયું. પ્રશ્ન એ પણ પૂછી શકાય કે નદી પ્રત્યેનો સ્થાપત્યકીય પ્રતિભાવ હકારાત્મક છે એવું કેવાં સંજોગોમાં માની શકાય. આ બધા સાથે ઉપયોગિતાની દ્રષ્ટિએ આ મકાન અસરકારક તો છે જ. મકાનનો જે મૂળ હેતુ પરફોર્મિંગ આર્ટને પ્રોત્સાહન આપવાનો છે તે હેતુ માટે પ્રશંસનીય કાળજી રાખવામાં આવી છે.
આ પણ વાંચો….સ્થાપત્યનું વાઈ-ફાઈઃ પર્વતના શિખર પર બેસવા ઈચ્છતા માણસને પણ હોટેલ તો જોઈએ